Get The App

રામ મંદિર દાન ચોરી વિવાદ અંગે CM યોગીનું પ્રથમ નિવેદન, 'SIT દૂધનું દૂધ, પાણીનું પાણી કરશે'

Updated: Jun 19th, 2026

GS TEAM

Google News
Google News
રામ મંદિર દાન ચોરી વિવાદ અંગે CM યોગીનું પ્રથમ નિવેદન, 'SIT દૂધનું દૂધ, પાણીનું પાણી કરશે' 1 - image

CM Yogi Adityanath Ayodhya Visit : રામ મંદિરમાં દાનની કથિત ચોરીના મામલે દેશભરમાં ચાલી રહેલી ચર્ચાઓ અને એસઆઇટી તપાસ વચ્ચે શુક્રવારે મુખ્યમંત્રી યોગીએ  તોડ્યું છે. અયોધ્યાના રુદૌલી વિધાનસભા ક્ષેત્રમાં 126 જેટલા વિકાસ કાર્યોના શિલાન્યાસ અને લોકાર્પણ પ્રસંગે પહોંચેલા સીએમ યોગીએ એક જાહેર સભામાં લોકોને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, “તમે રામ મંદિર માટે 500 વર્ષ સુધી રાહ જોઈ છે, તો 15 દિવસ વધુ રાહ જોઈ લો. ટ્રસ્ટની વિનંતી પર જ SITની રચના કરવામાં આવી છે, જે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેશે.”

તપાસ દરમિયાન મર્યાદા જાળવવા અપીલ

સીએમ યોગીએ સ્પષ્ટ કર્યું કે સમાચાર માધ્યમોમાં અહેવાલો આવ્યા બાદ ટ્રસ્ટના કહેવાથી સરકારે તાત્કાલિક તપાસ બેસાડી છે. તેમણે રામ ભક્તોને અપીલ કરી છે કે જ્યાં સુધી તપાસ ચાલી રહી છે ત્યાં સુધી કોઈ પણ એવી અનર્ગળ કે બિનજરૂરી નિવેદનબાજી ન કરે જેનાથી ભક્તોની લાગણી દુભાય, કારણ કે આવી નિવેદનબાજી તપાસને પ્રભાવિત કરે છે. તેમણે ઉમેર્યું કે જો કોઈની પાસે આ ચોરી સંબંધિત કોઈ દસ્તાવેજી પુરાવા હોય તો તે સીધા એસઆઇટીને સોંપી શકે છે. પ્રભુ શ્રીરામે આપણને મર્યાદાનું પાલન કરવાની પ્રેરણા આપી છે, તેથી સૌએ મર્યાદા જાળવવી જોઈએ અને જો કોઈ ગુનેગાર સાબિત થશે તો તેને બક્ષવામાં નહીં આવે.

અખિલેશ યાદવ પર પ્રહાર: 'બાબરને માનનારા અયોધ્યાને બદનામ કરી રહ્યા છે'

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર સીધું નિશાન સાધતા સીએમ યોગીએ કહ્યું કે, જે લોકો રામ ભક્તો અને 'જય શ્રીરામ'ના નારા લગાવનારાઓ પર લાઠી-ગોળીઓ ચલાવતા હતા, તેઓ આજે ઉપદેશ આપવા નીકળ્યા છે. આ લોકો ક્યારેય નથી ઇચ્છતા કે અયોધ્યાને સન્માન મળે, તેઓ માત્ર અયોધ્યા અને અહીંના લોકોને અપમાનિત કરવા માંગે છે.

તેમણે વધુમાં કટાક્ષ કર્યો કે જેઓ ગુનેગારોની કબર પર જઈને ફાતિહા પઢે છે, જેમણે પોતે ક્યારેય રામલલાના દર્શન નથી કર્યા અને પોતાના ધારાસભ્યોને પણ આવતા રોક્યા હતા, તેઓ વાસ્તવમાં બાબરને માનનારા લોકો છે. સપાના તત્કાલીન ધારાસભ્ય મનોજ પાંડેએ જ્યારે બધા ધારાસભ્યોને અયોધ્યા લાવવાની વાત કરી ત્યારે અખિલેશે તેમને ધુત્કારી કાઢ્યા હતા, અને આજે એ જ મનોજ પાંડે અમારી સરકારમાં મંત્રી છે. યોગીએ કહ્યું કે સપાની વિચારસરણી માત્ર કબરસ્તાન અને તેની બાઉન્ડ્રી વોલ બનાવવા પૂરતી જ સીમિત રહી છે.

કોંગ્રેસના બેવડા ચરિત્ર પર પ્રહાર

કોંગ્રેસને પણ આડે હાથ લેતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે તેઓ બેવડા ચરિત્ર ધરાવતા લોકો છે. અયોધ્યામાં રામ મંદિર ન બને તે માટે કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યું હતું અને અયોધ્યાની ઓળખ પર સંકટ ઊભું કર્યું હતું. આજે એ જ કોંગ્રેસ રામ ભક્તોના અપમાનની વાતો કરીને હોબાળો મચાવી રહી છે. જ્યારે કોંગ્રેસ ભગવાન શ્રીરામના અસ્તિત્વ પર જ સવાલ ઉઠાવીને કહેતી હતી કે 'રામ છે જ નહીં', ત્યારે શું અપમાન નહોતું થતું? સીએમ યોગીએ લોકોને અયોધ્યાને બદનામ કરનારા આવા તત્ત્વોના બહેકાવવામાં ન આવવાની ખાસ તાકીદ કરી છે.