રાજસ્થાનનું શ્રીગંગાનગર 49.4 ડિગ્રી સાથે અગનભઠ્ઠી બન્યું
- દક્ષિણપશ્ચિમ ચોમાસુ 25 જૂન સુધીમાં ઉત્તર પશ્ચિમ ભારતને આવરી લેશે
- દિલ્હીમાં તાપમાન ઘટના લોકોને ગરમીથી આંશિક રાહત : આંધી તોફાનને શક્યતાને પગલે દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ
- હિમાચલમાં હીટવેવ અસરગ્રસ્ત વિસ્તારોની શાળાઓ સમય 9 થી 3.30ને બદલે 7.30થી 1.00 કરાયો
જયપુર : રાજસ્થાનમાં ગરમીનો પારો સતત ઉપર જઇ રહ્યો છે. શ્રીગંગાનગરમાં આજે મહત્તમ તાપમાન ૪૯.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારથી વરસાદની શક્યતાને પગલે રાજ્યમાં ગરમીથી રાહત મળવાની સંભાવના છે.
જયપુરના હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર શ્રીગંગાનગરમાં આજનું તાપમાન જૂનમાં નોંધાયેલ છેલ્લા ૯૧ વર્ષનું સૌથી વધુ છે. આ અગાઉ ૧૪ જૂન, ૧૯૩૪ના રોજ શ્રીગંગાનગરમાં ૫૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.
શ્રીગંગાનગરનું તાપમાન સામાન્યથી ૭.૯ ડિગ્રી વધારે હતું. ચુરુમાં ૪૭.૬ ડિગ્રી, જૈસલમેરમાં ૪૬.૯, બિકાનેરમાં ૪૬.૪, જોધપુરમાં ૪૬.૩, ફાલોદી અને બાડમેરમાં ૪૬.૨, પિલાનીમાં ૪૫.૪, લૂનકરનસરમાં ૪૫.૨, પાલી અને ફતેહપુરમાં ૪૫, ચિત્તોડગઢમાં ૪૪.૯, સાંગરીયામાં ૪૪.૬, ઝુનઝુનુમાં ૪૪.૫, નાગૌરમાં ૪૪.૪ અને રાજ્યની રાજધાની જયપુરમાં ૪૪.૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.
આ દરમિયાન ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ૨૫ જૂન સુધીમાં ઉત્તરપશ્ચિમ ભારતના મોટા ભાગના વિસ્તારોને આવરી લેશે. ચાલુ વર્ષે કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું આગમન ૨૪ મેના રોજ થયું હતું.
દેશની રાજધાની દિલ્હીમાં સળંગ ચાર દિવસ હીટવેવ રહ્યાં પછી આજે તાપમાનમાં સામાન્ય ઘટાડો થતાં શહેરીજનોને આંશિક રાહત મળી હતી. આંધી તોફાનની શક્યતાને પગલે દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ ઇશ્યુ કરવામાં આવી છે.
દિલ્હીના સફદરગંજમાં આજે મહત્તમ તાપમાન ૪૧.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. તે સામાન્ય કરતા ૧.૩ ડિગ્રી સેલ્સિયસ વધારે હતું. જો કે ગઇકાલે સફદરગંજમાં ૪૩.૯ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. બપોરે ૨.૩૦ નવાગ્યે દિલ્હીમાં ૫૧.૫ ડિગ્રી સેલ્સિયસ જેવી ગરમીનો અનુભવ થતો હતો.
પંજાબ અને હરિયાણામાં પણ તીવ્ર ગરમીનું મોજું યથાવત રહ્યું છે. સિરસા ૪૭.૬ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.
તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને હિમાચલ પ્રદેશના હીટ અસરગ્રસ્ત વિસ્તારોમાં શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હમીરપુર, કાંગ્રા, ઉના, બિલાસપુર સહિતના વિસ્તારોમાં શાળાઓનો સમય ૯ થી ૩.૩૦ને બદલે ૭.૩૦ થી ૧.૦૦ કરવામાં આવ્યો છે.