Get The App

ત્રણ જ દિવસમાં ભાજપ સરકાર કેમ બેકફૂટ પર? જૂના વાહન પર બેન પાછા ખેંચવાના જાણો 3 કારણ

Updated: Jul 4th, 2025

GS TEAM

Google News
Google News
ત્રણ જ દિવસમાં ભાજપ સરકાર કેમ બેકફૂટ પર? જૂના વાહન પર બેન પાછા ખેંચવાના જાણો 3 કારણ 1 - image
Images Sourse: IANS

Delhi Old Vehicle Ban: પહેલી જુલાઈ 2025થી દિલ્હીમાં લાગુ કરાયેલા કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)ના આદેશને લઈને દિલ્હીની ભાજપ સરકાર બેકફૂટ પર છે. નિયમ લાગુ કર્યાના માત્ર ત્રણ દિવસ પછી સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચવો પડ્યો. હવે દિલ્હી સરકારે સીએક્યૂએમને તાત્કાલિક અમલ કરતા પહેલા તેના પર વિચાર કરવા આપીલ કરી છે અને આ આદેશને હાલ પૂરતો મુલતવી રાખવા જણાવ્યું છે. ત્યારે સમજીએ કે દિલ્હી સરકારે કેન્દ્રને તેના આદેશ પર પુનર્વિચાર કરવા માટે શા માટે અપીલ કરી અને તેની પાછળની વાસ્તવિક તકનીકી અને સામાજિક સમસ્યાઓ શું છે...

ટ્રાફિક પોલીસે જૂના વાહનો જપ્ત કરવાનું શરૂ કર્યું હતું

અહેવાલો અનુસાર, કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટે આદેશમાં 10 વર્ષથી વધુ જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ વાહનોને બળતણ ન આપવાનો કડક આદેશ આપ્યો હતો. જેનો દિલ્હી સરકારે કડક અમલ કર્યો અને પરિવહન વિભાગ અને ટ્રાફિક પોલીસે પહેલી જુલાઈથી પેટ્રોલ પંપ પર રોકાતા જૂના વાહનો (ELV) જપ્ત કરવાનું શરૂ કર્યું.

દિલ્હીમાં લાગુ કરાયેલો આ નિર્ણય સામાન્ય માણસ સાથે સીધો સંબંધ ધરાવે છે, ખાસ કરીને તે લાખો નાગરિકો સાથે જેમની આજીવિકા, પરિવહન અને વ્યક્તિગત જરૂરિયાતો આ જૂના વાહનો પર આધારિત છે. પરિવહન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં લગભગ 62 લાખ વાહનો એવા છે જેમનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે. તેમાં 41 લાખ ટુ-વ્હીલર અને 18 લાખ ફોર-વ્હીલરનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં, દિલ્હીમાં અચાનક મોટા પાયે જૂના વાહનો જપ્ત કરવા અંગે લાખો લોકોમાં રોષ દેખાઈ રહ્યો હતો.

આ પણ વાંચો: બેદરકારીથી અકસ્માતના કિસ્સામાં મૃતકોના પરિવારોને વીમાનું વળતર નહીં મળે: સુપ્રીમ કોર્ટ

ANPR સિસ્ટમ સૌથી મોટો અવરોધ

કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટના માર્ગદર્શિકા હેઠળ પેટ્રોલ પંપ પર એન્ડ-ઓફ-લાઇફ (EOL) શ્રેણીમાં આવતા વાહનોને ઓળખવા માટે ઓટોમેટેડ નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) કેમેરાનો ઉપયોગ કરવાનો હતો. પરંતુ દિલ્હી સરકાર કહે છે કે આ ટેકનોલોજી સંપૂર્ણપણે તૈયાર નથી. ઘણાં પેટ્રોલ પંપ પર કેમેરા યોગ્ય રીતે કામ કરી રહ્યા નથી.



દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ CAQMને લખેલા પત્રમાં કહ્યું છે કે, 'કેમેરાની સ્થિતિમાં, ખામીયુક્ત સેન્સર અને સ્પીકર સિસ્ટમમાં ટેકનિકલ ખામી જોવા મળી છે. હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP)ના અભાવે કેમેરા વાહનને ઓળખી શકતો નથી. જ્યારે મૂળભૂત ઓળખ પ્રણાલી પોતે જ યોગ્ય રીતે કામ કરી રહી નથી, ત્યારે કાયદાનો અસરકારક અમલ કેવી રીતે શક્ય છે?'

NCRમાં કોઈ સંકલન નથી, આદેશ ફક્ત દિલ્હી પૂરતો મર્યાદિત છે

દિલ્હી સરકારનો બીજો મોટો તર્ક પ્રાદેશિક અસંતુલન વિશે છે. આ આદેશ ફક્ત દિલ્હીમાં લાગુ પડે છે, જ્યારે આ સિસ્ટમ ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ જેવા અન્ય NCR શહેરોમાં લાગુ પડતી નથી. આનાથી બે સમસ્યાઓ ઊભી થાય છે - જૂના વાહન માલિકો NCRના અન્ય શહેરોમાંથી બળતણ મેળવી શકે છે. આ માત્ર કાયદાનું ઉલ્લંઘન કરશે નહીં, પરંતુ ગેરકાયદે દાણચોરી અને બળતણના કાળાબજારને પણ પ્રોત્સાહન આપશે. બીજું NCRમાં ANPR કેમેરા ઈન્સ્ટોલ કરેલા નથી, જેના કારણે ટેકનોલોજીનો સંકલિત અને અસરકારક ઉપયોગ અશક્ય છે. આવી સ્થિતિમાં, જ્યાં સુધી આ સિસ્ટમ સમગ્ર NCRમાં તૈયાર ન થાય ત્યાં સુધી આ નિયમ લાગુ ન કરવો જોઈએ.

આજીવિકા માટે ખતરો

દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજિન્દર સિંહ સિરસા અને મુખ્યમંત્રી રેખા ગુપ્તા બંનેએ આ આદેશના સામાજિક પ્રભાવ પર ખાસ ભાર મૂક્યો છે. પત્રમાં લખ્યું છે કે, 'લાખો લોકોનું દૈનિક જીવન, વ્યવસાય અને આજીવિકા આ ​​વાહનો પર નિર્ભર છે. બળતણ પુરવઠો અચાનક બંધ થવાથી લોકોના જીવન પર ખરાબ અસર પડી રહી છે.'

ત્રણ જ દિવસમાં ભાજપ સરકાર કેમ બેકફૂટ પર? જૂના વાહન પર બેન પાછા ખેંચવાના જાણો 3 કારણ 2 - image




Tags :