ઇન્ફોસીસને રાહત : રૂ. 32,400 કરોડની નોટિસનો કેસ બંધ કરાયો
ગયા વર્ષે આઇટી કંપનીને જંગી રકમના લેણાંની નોટિસ ફટકારાઈ હતી
ભારતીય કંપનીને તેના વિદેશી એકમ દ્વારા પૂરી પાડવામાં આવતી સર્વિસ જીએસટીમાં આવતી નથી : સીબીડીટી
લગભગ વર્ષ પહેલા જીએસટી સત્તાવાળાઓએ ઇન્ફોસિસને રૂ. ૩૨,૪૦૩ કરોડની નોટિસ પાઠવી હતી. કંપનીની વિદેશની શાખાઓએ છેલ્લા પાંચ વર્ષમાં કરેલી કામગીરીને લઈને તેને આ નોટિસ પાઠવવામાં આવી હતી. આ જીએસટી માંગ ઇન્ફોસિસના વાર્ષિક નફા રૂ. ૨૬,૭૧૩ કરોડથી પણ વધારે હતી. હવે આ નોટિસ ક્લોઝ કરવામાં આવતા ઇન્ફોસિસને રાહત થઈ છે.
બેંગ્લુરુમાં મુખ્યમથક ધરાવતી કંપનીએ બીએસઇ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેને ડીજીસીઆઈ તરફથી આ કેસ ક્લોઝ થયો હોવાનો પત્ર મળી ગયો છે. ટીસીએસ, વિપ્રો, અને અન્ય ગ્લોબલ આઇટી કોન્ટ્રાક્ટ મેળવવા સ્પર્ધા કરી રહેલી ઇન્ફોસિસે જણાવ્યું હતું કે તેને ડીજીસીઆઈ તરફથી જુલાઈ ૨૦૧૭થી માર્ચ ૨૦૨૨ સુધી રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ આઇજીએસટી ન ચૂકવવા બદલ પ્રી-શોકોઝ નોટિસ પાઠવવામાં આવી હતી. ઇન્ફોસિસે જણાવ્યું હતું કે તેણે આ અંગે સત્તાવાળાઓને સતત જણાવ્યું હતું કે વિદેશના ખર્ચાઓ પર જીએસટી લાગતો નથી.
આ ઉપરાંત સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સે જીએસટી કાઉન્સિલને ભલામણ કરી હતી કે ભારતીય કંપનીને તેના વિદેશી એકમ દ્વારા પૂરી પાડવામાં આવતી સર્વિસ જીએસટીને આધીન નથી. ટેક ફર્મે જણાવ્યું હતું કે જીએસટી ચૂકવણી ફક્ત આઇટી સર્વિસિસના નિકાસ પર ક્રેડિટ કે રિફંડની સામે કરવાની હોય છે.
બેંગ્લુરુના ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સનો અભિપ્રાય હતો કે ઇન્ફોસિસે વિદેશમાં તેના જ એકમ પાસેથી મેળવેલી સર્વિસ પર આઇજીએસટી ચૂકવ્યો નથી. ઇન્ફોસિસે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ચોખ્ખા નફામાં ૧.૮ ટકા વધારો નોંધાવતા તે સામાન્ય વધી રુ. ૨૬,૭૧૩ કરોડ થયો હતો. જ્યારે આવક ૬.૦૬ ટકા વધીને રૂ. ૧,૬૨,૯૯૦ કરોડ થઈ હતી, જે તેના ૪.૫ ટકાથી પાંચ ટકાની વૃદ્ધિના અંદાજ કરતાં વધારે હતી.