રાજસ્થાનના ચુરુમાં વાયુસેનાનું જેગુઆર ફાઈટર પ્લેન ક્રેશ, કાટમાળમાંથી બે મૃતદેહ મળ્યાના અહેવાલ
Rajasthan Churu Plane Crash: રાજસ્થાનના ચુરુ જિલ્લાના રતનગઢ વિસ્તારના ભાનુડા ગામમાં બુધવારે વાયુ સેનાનું એક વિમાન ક્રેશ થઈ ગયું. ઘટના સ્થળેથી 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટના બાદ જ કલેક્ટર અને સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ગ્રામજનોએ આપેલી માહિતી મુજબ, આકાશમાં જોરદાર અવાજ બાદ ખેતરોમાં આગ અને ધુમાડાના ગોટા નીકળ્યા હતા.
ક્રેશ થયેલું વિમાન ભારતીય વાયુસેનાનું જેગુઆર હોવાનું કહેવાય છે. હાલમાં વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. પ્લેનના કાટમાળમાંથી બે મૃતદેહો મળી આવ્યા છે. જે પાયલટ અને કો-પાયલટના છે. અકસ્માતના સમાચાર ફેલાતા જ રતનગઢમાં ખળભળાટ મચ્યો હતો.
કલેક્ટર અભિષેક સુરાણા અને સ્થાનિક પોલીસ અધિકારીઓએ સ્થળ પર પહોંચીને તપાસના આદેશ આપ્યા છે. સૈન્યની બચાવ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે. ઘટના સ્થળે વધુ તપાસ હાથ ધરી છે.. ગ્રામજનોએ જણાવ્યું કે વિમાન દુર્ઘટના પછી તરત જ ખેતરોમાં આગ લાગી હતી. જેને ગામલોકોએ જાતે જ બુઝાવવાનો પ્રયાસ કર્યો. ઘટનાના વિગતવાર કારણો સેના દ્વારા પુષ્ટિ કરવામાં આવશે. એવું કહેવાય છે કે વિમાન ઝાડ પર પડ્યું હતું. જેના કારણે ઝાડ પણ સંપૂર્ણપણે બળી ગયું. જે જગ્યાએ વિમાન ક્રેશ થયું તે રણ વિસ્તાર છે. ચુરુ એસપી જય યાદવે જણાવ્યું કે સેનાનું વિમાન ક્રેશ થયું છે. વિમાન ઝાડ પર પડ્યું છે. જેના કારણે ઝાડ પણ બળી ગયું છે. ઘટના સ્થળેથી 2 મૃતદેહ મળી આવ્યા છે. સેનાની ટીમ પણ અકસ્માત સ્થળે પહોંચી ગઈ છે. હાલમાં સેનાની ટીમ વિમાનનો કાટમાળ એકઠો કરવાનું કામ કરી રહી છે.
છેલ્લા ત્રણ મહિનામાં બીજી વાર જેગુઆર જેટ ક્રેશ
છેલ્લા ત્રણ મહિનામાં બીજી વાર જેગુઆર એરક્રાફ્ટ ક્રેશ થયુ છે. અગાઉ ગુજરાતના જામનગરમાં રૂટિન ટ્રેનિંગ મિશન દરમિયાન IAF જેગુઆર જેટ ક્રેશ થયુ હતું. જો કે, તેમાં સવાર એક પાયલટ પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતાં. જ્યારે એક પાયલટનું મોત થયુ હતું.