'અમારું સોનું પાછું આપો', ભારત રાતોરાત કેમ પાછું લાવી રહ્યું છે પોતાનું સોનું? જાણો કારણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

RBI Shifts Gold Reserves: ઈરાન અને અન્ય દેશો વચ્ચે વધતા યુદ્ધના તણાવ અને બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે દુનિયાભરમાં એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી જે સોનું લંડન અને ન્યૂયોર્ક જેવા શહેરોમાં સુરક્ષિત માનવામાં આવતું હતું, તેને હવે વિવિધ દેશો પોતાની ઘરેલું તિજોરીઓમાં પરત લાવી રહ્યા છે. આ 'ગોલ્ડ રશ' પાછળ સુરક્ષા અને ભરોસાનો પ્રશ્ન મુખ્ય છે. ભારત આ બાબતે સૌથી વધુ સક્રિય છે અને પોતાના સોનાનો મોટો હિસ્સો દેશમાં પરત લાવી રહ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને અફઘાનિસ્તાનની સંપત્તિ ફ્રીઝ થવા જેવી ઘટનાઓએ કેન્દ્રીય બૅન્કોને વિચારવા મજબૂર કરી છે કે વિદેશમાં રાખેલું સોનું રાજકીય નિર્ણયોને કારણે ગમે ત્યારે ફસાઈ શકે છે.
RBIનો માસ્ટરપ્લાન: 77% સોનું હવે ભારતમાં સુરક્ષિત
ભારતીય રિઝર્વ બૅન્કે(RBI) વિદેશમાંથી સોનું પરત લાવવાની પ્રક્રિયાને નોંધપાત્ર રીતે ઝડપી બનાવી છે. ઑક્ટોબર 2025થી માર્ચ 2026ના રિપોર્ટ અનુસાર, ભારતના કુલ 880.52 ટન સોનામાંથી હવે અંદાજે 77% એટલે કે 680 ટન સોનું દેશની અંદર જ રાખવામાં આવ્યું છે. જ્યારે 197.67 ટન સોનું હજુ પણ બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ અને બૅન્ક ઑફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સ પાસે છે અને 2.8 ટન સોનું ડિપોઝિટ તરીકે રાખેલું છે. છેલ્લા માત્ર 6 મહિનામાં જ RBI દ્વારા 104.23 ટન સોનું ભારત પરત મંગાવી લેવામાં આવ્યું છે. માર્ચ 2023માં ભારત પાસે માત્ર 37% સોનું દેશમાં હતું, જે હવે વધીને 77% થઈ ગયું છે.
આ પણ વાંચો: મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં કશું ખોટું નથી: TMCને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો
'જો સોનું તમારી પાસે નથી, તો તે તમારું નથી'
નિષ્ણાતોના મતે હવે સોનું માત્ર એક રોકાણ નહીં પણ 'સુરક્ષા વીમો' બની ગયું છે અને વીમો ત્યારે જ કામ આવે જ્યારે જરૂરિયાતના સમયે તે તમારી પાસે હોય. ભારતની કુલ વિદેશી મુદ્રા ભંડારમાં સોનાનો હિસ્સો 13.9%થી વધીને હવે 16.7% થયો છે. અગાઉ લંડન જેવા બજારોમાં ટ્રેડિંગની સરળતા માટે સોનું ત્યાં રાખવામાં આવતું હતું, પરંતુ હવે લિક્વિડિટી કરતાં સુરક્ષા વધુ મહત્ત્વની બની છે. ભારત અત્યારે એવું સંતુલન બનાવી રહ્યું છે કે થોડું સોનું લિક્વિડિટી માટે બહાર રહે પરંતુ મોટો હિસ્સો પોતાના સંપૂર્ણ નિયંત્રણમાં રહે, જેથી કોઈપણ કટોકટીના સમયે તેનો તાત્કાલિક ઉપયોગ કરી શકાય.









