Get The App

'રામ મંદિરમાં ચોરી નહીં લૂંટ થઇ છે...' નૃપેન્દ્ર મિશ્રાના આકરા નિવેદનથી ટ્રસ્ટની મુશ્કેલી વધી

Updated: Jun 21st, 2026

GS TEAM

Google News
Google News
'રામ મંદિરમાં ચોરી નહીં લૂંટ થઇ છે...' નૃપેન્દ્ર મિશ્રાના આકરા નિવેદનથી ટ્રસ્ટની મુશ્કેલી વધી 1 - image

Ram Temple News : અયોધ્યાના ઐતિહાસિક શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રદ્ધાળુઓના ચઢાવાની ચોરીના મામલે એક નવો અને અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. રામ મંદિર ભવન નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ આ ઘટનાને સામાન્ય ચોરી નહીં પરંતુ 'લૂંટ' ગણાવી છે. માધ્યમોમાં તેમના આ કડક નિવેદન બાદ રામ મંદિર ટ્રસ્ટમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને સમગ્ર વ્યવસ્થામાં મોટા ફેરફાર તેમજ જવાબદાર હોદ્દેદારો સામે કડક કાર્યવાહીના સંકેતો મળી રહ્યા છે.

CCTV ફૂટેજમાં પુરાવા મળ્યા, 45 દિવસ સિવાયનો રેકોર્ડ ગાયબ

મીડિયા સાથેની વાતચીતમાં નૃપેન્દ્ર મિશ્રાએ દાવો કર્યો છે કે, સીસીટીવી (CCTV) ફૂટેજમાં એવા સ્પષ્ટ પુરાવા મળ્યા છે જે ચોરીની પુષ્ટિ કરે છે. કેશ કાઉન્ટિંગ (નોટોની ગણતરી) દરમિયાન કેટલાક લોકો નોટોની થપ્પીઓમાંથી રકમ કાઢીને પોતાના ખિસ્સામાં મૂકતા કેમેરામાં કેદ થયા છે, જે વ્યવસ્થાની બહુ મોટી નિષ્ફળતા છે. વધુમાં તેમણે આક્ષેપ કર્યો છે કે, અત્યારે માત્ર 45 દિવસનું જ વીડિયો રેકોર્ડિંગ ઉપલબ્ધ છે, તે પહેલાના ફૂટેજ મળી રહ્યા નથી. આ ખુલાસા બાદ મંદિરની સુરક્ષા, મોનિટરિંગ અને નાણાં ગણતરીની પ્રક્રિયા પર ગંભીર સવાલો ઊભા થયા છે.

ચંપત રાય સહિતના પ્રમુખ હોદ્દેદારો પર વધી શકે છે દબાણ

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કૌભાંડમાં મોનિટરિંગની મોટી ચૂક સામે આવ્યા બાદ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) નો અંતિમ અહેવાલ આવતાં જ ટ્રસ્ટના કેટલાક ટોચના પદાધિકારીઓની ભૂમિકાની સમીક્ષા થઈ શકે છે. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય, અગ્રણી સભ્ય ડૉ. અનિલ મિશ્રા અને વ્યવસ્થા સંચાલન સાથે જોડાયેલા ગોપાલ રાવ પર જવાબદારી સ્વીકારવાનું દબાણ વધી રહ્યું છે અને તેમને પદ છોડવા માટે પણ કહેવામાં આવી શકે છે.

કર્મચારીઓ પર સીધી કાર્યવાહી

ચઢાવા પ્રકરણમાં નામ સામે આવ્યા બાદ ટિન્નુ યાદવ નામના કર્મચારી સહિત કેટલાક સ્ટાફ મેમ્બર્સ સામે સીધા પગલાં લેવાય તેવી પૂરેપૂરી સંભાવના છે. જો કે, અત્યાર સુધી ટ્રસ્ટ, એસઆઈટી કે શાસન સ્તર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

સોના-ચાંદીના દાગીનાનો કોઈ હિસાબ જ નથી!

નૃપેન્દ્ર મિશ્રાએ વધુ એક સનસનાટીપૂર્ણ દાવો કરતા જણાવ્યું કે, દેશભરમાંથી આવતા લાખો ભક્તો ભાવુક થઈને રામલલાને પોતાની સોનાની વીંટી, કાનના કુંડળ, કંગન અને અન્ય કિંમતી આભૂષણો દાનપાત્રમાં અર્પણ કરી દેતા હતા. દાનપાત્રમાંથી રોકડ કાઢવા અને ગણવા માટે 44 સભ્યોની ટીમ બેંકના કર્મચારીઓ અને ટ્રસ્ટના સ્ટાફ સાથે તૈનાત રહેતી હતી, તેમ છતાં દાનમાં આવેલા સોના-ચાંદીના આ દાગીનાનો કોઈ સ્પષ્ટ રેકોર્ડ કે હિસાબ-કિતાબ ચોપડે જોવા મળતો નથી.

"15 દિવસમાં તપાસ પૂરી ન થઈ શકે, રિપોર્ટ જાહેર કરો"

એસઆઈટી (SIT) ની તપાસ અંગે વાત કરતા પૂર્વ ટોચના અમલદાર નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે, આટલા મોટા અને ગંભીર મામલાની તપાસ માત્ર 15 દિવસમાં પૂરી થઈ જાય તે વ્યાવહારિક કે કાયદાકીય રીતે શક્ય નથી. પુરાવા એકત્ર કરવા અને ચાર્જશીટ તૈયાર કરવામાં સમય લાગે છે, તેથી ઉતાવળ કરવાના બદલે તપાસની ગુણવત્તા મહત્વની છે. આ સાથે જ તેમણે માંગ કરી છે કે એસઆઈટીનો રિપોર્ટ જાહેર કરવો જોઈએ, કારણ કે આનાથી કરોડો રામભક્તોની આસ્થા જોડાયેલી છે અને તેમને સત્ય જાણવાનો પૂરો અધિકાર છે.

પ્રશાસનિક માળખામાં ફેરફાર અને નવી CEO ની ભૂમિકાની ચર્ચા

રાજકીય અને વહીવટી ગલિયારાઓમાં એવી ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે રામ મંદિર નિર્માણનું મુખ્ય કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું હોવાથી હવે ભવન નિર્માણ સમિતિની ભૂમિકા મર્યાદિત બની રહી છે. નૃપેન્દ્ર મિશ્રાએ વકીલાત કરી છે કે હવે ટ્રસ્ટનું માળખું બદલીને એક વ્યાવસાયિક 'વહીવટી માળખું' તૈયાર કરવું જોઈએ અને મંદિરમાં 'મુખ્ય કાર્યપાલક અધિકારી' (CEO) ની નિમણૂક કરવી જોઈએ. ભૂતકાળમાં વડાપ્રધાનના મુખ્ય સચિવ રહી ચૂકેલા નૃપેન્દ્ર મિશ્રાના આ આક્રમક વલણને જોતાં, જો સીઇઓ (CEO) જેવા પદનું સર્જન થાય તો તેમને જ આ મોટી વહીવટી જવાબદારી સોંપવામાં આવે તેવી અટકળો પણ તેજ થઈ છે.