બનાસ નદીમાં નહાવા પડેલા 11 યુવકો ડૂબ્યાં, 8ના મોત; રાજસ્થાનમાં મોટી દુર્ઘટના
Rajasthan News: રાજસ્થાનના ટોંક જિલ્લામાં મંગળવારે (10મી જૂન) એક મોટી દુર્ઘટના સર્જાય છે. બનાસ નદીમાં નહાવા ગયેલા 11 યુવાનો અચાનક જોરદાર પ્રવાહમાં તણાયા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં આઠ યુવાનોના મૃત્યું થયાના અહેવાલ છે. ઘટનાની જાણ થતા પોલીસ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
ત્રણ યુવાનોની શોધખોળ શરૂ
મળતી માહિતી અનુસાર, ટોંક જિલ્લામાં બનાસ નદીમાં 11 યુવાનો નહાવા પડ્યા હતા, પરંતુ અચાનક નદીના જોરદાર પ્રવાહને કારણે તણાયા હતા. આ ઘટના અંગેની જાણ ગ્રામજનોએ પોલીસને કરી હતી. માહિતી મળતાં જ ટોંક પોલીસ, વહીવટીતંત્ર અને SDRF ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી છે. અત્યાર સુધીમાં 8 યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે, જો કે, હજુ ત્રણ યુવાનોની શોધખોળ કરવામાં આવી રહી છે. આ દુ:ખદ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
આ પણ વાંચો: દિલ્હીમાં આગથી બચવા આઠમાં માળેથી પિતા અને બે બાળકોએ લગાવી છલાંગ, ત્રણેયના મોત
ચેતવણીનું બોર્ડ ન હોવાથી યુવકોને ઊંડાઈની જાણ ન થઈ
જાણકારી અનુસાર યુવકો અહીં પિકનિક મનાવવા માટે આવ્યા હતા. જોકે બાદમાં એક બાદ એક ડૂબવા લાગ્યા, પછી સ્થાનિકોએ પોલીસને જાણ કરી. સ્થાનિકોનું કહેવું છે કે નદીનો આ હિસ્સો ખૂબ જ ઊંડો છે, તેમ છતાં ચેતવણી માટે કોઈ બોર્ડ લગાવવામાં આવી નથી. જેના કારણે ઘણીવાર લોકો જાણકાર વિના નહાવા માટે કૂદી પડતાં હોય છે.
તમામ મૃતકો જયપુરના હોવાના પ્રાથમિક અહેવાલ છે. પરિજનોની રોકકળના કારણે હોસ્પિટલમાં ગમગીન માહોલ સર્જાયો હતો. SP વિકાસ સાંગવાને લોકોને જાણકારી વિના પાણીમાં ન ઉતરવા અપીલ કરી છે.
આઠ લોકોના મોત પર સીએમ ભજનલાલ શર્માએ દુઃખ વ્યક્ત કર્યું
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'ટોંક જિલ્લામાં બનાસ નદીમાં ડૂબવાથી યુવાનોના મૃત્યુના સમાચાર ખૂબ જ દુઃખદ છે. ઘટનાની માહિતી મળતાં જ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ મૃતકોના આત્માઓને શાંતિ આપે અને મૃતકોના પરિવારોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે.'