રાજા રઘુવંશીની હત્યા પત્ની સોનમે જ કરાવી : હત્યારાઓએ ગુનો કબૂલી લીધો
- સોનમને શિલોંગ લઈ જવાઈ, પ્રેમી રાજને આજે લવાશે
- હત્યારાઓએ રાજાને મારવાનો ઈનકાર કરતા સોનમે સોપારીની રકમ વધારી રૂ. ૨૦ લાખ કરી
શિલોંગ: ઈન્દોરના રાજા રઘુવંશીની લગ્નના માત્ર ૧૦ જ દિવસમાં હનીમૂન પર હત્યા હવે એક સુનિયોજિત અને અત્યંત ચોંકાવનારું 'સુપારી કિલિંગ' હોવાનો ઘટસ્ફોટ થયો છે. પતિ રાજાની હત્યાની માસ્ટરમાઈન્ડ તેની પત્ની સોનમ જ નીકળી છે. રાજાની હત્યા કરનારા ચારેય હત્યારાઓએ પોલીસ સમક્ષ ગૂનો કબૂલી લીધો છે. તેમણે કહ્યું કે, રાજા રઘુવંશીની હત્યા તેમણે જ કરી છે અને હત્યા પછી તેનો મૃતદેહ ઊંડી ખાઈમાં ફેંકી દીધો હતો. આ પતિ રાજાની હત્યા સોનમે જ કરાવી હતી. આ સાથે મેઘાલય પોલીસ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર સોનમ અને હત્યારાઓને શિલોંગ લઈ ગઈ છે જ્યારે સોનમના પ્રેમી રાજને બુધવારે શિલોંગ લઈ જવાશે.
હત્યારાઓએ જણાવ્યું કે, પતિ રાજા રઘુવંશીની હત્યાના આયોજનથી લઈને હનીમૂન પર તેને શિલોંગ લઈ જવા સુધીનું બધું જ સોનમે કર્યું છે. આરોપીઓએ કહ્યું કે, સોનમ રાજા સાથે લગ્ન કરવા માગતી નહોતી. પરંતુ સોનમની માતાને રાજ કુશવાહા સાથે તેના અફેર અંગેની જાણ થઈ ગઈ હતી. તેથી તેમણે ઉતાવળે સોનમના લગ્ન રાજા રઘુવંશી સાથે કરાવી દીધા હતા. જોકે, તેમને એવો અંદાજ નહોતો કે સોનમ રાજાની હત્યા કરાવી દેશે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સોનમે પતિ રાજાની હત્યા માટે સોપારી આપી હતી. આરોપીઓ અને રાજ વચ્ચે બેંગલુરુમાં મુલાકાત થઈ હતી. ત્યાર પછી તેમની વચ્ચે ઈન્દોરમાં પણ અનેક વખત મુલાકાતો થઈ હતી. સોનમે રાજાની હત્યા માટે આરોપીઓને રૂ. ૪ લાખની સોપારી આપી હતી, પરંતુ તેમણે ઈનકાર કરી દેતા સોનમે ઓફર વધારીને રૂ. ૨૦ લાખ કરી દીધી હતી.
ઈન્દોર ક્રાઈમ બ્રાન્ચ મુજબ રાજા રઘુવંશી પર સૌથી પહેલો વાર વિશાલ ઉર્ફે વિક્કી ઠાકુરે કર્યો હતો. આરોપીઓએ જણાવ્યું કે, ઈન્દોરથી ટ્રેન મારફત તેઓ પહેલા ગુવાહાટી ગયા અને ત્યાંથી શિલોંગ પહોંચ્યા હતા. ઈન્દોરથી સીધી ટ્રેન ન હોવાના કારણે તેમણે મેઘાલય જવા માટે ટ્રેન બદલવી પડી હતી. આ સમયે સોનમનો પ્રેમી રાજ કુશવાહા ઈન્દોરમાં જ હતો, પરંતુ તેણે વિશાલ, આકાશ અને આનંદ નામના હત્યારાઓને મેઘાલયમાં ખર્ચ માટે રૂ. ૪૦થી ૫૦ હજાર આપ્યા હતા. રાજા રઘુવંશીની હત્યા સમયે સોનમ પણ ત્યાં જ હાજર હતી અને તેના પતિને મરતા જોઈ રહી હતી. પત્ની સોનમની મદદથી જ આરોપીઓએ રાજા રઘુવંશીનો મૃતદેહ ખાઈમાં ફેંકી દીધો હતો.