Get The App

અમદાવાદથી ભીલવાડા જતી બસ અચાનક બેકાબૂ થતાં પલટી, 3ના મોત, અનેક ઈજાગ્રસ્ત

Updated: May 24th, 2025

GS TEAM


Google News
Google News
અમદાવાદથી ભીલવાડા જતી બસ અચાનક બેકાબૂ થતાં પલટી, 3ના મોત, અનેક ઈજાગ્રસ્ત 1 - image


Road Accident: અમદાવાદથી ભીલવાડા જતી એક ખાનગી બસ રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં પલટી ખાઈ જતાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં બેની હાલત અત્યંત ગંભીર છે. આ દુર્ઘટના કાંકરોલીમાં સ્થિત ભાવા બસ સ્ટેન્ડ નજીક બની હતી. પ્રારંભિક ધોરણે ડ્રાઈવરને ઝોકું આવી જતાં બસ બેકાબૂ બની હતી અને અચાનક પલટી ખાઈ ગઈ હતી. 

વહેલી સવારે થયો હતો અકસ્માત

આજે વહેલી સવારે 8.30 વાગ્યે રાજસમંદના કાંકરોલીમાં આ અકસ્માત સર્જાયો હતો. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જેમાં બેની હાલત અત્યંત ગંભીર બનતાં ઉદયપુર ખસેડવામાં આવ્યા હતા. અન્ય ઘાયલોની સારવાર ચાલી રહી છે. સ્થાનિક પોલીસ અને પ્રશાસને ત્વરિત બચાવ કામગીરી શરૂ કરી હતી. મૃતકોની ઓળખ હજી થઈ નથી. ઘણા ઈજાગ્રસ્તોને ગંભીર ઈજા થતાં મોતનો આંકડો વધવાની આશંકા છે. પોલીસે ખાનગી બસ કંપની અને  ડ્રાઈવર વિરૂદ્ધ બેદરકારીનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

પૂરપાટ ઝડપે જતી હતી બસ 

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યા પ્રમાણે, બસ પૂરપાટ ઝડપે જઈ રહી હતી. ત્યાં અચાનક બસ ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં બસ રસ્તા પરથી ઊતરી પલટી ખાઈ ખાડામાં પડી ગઈ હતી. અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો અને પોલીસે તુરંત બચાવ કામગીરી હાથ ધરી હતી. ઉબડ-ખાબડવાળો રસ્તો અને ડ્રાઈવરની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું છે. અગાઉ 16 એપ્રિલે રાજસમંદના દેલવાડામાં આવેલા મજેરા ગામ નજીકના નેશનલ હાઈવે પર પણ ભીષણ અકસ્માત સર્જાયો હતો. જેમાં 37 લોકો ઘાયલ થયા હતાં.

અમદાવાદથી ભીલવાડા જતી બસ અચાનક બેકાબૂ થતાં પલટી, 3ના મોત, અનેક ઈજાગ્રસ્ત 2 - image

Tags :