Get The App

પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ રૂ.18,880 કરોડ ટ્રાન્સફર કરાયા

Updated: Jun 21st, 2026

GS TEAM

Google News
Google News
પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ રૂ.18,880 કરોડ ટ્રાન્સફર કરાયા 1 - image

- 9.44 કરોડ ખેડૂતોના ખાતામાં ૨૩મો હપ્તો જમા

- વડાપ્રધાને બંગાળમાં રેલવે, કૃષિ, ગ્રામીણ વિકાસ સહિત અનેક પ્રોજેક્ટના ઉદ્ધાટન-શિલાન્યાસ કર્યા

કોલકાતા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પીએમ કિસાન સન્માન નિધિનો ૨૩મો હપ્તો ઈશ્યુ કર્યો હતો, જેને પગલે દેશમાં ૯.૪૪ કરોડ ખેડૂતોના ખાતામાં કુલ રૂ. ૧૮,૮૮૦ કરોડ ટ્રાન્સફર કરાયા હતા. આ સાથે વડાપ્રધાને પશ્ચિમ બંગાળમાં રેલવે, કૃષિ, ગ્રામીણ વિકાસ, મત્સ્ય પાલન અને પશુપાલન સંબંધિત વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ધાટન અને શિલાન્યાસ પણ કર્યા હતા. 

વડાપ્રધાન મોદી પશ્ચિમ બંગાળ દિવસ અને ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના મુખ્ય કાર્યક્રમમાં સામેલ થવા માટે શનિવારના બે દિવસના બંગાળના પ્રવાસે છે. આ પ્રવાસમાં પીએમ મોદીએ શનિવારે હુગલી જિલ્લાના તારકેશ્વરમાં પશ્ચિમ બંગાળ દિવસ સમારંભમાં ભાગ લીધો હતો. પીએમ મોદીએ પીએમ-કિસાન ફંડનો ૨૩મો હપ્તો રિલિઝ કર્યો હતો. આ સાથે સમગ્ર દેશમાં અંદાજે નવ કરોડથી વધુ ખેડૂતોના બેન્ક ખાતામાં સીધા જ કુલ રૂ. ૧૯,૦૦૦ કરોડ જેટલા નાણાં ટ્રાન્સફર કરાયા હતા. 

બંગાળમાં સત્તા પરિવર્તન પછી નવી ભાજપ સરકારે પહેલી વખત ૨૦ જૂને રાજ્યના સ્થાપના દિવસની ઊજવણ કરી હતી. આ સમયે વડાપ્રધાન મોદીએ તારકેશ્વરમાં રાજ્ય સરકાર તરફથી જનસંઘના સંસ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીની ૧૨૫મી જયંતિના સંદર્ભમાં તેમની ૧૨૫ ફૂટ ઊંચી મૂર્તિની સ્થાપના માટે ભૂમિપૂજન પણ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ બંગાળમાં પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની શરૂઆત કરી હતી, જેથી હવે વિશ્વની સૌથી મોટી પાક વીમા યોજનાનો લાભ રાજ્યના ખેડૂતોને પણ મળશે.