મંદિરમાં ઓપરેશન સિંદૂરવાળી રંગોળી બનાવનારા RSSના 27 કાર્યકરો સામે કેસ દાખલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| Image X (Twitter) |
FIR against RSS: ઓણમ ઉત્સવ દરમિયાન કેરળના કોલ્લમ જિલ્લાના એક મંદિરમાં ફૂલોની રંગોળી બનાવવાના આરોપમાં 27 RSS સ્વયંસેવકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે શનિવારે પોલીસે માહિતી આપી હતી. મંદિર સમિતિ દ્વારા કેરળ હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું હોવાનું કહી, આ સંદર્ભમાં કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે, ભાજપે પોલીસ કાર્યવાહીની નિંદા કરી હતી અને દાવો કર્યો હતો કે, મુથુપ્પીલકડના પાર્થસારથી મંદિરમાં બનાવેલી રંગોળી 'ઓપરેશન સિંદૂર'ના સન્માનમાં બનાવવામાં આવી હતી.
આ પણ વાંચો: ઉત્તર ભારતમાં પૂરનો પ્રકોપ: પંજાબ અને હિમાચલ પ્રદેશની સમીક્ષા કરશે PM મોદી
ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ
મંદિર સમિતિના એક અધિકારી અશોકન સી. દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ 223 (લોક સેવકો દ્વારા કાયદેસર રીતે જાહેર કરાયેલા આદેશોનું ઉલ્લંઘન), 192 (હુલ્લડો કરવાના ઈરાદાથી જાણી જોઈને ઉશ્કેરણી કરવાની કાર્યવાહી) અને 3(5) (ઘણા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલ ગુનાહિત કૃત્ય) હેઠળ કેસ નોંધ્યો છે.
RSSના ધ્વજના ચિત્રવાળી ફૂલોની રંગોળી બનાવી હતી
FIR અનુસાર આરોપીઓએ મંદિરના મુખ્ય માર્ગ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના ધ્વજના ચિત્રવાળી ફૂલોની રંગોળી બનાવી હતી, જે હાઈ કોર્ટના એ આદેશનું ઉલ્લંઘન કર્યું હતું, જેમાં
સમિતિની મંજૂરી વગર મંદિર પરિસરમાં 'ફ્લેક્સ બોર્ડ' સહિત કોઈપણ પ્રકારની સજાવટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મંદિરથી 50 મીટર દૂર છત્રપતિ શિવાજીનું 'ફ્લેક્સ બોર્ડ' પણ લગાવવામાં આવ્યું હતું.
'મંદિર પરિસરની નજીક ધ્વજ સહિત કોઈપણ સુશોભન પર પ્રતિબંધ'
મંદિર સમિતિના સભ્ય મોહનને મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, 'તહેવારો દરમિયાન મંદિરની નજીક ધ્વજ લગાવવાને લઈને ભૂતકાળમાં ઘણી વખત ઘર્ષણ થયું છે. આ પ્રકારના ઘર્ષણ ટાળવા માટે અમે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં 2023 માં મંદિર પરિસરની નજીક ધ્વજ સહિત કોઈપણ સુશોભન વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમ છતાં, RSS ના સ્વયંસેવકોએ મંદિર સમિતિની ફૂલોની ડિઝાઇનની બાજુમાં તેમના ધ્વજ સાથે ફૂલોની રંગોળી બનાવી અને ફૂલોથી 'ઓપરેશન સિંદૂર' લખ્યું હતું.'
'હાઇકોર્ટના આદેશનું ઉલ્લંઘન થયું છે'
અધિકારીએ કહ્યું કે, 'આ હાઇકોર્ટના આદેશનું ઉલ્લંઘન થયું છે અને તેનાથી સંઘર્ષ વધી શકે છે, જેથી અમે ફરિયાદ નોંધાવી છે. અમે ઓપરેશન સિંદૂરનું સંપૂર્ણ સન્માન કરીએ છીએ, પરંતુ આરોપીઓ જે ચિત્રણ કરી રહ્યા છે તે એવું નથી.'
આ પણ વાંચો: 'દિલ્હીની હવા સૌથી ઝેરી, અમદાવાદ કરતાં ત્રણ ગણી ઘાતક...', પૂણેની IITMના રિસર્ચમાં ખુલાસો
આ ઘટના 'આઘાતજનક' છે: ભાજપ
ભાજપે એક નિવેદનમાં પોલીસ પર નિશાન સાધતાં કહ્યું કે, આ ઘટના 'આઘાતજનક' છે. ભાજપના પ્રદેશ પ્રમુખ રાજીવ ચંદ્રશેખરે પ્રશ્ન કર્યો કે કેરળમાં જમાત-એ-ઇસ્લામીનું પાકિસ્તાનનું શાસન છે.








