રેલવેએ 5 થી 12 વર્ષના બાળકો માટે બદલ્યો આ નિયમ અને 7 વર્ષમાં કરી 2800 કરોડની ધૂમ કમાણી
એક આરટીઆઇના જવાબમાં આ માહિતી સામે આવી, સૌથી વધુ 2022-23માં 560 કરોડની કમાણી થઈ
નવા નિયમ મુજબ રેલવે 5 થી 12 વર્ષ વચ્ચેની વયના બાળકો માટે જો કોચમાં અલગ બર્થ કે સીટ જોઈતી હોય તો આખી ટિકિટનું ભાડું ચૂકવવું પડે છે
બાળકો માટેના યાત્રાના નિયમોમાં ફેરફાર કરીને સાત વર્ષના સમયગાળામાં જ ભારતીય રેલવે (Indian Railway) એ 2800 કરોડ રૂપિયાથી વધારાની કમાણી કરી નાખી. એક આરટીઆઈ (RTI) ના જવાબમાં આ માહિતી સામે આવી હતી. સેન્ટર ફોર રેલવે ઇન્ફર્મેશન સિસ્ટમ્સ (CRIS) દ્વારા મળેલા એક જવાબમાં જાણકારી મળી કે સુધારેલા માપદંડને લીધે રેલવેને 2022-23 દરમિયાન જ 560 કરોડની અધધધ... કમાણી થઈ હતી. આ રીતે આ સૌથી વધુ નફાકારક વર્ષ બની ગયો.
કયો નિયમ બદલવાથી થયો ફાયદો?
રેલવે મંત્રાલય હેઠળ આવતું CRIS ટિકિટ અને યાત્રીઓ, માલવહન સેવાઓ, રેલવે યાતાયાત નિયંત્રણ અને સંચાલન જેવા મુખ્ય ક્ષેત્રોમાં આઈટી સમાધાન ઉપલબ્ધ કરાવે છે. રેલવે મંત્રાલયે 31 માર્ચ, 2016ના રોજ જાહેરાત કરી હતી કે રેલવે 5 થી 12 વર્ષ વચ્ચેની વયના બાળકો માટે જો કોચમાં અલગ બર્થ કે સીટ જોઈતી હોય તો આખી ટિકિટનું ભાડું વસૂલ કરશે. આ સુધારેલા માપદંડ 21 એપ્રિલ, 2016થી અમલી થયા હતા.
આંકડામાં સામે આવી ચોંકાવનારી માહિતી
અગાઉ રેલવે 5 થી 12 વર્ષની વચ્ચેના બાળકો માટે અડધી ટિકિટ લઈને તેમને બર્થ ઉપલબ્ધ કરાવતું હતું. એક અન્ય વિકલ્પ હેઠળ જો બાળક અલગ બર્થ ન લઈને સાથે જ મુસાફરી કરતાં વયસ્ક સાથે યાત્રા કરે તો પણ તેના માટે અડધી ટિકિટ લેવી પડે છે. આંકડામાં જાણકારી મળી કે આ સાત વર્ષોમાં 3.6 કરોડથી વધુ બાળકોએ રિઝર્વ સીટ કે બર્થનો વિકલ્પ પસંદ કર્યા વિના અડધી ટિકિટ આપી મુસાફરી કરી હતી. બીજી બાજુ 10 કરોડથી વધુ બાળકોએ અલગ બર્થ કે સીટનો વિકલ્પ પસંદ કર્યો અને આખી ટિકિટનું ભાડું ચૂકવ્યું. આ આરટીઆઈ ચંદ્રશેખર ગૌડે કરી હતી. જવાબમાં એ પણ જાણકારી મળી કે રેલવેમાં મુસાફરી કરનારા કુલ બાળકોમાં લગભગ 70 ટકા બાળકો સંપૂર્ણ બર્થ કે સીટ લઈને યાત્રા કરવાનું પસંદ કરે છે.