હનીમૂન વખતે સોનમે જ પતિની હત્યા કરાવી હતી, મેઘાલય હત્યાકાંડમાં 16 દિવસના સસ્પેન્સનો અંત
Raja Raghuvanshi Murder Case: મેઘાલયમાં હનીમૂન માટે ગયેલા રાજા રઘુવંશીની હત્યામાં મોટો ખુલાસો થયો છે. પોલીસે ઉત્તર પ્રદેશના ગાઝીપુરથી સોનમ રઘુવંશીની ધરપકડ કરી છે. પોલીસે માહિતી આપી છે કે સોનમ રઘુવંશી ગાઝીપુરના એક ઢાબામાંથી મળી આવી છે.
મળતી માહિતી મુજબ, આ કેસમાં વધુ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ 16 દિવસથી આ સનસનાટીભર્યા કેસની સતત તપાસ કરી રહી હતી, ત્યારબાદ હવે મેઘાલયના ડીજીપીએ દાવો કર્યો છે કે તે કેસમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું છે કે પત્ની કથિત રીતે હત્યામાં સામેલ હતી, તેણે ભાડે રાખેલા હત્યારાઓને બોલાવ્યા હતા.
સોનમ પોતે ભાગીને થઇ ગઈ હતી અને પોતાને ફસાયેલી જોઇને આત્મસમર્પણ કર્યું
મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ ટ્વિટર પર લખ્યું, 'મેઘાલય પોલીસે રાજા હત્યા કેસમાં 7 દિવસમાં મોટી સફળતા મેળવી છે. મધ્યપ્રદેશના ત્રણ હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે. એક મહિલાએ આત્મસમર્પણ કર્યું છે. ઓપરેશન હજુ પણ ચાલુ છે, એક હુમલાખોર હજુ પકડાયો નથી.' એવું કહેવામાં આવી રહ્યું છે કે સોનમે પોતે ગાઝીપુરથી તેના પરિવારનો સંપર્ક કર્યો હતો. આ પછી તેના પરિવારે ઇન્દોર પોલીસને જાણ કરી હતી. એવું માનવામાં આવે છે કે સોનમ ભાગીને કંટાળી ગઈ હતી અને પોતાને ફસાયેલી જોઈને તેણે આત્મસમર્પણ કરવાનો નિર્ણય લીધો હતો.
પહેલેથી જ હત્યા કરવાનો પ્લાન હતો
મેઘાલય પોલીસ અને સરકાર દ્વારા આપવામાં આવેલા નિવેદનો પરથી સ્પષ્ટ થાય છે કે સોનમ તેના પતિ રાજાને હનીમૂન માટે નહીં પરંતુ તેની હત્યા કરવાના હેતુથી મેઘાલય લઈ ગઈ હતી. હત્યારાઓ પણ મધ્યપ્રદેશના હોવાનું બહાર આવ્યું હોવાથી, એવું માનવામાં આવે છે કે હત્યા પહેલેથી જ પ્લાન હતી અને તેને ષડયંત્રના ભાગ રૂપે મધ્યપ્રદેશથી મેઘાલય લઈ જવામાં આવ્યો હતો. હુમલાખોરોની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
આ પણ વાંચો: પત્નીને દર મહિને 50000 રૂ. ભરણપોષણ, 17 વર્ષ જૂના છૂટાછેડાના વિવાદમાં 'સુપ્રીમ' ચુકાદો
11 મેના રોજ થયા હતા લગ્ન
ઇન્દોરમાં રહેતા રાજાના લગ્ન 11 મેના રોજ થયા હતા. ત્યારબાદ બંને એ હનીમૂન માટે નોર્થ ઇસ્ટ જવાનું નક્કી કર્યું. જેમાં 21 મેના રોજ બંને ગુવાહાટી પહોંચ્યા અને ત્યારબાદ 22 મેના રોજ શિલોંગ ગયા. ત્યારબાદ 23 મેના રોજ સોનમનો ફોન બંધ આવ્યો અને 24 મેના રોજ બંનેએ ભાડે લીધેલી સ્કૂટી એક ટેકરી પાસે લાવારિસ હાલતમાં મળી આવી હતી.
ઘણી શોધખોળ બાદ, 2 જૂનના રોજ રાજાનો મૃતદેહ ખીણમાંથી મળી આવ્યો હતો અને સોનમ ગુમ હતી. ત્યારથી, રાજાની હત્યાનું રહસ્ય દરરોજ વધુ ઊંડું થતું ગયું. હવે સોનમ અને હુમલાખોરોની ધરપકડ બાદ, બધા પ્રશ્નોના જવાબ મળી શકે છે.