૧૭ ઓગસ્ટ ૧૯૦૯ના રોજ લંડનમાં ક્રાંતિવીર મદનલાલ ઢીંગરા ફાંસીના માચડે લટકયા હતા
ઢીંગરાએ એક પછી પાંચ ગોળીઓ કર્ઝન વાયલીના શરીરમાં ઉતારી દિધી હતી
ગુજરાતના સ્વાતંત્ર્ય વીર સરદારસિંહ રાણાએ બંદૂક આપી હતી
લંડન જઇને ક્રુર અંગ્રેજ કર્ઝન વાયલીને ગોળીએ દેનારા ક્રાંતિવીર મદનલાલ ઢીંગરાને ૧૭ ઓગસ્ટના રોજ ફાંસી અપાઇ હતી. કર્નલ વાયલીની છાતી ચીરીને આરપાર નિકળેલી ગોળીની રિવોલ્વર ગુજરાતના સ્વાતંત્ર્ય વીર સરદારસિંહ રાણાએ આપી હતી. સરદારસિંહ રાણા દેશથી બહાર રહીને આઝાદીની લડત ચલાવતા હતા ત્યારે લંડનમાં મદનલાલ ઢીંગરા તેમના સંપર્કમાં આવ્યા હતા.
મદનલાલ ઢીંગરા ૮ ફેબુઆરી ૧૮૮૩માં પંજાબ રાજયના અમૃતસરમાં થયો હતો. તેમના સિવિલ સર્જન પિતા દિતાંમલ અંગ્રેજીયતના રંગે રંગાયેલા હતા .ઢીંગરાના માતા ધાર્મિક અને સંસ્કારો ધરાવતા હતા. મદનલાલ ઢીંગરાને લાહોરમાં એક કોલેજમાંથી સ્વતંત્રતા સંબંધી પ્રવૃતિઓના આરોપસર કાઢી મુકવામાં આવતા માતા પિતા સાથેના સંબંધો કપાઇ ગયા હતા.
મદનલાલે આજીવિકા માટે કલાર્ક તરીકે નોકરી કરી હતી. ત્યાર બાદ તેમણે ઘોડાચાલક અને કારખાનામાં મજુર તરીકે પણ કામ કર્યુ હતું. કારખાનામાં મજુરોની સ્થિતિ સુધારવા માટે મદનલાલે યુનિયન બનાવવાનો પ્રયાસ કરતા તેમને નોકરીમાંથી પણ કાઢી મુકવામાં આવ્યા હતા. છેવટે તેઓ કામની શોધમાં મુંબઇ પણ આવી ગયા હતા.
મુંબઇ થોડોક સમય રહયા પછી ભાઇની સલાહથી વિદેશ સ્ટડી માટે જવા તૈયાર થયા હતા. લંડનમા રહેતા રાષ્ટ્રવાદી કાર્યકરોએ મદનલાલ ઢીંગરાને સ્ટડી માટે આર્થિક મદદ કરી હતી. ખાસ કરીને તેઓ વીર સાવરકર અને શ્યામજી કૃષ્ણવર્માના સંપર્કમાં આવ્યા હતા. મદનલાલે અભિનવ ભારત નામની ક્રાંતિકારીઓની સંસ્થામાં પણ જોડાઇને બંદુક જેવા શસ્ત્રો ચલાવવાની તાલીમ મેળવી હતી. મદનલાલ ઢીંગરા એ સમયે ક્રાંતિકારી પ્રવૃતિઓનું કેન્દ્ર ગણાતા ઇન્ડિયા હાઉસમાં રહેતા હતા. એ સમયે ખુદીરામ બોઝ, સત્યેન્દ્ર પાલ અને કન્હાઇલાલ દત્તને ફાંસી આપવામાં આવતા યુવાનો ગુસ્સાથી લાલચોળ રહેતા હતા.
આ ઘટનાએ મદનલાલ ઢીંગરાને અંગ્રેજો સામે બદલો લેવાની ભાવનાને જન્મ આપ્યો હતો. ૯ જુલાઇ ૧૯૦૯માં સાંજે ઇન્ડિયન નેશનલ એસોસિએશનના વાર્ષિક ઉત્સવમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં અંગ્રેજો અને ભારતીયો એકત્ર થયા હતા. જેમાં ભારતીય સચિવના રાજકિય સલાહકાર સર વિલિયમ હટ કર્જન વાયલીએ પોતાની પત્નિ સાથે પ્રવેશ કર્યો હતો.
મદનલાલ ઢીંગરાએ તરત જ પોઝિશન લઇને ધડાધડ પાંચ ગોળીઓ ધરબી દેતા કર્ઝન વાયલી ત્યાંજ ઢળી પડયો હતો. મદનલાલ ઢીંગરાએ પકડાઇ જવાના ડરથી ખુદ પોતાને ગોળી મારવા પ્રયાસ કર્યો પરંતુ તેઓ પકડાઇ ગયા હતા. મદનલાલ ઢીંગરાને જેલમાં પુરીને તેમના પર ખટલો ચલાવવામાં આવ્યો હતો. છેવટે ૧૭ ઓગસ્ટ ૧૯૦૯ના રોજ લંડનની પેંટવિલે જેલમાં ફાંસી આપવામાં આવી હતી. આ ઘટનાને 110 વર્ષ થયા છે. મદનલાલ ઢિંગરા જેવા સેંકડો ક્રાંતિકારીઓએ બલીદાન આપીને દેશને આઝાદી અપાવી છે.