150 કરોડમાં તૈયાર થયું RSSનું નવું કાર્યાલય: હૉસ્પિટલ, અને લાયબ્રેરી સહિત આ સુવિધાઓથી સજ્જ છે 'કેશવ કુંજ'
RSS's new office 'Keshav Kunj' : દેશની રાજધાની નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે(RSS) પોતાનું નવું અને ભવ્ય કાર્યાલય બનાવ્યું છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ RSS કાર્યાલય લગભગ 4 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. સંઘનું આ કાર્યાલય 13 માળની ભવ્ય ઇમારતથી બનેલું છે. તેમાં કુલ 300 રૂમ અને ઑફિસો છે.
લગભગ 150 કરોડ રૂપિયાના ખર્ચે બન્યું નવું કાર્યાલય
ઘણાં સમયથી સંઘ પોતાના કાર્યાલયનું નિર્માણ કરી રહ્યું હતું. આ બાંધકામનું કાર્ય પૂર્ણ થયા પછી સંઘે તેનું કાર્યાલય જૂના સરનામે ખસેડ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, દિલ્હીના ઝાંડેવાલનમાં સ્થિત RRSનું કેશવ કુંજ કાર્યાલયના પુનર્નિર્માણ માટે લગભગ 150 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ખર્ચ હિન્દુત્વ સંગઠનની વિચારધારા પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા 75,000થી વધુ લોકોના યોગદાન દ્વારા એકત્ર કરવામાં આવ્યો છે. જેને પૂરું કરવામાં આઠ વર્ષથી વધુનો સમય લાગ્યો હતો.
19 ફેબ્રુઆરીએ શરુ થશે કાર્યાલય
RSS પ્રમુખ મોહન ભાગવત અને મહાસચિવ દત્તાત્રેય હોસાબલે 19 ફેબ્રુઆરીએ સંગઠનના દિલ્હી એકમના કાર્યકર સંમેલનમાં હાજરી આપશે અને ઝાંડેવાલન કાર્યાલયથી સંગઠનનું કાર્ય શરુ કરશે. અહીં તમને જણાવી દઈએ કે સન 1962થી ઝાંડેવાલનમાં સંઘનું કાર્યાલય છે. અહીં બાંધકામ શરુ થયા પછી વર્ષ 2016થી RSS ભાડાના સ્થળેથી પોતાની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યું હતું.
નવું કાર્યાલયમાં આધુનિક પ્રાચીન સ્થાપત્યનો સંગમ
સૂત્રોના જણાવ્યા અનુસાર, નવું કાર્યાલય અગાઉના બે માળના મકાન કરતાં તદ્દન અલગ છે. આ કાર્યલયને આધુનિક બાંધકામની તકનીકો અને પ્રાચીન સ્થાપત્યને જોડીને તૈયાર કરવામાં આવ્યું છે. ઇમારતની જાળીઓ પર સ્વસ્તિક ચિહ્નો મૂકવામાં આવ્યા છે. આ ઇમારતના ઓડિટોરિયમમાં RSSના સ્થાપક કેશવ બલિરામ હેડગેવારની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.
ગુજરાતના આર્કિટેક્ટ અનુપ દવેએ બનાવી ઇમારતની ડિઝાઇન
ગુજરાતના આર્કિટેક્ટ અનુપ દવેએ આ ઇમારતની ડિઝાઇન બનાવી છે. ઇમારતના ત્રણ ટાવરને સાધના, પ્રેરણા અને અર્ચના નામ આપવામાં આવ્યા છે. આ ઇમારતમાં એક એસેમ્બલી હોલનું નામ વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી નેતા અશોક સિંઘલના નામ પરથી રાખવામાં આવ્યું છે. અશોક સિંઘલ રામ મંદિર નિર્માણ ચળવળ સાથે જોડાયેલા હતા. આ ઓડિટોરિયમમાં 463 લોકો બેસી શકે છે. તેની બાજુમાં આવેલા બીજા ઓડિટોરિયમમાં 650 પ્રેક્ષકો બેસી શકે છે.
આધુનિક સુવિધાથી સજ્જ કાર્યાલય
સૂત્રોના જણાવ્યું હતું કે, RSS કાર્યાલયમાં પદાધિકારીઓ અને સભ્યો માટે રહેઠાણની સુવિધાઓ અને એક લાયબ્રેરી, હેલ્થ ક્લિનિક અને સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સુવિધાઓ પણ છે. આ ઉપરાંત તેની કુલ વીજળીની જરૂરિયાતોના એક ભાગને પૂર્ણ કરવા માટે સોલાર પેનલ્સ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ ઇમારતની આરોગ્ય સુવિધાઓ નજીકમાં રહેતા ગરીબ લોકો માટે ખુલ્લી રહેશે અને બહારના લોકો પણ લાયબ્રેરીની સુવિધાઓનો લાભ લઈ શકશે. નવા કાર્યાલયમાં આધુનિક અને વધુ જગ્યા ધરાવતા કોન્ફરન્સ રૂમ અને ઓડિટોરિયમ પણ છે.