અયોધ્યામાં રામ મંદિરની આસપાસ બહુમાળી બિલ્ડિંગોના બાંધકામ પર પ્રતિબંધ, ADIનો નિર્ણય
Ram Temple Master Plan-2031 : ઉત્તરપ્રદેશમાં અયોધ્યા વિકાસ અધિકારી (ADA)એ માસ્ટર પ્લાન-2031 હેઠળ રામ મંદિરની આસપાસ ઊંચી બિલ્ડિંગના નિર્માણ પર પ્રતિબંધ મુક્યો છે. રામ મંદિરની સુંદરતા અને આધ્યાત્મિક પવિત્રતાને જાળવવા માટે ADA દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અયોધ્યામાં રામ મંદિરમાં જાન્યુઆરી 2022માં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારથી મંદિર નિર્માણના વિસ્તાર અને અન્ય યોજનાઓ પર સતત કામગીરી ચાલી રહી છે.
રામ મંદિરની આસપાસ ઊંચી બિલ્ડિંગના નિર્માણ પર પ્રતિબંધ
ADAના જણાવ્યું મુજબ, માસ્ટર પ્લાન-2031ને લઈને રામ મંદિરની આજુબાજુનો વિસ્તાર પ્રતિબંધિત જાહેર કર્યો છે. જ્યારે મંદિરની નજીકમાં મોટી બિલ્ડિંગના નિર્માણ પર રોક લગાવી છે, ત્યારે ADA દ્વારા અયોધ્યાના અનેક સ્થળોએ નોટિસ બોર્ડ લગાવવાનું પણ શરૂ કરી દીધુ છે. જેમાં નવા નિયમોને સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યા છે અને બિનઅધિકૃત નિર્માણને લઈને ચેતવણી પણ જાહેર કરી છે.
7-15 મીટરની ઊંચાઈમાં અનુમતિ
ADAના ઉપાધ્યક્ષ અશ્વિની પાંડેયે જણાવ્યું હતું કે, 'જાહેર કરાયેલા નવા નિયમો મંદિરમાં નજીકની બિલ્ડિંગની ઊંચાઈની સીમા નક્કી કરવામાં આવી છે. જેમાં બે કિલોમીટરના પહેલા પરિઘમાં બિલ્ડિંગની ઊંચાઈ માત્ર 7 મીટર અને ચાર કિલોમીટરના બીજા પરિઘમાં 15 મીટરની ઊંચાઈની અનુમતિ રહેશે.'
તેમણે વધુમાં કહ્યું કે, 'આ નિર્ણયનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે રામ મંદિરનો નજારો અવિરત રહે અને આસપાસનો વિકાસ પવિત્ર સ્થળના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વને અનુરૂપ થાય.'