બંધારણના આમુખમાંથી 'સમાજવાદ' અને 'ધર્મનિરપેક્ષ' શબ્દ હટાવવા આસામના CMની અપીલ, જુઓ શું કહ્યું?
Himanta Biswa Sarma: બંધારણના આમુખમાંથી સમાજવાદ અને ધર્મનિરપેક્ષ શબ્દો દૂર કરવા માટે ભાજપ નેતાઓ દ્વારા સંઘને કરવામાં આવેલી અપીલ વચ્ચે, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ મોરચો ખોલ્યો છે. એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી સરમાએ ઈમરજન્સીને લઈને કોંગ્રેસ પર નિશાનો સાધતા કહ્યું હતું કે, 'ઈમરજન્સી વખતે બંધારણમાં ઉમેરવામાં આવેલા ધર્મનિરપેક્ષ અને સમાજવાદ શબ્દોને હટાવી દેવા જોઈએ. આ સાથે કટોકટીના તમામ વારસાને દૂર કરવાનો આ યોગ્ય સમય છે.'
મુખ્યમંત્રી સરમાએ શું કહ્યું?
ભાજપના મુખ્ય કાર્યલયમાં 'ધ ઈમરજન્સી ડાયરીઝ' નામની પુસ્તકનું વિમોચન કરતી વખતે સરમાએ બંધારણના આમુખમાંથી આ બે શબ્દો હટાવવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'આ શબ્દો ક્યારેય મૂળ બંધારણનો ભાગ જ નહોતા, એટલા માટે તેને હટાવી દેવા જોઈએ. કારણ કે ધર્મનિરપેક્ષ સર્વ ધર્મ સમભાવના ભારતીય વિચારોની વિરોધમાં છે અને સમાજવાદ ભારતીની મૂળ આર્થિક દ્રષ્ટિનો ક્યારેય ભાગ રહ્યો નથી.'
મુખ્યમંત્રીએ કહ્યું કે, 'આજે આપણે આ પુસ્તકનું વિમોચન કર્યું. જેમાં કટોકટી દરમિયાન સંઘર્ષ અને પ્રતિકાર વિશે બતાવવામાં આવ્યું છે. જ્યારે આપણે કટોકટી વિશે વાત કરીએ છીએ, ત્યારે તેના બાકી રહેલા પ્રભાવોને ભૂંસી નાખવાનો સમય આવી ગયો છે. '
તેમણે પૂર્વ વડાપ્રધાન પર પ્રહાર કરતા કહ્યું કે, 'આ શબ્દો કટોકટી દરમિયાન ઇન્દિરા ગાંધી દ્વારા ઉમેરવામાં આવ્યા હતા. તેથી હું સરકારને અપીલ કરું છું કે આ બે શબ્દો બંધારણમાંથી દૂર કરવામાં આવે. કારણ કે આ ક્યારેય મૂળ બંધારણનો ભાગ નહોતા.'