રશિયાનો યુક્રેન ઉપર 472 ડ્રોનથી વિનાશક હુમલો
- યુક્રેને રશિયાના ચાર એરબેઝ અને 40 ફાઈટર વિમાનોનો કચ્ચરઘાણ કાઢ્યો
- રશિયાના હુમલામાં યુક્રેનના 12 સૈનિકો એક બાળકીનાં મોત, યુક્રેનના સુમી પ્રાંતમાં ઓલિક્સિવ્કા ગામ પર નિયંત્રણનો રશિયાનો દાવો
- રશિયા સાથે વાટાઘાટો માટે પ્રતિનિધિમંડળ ઈસ્તંબુલ મોકલવા ઝેલેન્સ્કી તૈયાર
- યુક્રેનના નજીવી કિંમતના ડ્રોન્સથી રશિયાને 200 કરોડ ડોલરથી પણ વધુનું નુકસાન
નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ અને શાંતિની વાટાઘાટો વચ્ચે એકબીજા પર વધુ ઘાતક હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. રશિયાએ શનિવારે મોડી રાતે ત્રણ વર્ષના યુદ્ધમાં અત્યાર સુધીમાં ૪૭૨ ડ્રોન અને સાત મિસાઈલથી સૌથી મોટો હુમલો કર્યો હતો. રશિયાએ કીવ સહિત પાંચ શહેરોમાં સતત નવ કલાક સુધી મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરતા ૧૨ સૈનિકો અને નવ વર્ષની એક બાળકી સહિત બે લોકોનાં મોત નીપજ્યાં હતાં અને ૬૦થી વધુ લોકો ઘાયલ થયા છે. બીજીબાજુ યુક્રેને રશિયાની અંદર સુધી જઈને બે મહત્વપૂર્ણ એરબેઝ ઓલેન્યા અને બેલાયા પર હુમલો કરીને રશિયાના ૪૦થી વધુ ફાઈટર વિમાનો તોડી પાડયાનો દાવો કર્યો છે. આવા સમયે યુક્રેના પ્રમુખ ઝેલેન્સ્કીએ શાંતિ વાટાઘાટો માટે તેમનું પ્રતિનિધિમંડળ ઈસ્તંબુલ મોકલવા તૈયારી દર્શાવી છે.
યુક્રેનની એરફોર્સના કમ્યુનિકેશન વડા યુરીય ઈગ્નાટે રવિવારે જણાવ્યું કે, રશિયાએ ત્રણ વર્ષ પહેલાં પૂર્ણ સ્તરના આક્રમણ બાદથી અત્યાર સુધીમાં સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો છે. રશિયાએ યુક્રેનના કીવ, દનિપ્રોપેટ્રોવ્સ્ક, ઝાપોરિજ્જિયા, ઓડેસા અને ખારકીવ જેવા નાગરિક વિસ્તારોમાં ૪૭૨ ડ્રોનથી હુમલો કર્યો હતો. વધુમાં રશિયન દળોએ ડ્રોનની સાથે સાત મિસાઈલ પણ છોડી હતી. આ હુમલાએ નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન પહોંચાડયું હતું.
યુક્રેન એરફોર્સે જણાવ્યું કે, રશિયાના ડ્રોન અને મિસાઈલ હુમલામાં ત્રણ મિસાઈલ અને ૪૨ ડ્રોનનો હવામાં જ નાશ કરી દેવાયો હતો. અન્ય કેટલાક ડ્રોન્સ તેમના લક્ષ્ય સુધી પહોંચવામાં નિષ્ફળ ગયા હતા. જોકે, રશિયાના આ હુમલામાં યુક્રેનના ૧૨ જવાનોનાં મોત નીપજ્યાં હતાં. નવ વર્ષની એક બાળકી પણ રશિયન હુમલાનો ભોગ બની હતી. આ હુમલામાં અનેક ઘરોનો નાશ થઈ ગયો હતો. વિસ્ફોટના કારણે અનેક અન્ય ઘરો, કાર અને બાહ્ય ભાગને નુકસાન થયું છે.
રશિયન સંરક્ષણ વિભાગે રવિવારે જણાવ્યું હતું કે તેમણે યુક્રેનનીઉત્તરે સુમી પ્રાંતમાં ઓલેક્સિવ્કા ગામ પર નિયંત્રણ મેળવી લીધું છે. આ વિસ્તારમાં રશિયન દળોએ સ્થિરતાપૂર્વક આગેકૂચ કરતા યુક્રેનની ઓથોરિટીએ વધુ ૧૧ સેટલમેન્ટ્સને ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. યુક્રેનના સૈન્ય વડા ઓલેક્સાન્દ્ર સિર્સ્કીએ જણાવ્યું કે, રશિયન દળોએ ડોનેત્સ્ક પ્રાંતમાં પોક્રોવસ્ક, ટોરેત્સ્ક અને લીમેન તેમજ સુમીના સરહદી વિસ્તારોમાં આક્રમણ કર્યું છે.
ઈસ્તંબુલમાં આગામી સપ્તાહે મોસ્કો દ્વારા સૂચિત શાંતિ વાટાઘાટોનો નવો તબક્કો શરૂ થવાનો છે અને તે માટે યુક્રેનનું પ્રતિનિધિમંડળ મોકલવા યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ તૈયારી દર્શાવી છે તેવા સમયે આ હુમલો થયો છે. ઝેલેન્સ્કીએ રવિવારે જણાવ્યું કે, સંરક્ષણ મંત્રી રુસ્તેમ ઉમેરોવ યુક્રેનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. અમે અમારી સ્વતંત્રતા, અમારા દેશ અને અમારા લોકોનું રક્ષણ કરવાનો દરેક પ્રયત્ન કરીશું.
દરમિયાન શાંતિવાટાઘાટોની ચર્ચા વચ્ચે યુક્રેને રશિયામાં અંદર સુધી જઈને તેના બે મહત્વપૂર્ણ એરબેઝ ઓલેન્યા અને બેલાયા પર હુમલો કર્યો હતો. યુક્રેનના સૈન્યે ડ્રોન હુમલામાં રશિયાના ૪૦ ફાઈટર જેટ તોડી પાડયાનો દાવો કર્યો છે. યુક્રેને કહ્યું કે આ એ જ વિમાનો છે જે યુક્રેન પર સતત ઉડ્ડયન કરતા અને બોમ્બ નાંખતા રહે છે. યુક્રેનના અધિકારીએ કહ્યું કે, અમારા ડ્રોને રશિયામાં તેમના ટીયુ-૯૫, ટીયુ-૨૨ અને મોંઘા તથા દુર્લભ એ-૫૦ જાસૂસી વિમાન તોડી પાડયા છે.
યુક્રેન સાથે અમારી શરતો પર જ શાંતિ મંત્રણા થશે : પ્રમુખ પુતિન
મોસ્કો: યુક્રેન સાથે શાંતિ વાટાઘાટોમાં બિનસમાધાનકારી માગણીઓ કરવાની સાથે યુક્રેન પર ડ્રોન અને મિસાઈલ હુમલા વધારીને રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને અમેરિકા અને દુનિયાને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે યુક્રેન સાથે શાંતિ સમજૂતી અને યુદ્ધવિરામ માત્ર તેમની શરતો પર જ થશે અને તેમની માગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી તે યુક્રેન પર હુમલા ચાલુ રાખશે. જોકે, આ જ સમયે પુતિન અમેરિકન પ્રમુખ ટ્રમ્પને પણ નારાજ કરવા માગતા નથી. તેથી તેઓ ટ્રમ્પની રાજદ્વારી નીતિના વખાણ કરે છે અને મોસ્કો યુક્રેન સાથે ખુલ્લા મને શાંતિ વાટાઘાટો માટે આગળ વધવા તૈયાર હોવાનો દાવો કરે છે જ્યારે યુદ્ધવિરામ માટે રશિયાની શરતો યુક્રેન અને પશ્ચિમી દેશોએ ફગાવી દીધી છે. હાલના સંજોગોમાં યુક્રેન પાસે હથિયારો વિશેષરૂપે હવાઈ સંરક્ષણ સિસ્ટમ્સની અછત છે. યુક્રેન રશિયન મિસાઈલ અને ડ્રોન હુમલાના જોખમોનો સતત સામનો કરી રહ્યું છે. રશિયન દળોના દબાણ સામે પોતાના વિસ્તારો પર કબજો જાળવી રાખવો યુક્રેન માટે મુશ્કેલ બની રહ્યું છે.રશિયાએ સરહદ પર બફર ઝોન બનાવવાની પુતિનની યોજના મુજબ તેના હુમલા ઉત્તર-પૂર્વીય સુમીથી લઈને ખારકીવ પ્રાંત સુધી વિસ્તાર્યા છે. અનેક નિષ્ણાતોનું માનવું છે કે રશિયા વધુ જમીન પર કબજો કરીને શાંતિ માટેની શરતોને વધુ આકરી બનાવવા માગે છે.
- દોઢ વર્ષનું પ્લાનિંગ : એક બટન દબાયું અને વિમાનો ખાક
- યુક્રેને ટ્રકોમાં લાકડાની મોબાઈલ કેબિનમાં ડ્રોન છુપાવી રશિયાની અંદર ઘૂસાડયાનો દાવો
યુક્રેનની સુરક્ષા સેવા (એસબીયુ)એ રશિયાના ચાર અલગ અલગ એરબેઝ પર હુમલો કર્યો છે, જેમાં ૪૧ રશિયન બોમ્બર્સ તોડી પડાયા છે. યુક્રેનના મીડિયાએ સુરક્ષા સેવાના સૂત્રોને ટાંકીને કહ્યું છે કે ઓપરેશન વેબ નામથી આ હુમલાના આયોજન માટે દોઢ વર્ષનો સમય લાગ્યો હતો. રશિયાના એરબેઝ પર હુમલો કરવા યુક્રેને ફર્સ્ટ પર્સન વ્યૂ ડ્રોનનો ઉપયોગ કર્યો હતો, જેને ટ્રકોમાં બનેલી લાકડાની મોબાઈલ કેબિન્સમાં છુપાવી રશિયાની અંદર મોકલાયા હતા. યોગ્ય સમય આવતા જ ટ્રકની કેબિનની છતોને રિમોટથી ખોલવામાં આવી અને ડ્રોને સીધા રશિયન બોમ્બર્સને નિશાન બનાવી ઉડાવી દેવાયા હતા.
એસબીયુના જણાવ્યા મુજબ ડ્રોન હુમલામાં રશિયાના એ-૫૦, ટીયુ-૯૫ અને ટીયુ-૨૨ એમ૩ જેવા મુખ્ય બોમ્બર્સનો નાશ કરાયો છે. એસબીયુ દ્વારા શૅર કરવામાં આવેલા વીડિયોમાં એક એરબેઝ પર અનેક બોમ્બર્સ વિમાનોને સળગતા જોઈ શકાય છે. કેટલાક એવા વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં ડ્રોનને ટ્રકોમાંથી ઉડતા જોઈ શકાય છે. યુક્રેન માટે લાંબા સમયથી રશિયાના બોમ્બર્સને નિશાન બનાવવા મુશ્કેલ હતા, કારણ કે રશિયા આ વિમાનોને યુક્રેનના મિસાઈલ અને હથિયારોની પહોંચથી ઘણે દૂર રાખતું હતું, પરંતુ તેના આ ઓપરેશને અંતરની આ ઢાલને પણ તોડી નાંખી અને એક જ ઝાટકે રશિયાને મોટું નુકસાન પહોંચાડયું.
યુદ્ધવિરામ અંગે વાત નહીં માનીને પુતિન આગ સાથે રમે છે : ટ્રમ્પ
24 કલાકમાં યુદ્ધનો અંત લાવવાનો ટ્રમ્પનો દાવો પોકળ
વોશિંગ્ટન: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક સમયે સત્તા પર આવ્યાના માત્ર ૨૪ કલાકમાં જ ત્રણ વર્ષથી ચાલતા રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવી દેવાના બણગા ફૂંક્યા હતા. પરંતુ આ યુદ્ધ હજુ પણ ચાલી રહ્યું છે. જેથી ટ્રમ્પ કોઈપણ ભોગે આ યુદ્ધ રોકાવા માગે છે. પુતિનને મનાવવા માટે ટ્રમ્પે રશિયાને એકલું પાડી દેવાની અમેરિકાની નીતિને પણ બાજુ પર મુકી દીધી અને પુતિન સાથે ફોન પર સીધી વાત કરી. આ પહેલાં યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીનું વ્હાઈટ હાઉસમાં અપમાન પણ કરી નાખ્યું. આમ છતાં રશિયા યુદ્ધવિરામ માટે તૈયાર નહીં થતાં પ્રમુખ ટ્રમ્પ વ્લાદિમિર પુતિન પર ભડક્યા હતા. તેમણે કહ્યું હતું કે, પુતિને સમજવું જોઈએ કે હું ના હોત તો રશિયા સાથે અત્યાર સુધીમાં ઘણું ખરાબ થઈ ગયું હોત. પુતિન આગ સાથે રમત રમી રહ્યા છે. હું પુતિનને ઘણા લાંબા સમયથી જાણું છું અને અમારા સંબંધો સારા રહ્યા છે. પરંતુ હવે તેઓ યુક્રેનના શહેરો પર રોકેટથી હુમલા કરી રહ્યા છે અને લોકો મરી રહ્યા છે. મને આ વાત જરા પણ પસંદ નથી. પુતિન શાંતિ દરખાસ્તની તેમની વાત નહીં માને તો રશિયાએ આકરા વ્યાપારિક પ્રતિબંધોનો સામનો કરવો પડશે. પુતિનને યુક્રેનનો માત્ર થોડોક ભાગ નહીં પરંતુ આખું યુક્રેન જોઈએ છે તેમ લાગી રહ્યું છે. રશિયા આમ કરશે તો તેનું પતન થશે.