ઈન્ડિગો સંકટ વચ્ચે રેલવે વિભાગનો મોટો નિર્ણય, સાબરમતી-દિલ્હી વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન

Image: IANS |
Indigo Crisis: ઇન્ડિગો ફ્લાઇટ રદ થવાને કારણે, રેલવેએ એક મોટો નિર્ણય લીધો છે અને ખાસ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. રેલવે દ્વારા અનેક રૂટ પર ટ્રેનોમાં 116 વધારાના કોચ ઉમેરવાની0 જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેએ સાબરમતી અને દિલ્હી જંકશન વચ્ચે ખાસ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો પણ નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવે અનુસાર, ટ્રેન નંબર 09497/09498 સાબરમતી-દિલ્હી જંકશન સુપરફાસ્ટ સ્પેશિયલ કુલ ચાર ટ્રીપ માટે દોડશે.
હકીકતમાં, મોટી સંખ્યામાં મુસાફરો અમદાવાદ અને દિલ્હી વચ્ચે મુસાફરીના વૈકલ્પિક માધ્યમો શોધી શક્યા ન હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા અને વર્તમાન માંગને ધ્યાનમાં રાખીને, ટ્રેન ઓન ડિમાન્ડ (TOD) યોજના હેઠળ સાબરમતી અને દિલ્હી વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.
ટ્રેન સંખ્યા 09497 (સાબરમતી-દિલ્હી સ્પેશ્યલ)
આ ટ્રેન 7 અને 9 ડિસેમ્બર 2025ના રોજ સાબરમતીથી 22.55 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 15.15 વાગ્યે દિલ્હી જંકશન પહોંચશે.
ટ્રેન સંખ્યા 09498 (દિલ્હી-સાબરમતી સ્પેશ્યલ)
- આ ટ્રેન 8 અને 10 ડિસેમ્બર 2025ના રોજ દિલ્હી જંકશનથી રાત્રે 21:00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 12:20 વાગ્યે સાબરમતી પહોંચશે.
- બંને દિશામાં, આ ખાસ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ જંકશન, અજમેર, જયપુર, અલવર, રેવાડી, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ ખાતે રોકાશે. આ ટ્રેનમાં એસી 3-ટિયર કોચથી લગાવવામાં આવશે.
- આ ખાસ સેવા કુલ 925 કિલોમીટરનું અંતર કાપશે. સાબરમતીથી દિલ્હી સુધીનો પ્રવાસ સમય આશરે 16.20 કલાકનો હશે અને દિલ્હીથી સાબરમતી સુધીનો પ્રવાસ સમય આશરે 15.20 કલાકનો હશે. રેલવેનું કહેવું છે કે, આ વ્યવસ્થા મુસાફરોને ફ્લાઇટ રદ થવા જેવા અણધાર્યા સંજોગોમાં સલામત, વિશ્વસનીય અને સમયસર કનેક્ટિવિટી પ્રદાન કરશે.
- ટ્રેન નંબર 09497 માટે બુકિંગ 06 ડિસેમ્બર, 2025થી તમામ PRS કાઉન્ટરો અને IRCTC વેબસાઇટ પર ખુલ્લું છે. રેલવેએ માહિતી આપી હતી કે રૂટ, સ્ટોપેજ, સમય અને કોચ રચના અંગે વિગતવાર માહિતી www.enquiry.indianrail.gov.in પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ પણ વાંચોઃ VIDEO: રશિયાના પ્રમુખ પુતિનનો બે દિવસનો ભારત પ્રવાસ પૂર્ણ, દિલ્હીથી મોસ્કો પરત ફર્યા
રેલવેએ 37 પ્રીમિયમ ટ્રેનમાં વધાર્યા 116 કોચ
નોંધનીય છે કે, દેશભરમાં અસંખ્ય ફ્લાઇટ્સ રદ થયા પછી મુસાફરોની માંગમાં અચાનક વધારો થવાના પ્રતિભાવમાં, ભારતીય રેલવેએ 37 પ્રીમિયમ ટ્રેનોમાં 116 વધારાના કોચ ઉમેર્યા છે. આ કોચ દેશના વિવિધ ભાગોમાં 114 ટ્રિપ્સમાં વધારો સાથે કાર્યરત ટ્રેનોમાં ઉમેરવામાં આવ્યા છે.
રેલવે મંત્રાલયના જણાવ્યાનુસાર, દક્ષિણ રેલવે (SR) દ્વારા મહત્તમ સંખ્યામાં કોચ ઉમેરવામાં આવ્યા છે, જેના કારણે 18 ટ્રેનોની ક્ષમતામાં વધારો થયો છે. હાઈ ડિમાન્ડ રૂટ પર વધારાના ચેર કાર અને સ્લીપર ક્લાસ કોચ લગાવવામાં આવ્યા છે. 6 ડિસેમ્બર, 2025થી લાગુ કરવામાં આવેલો આ વધારો દક્ષિણી ક્ષેત્રમાં મુસાફરો માટે બેઠકની ઉપલબ્ધતાને વધારે છે. ઉત્તર રેલવે (NR) બીજા સ્થાને છે જેમાં આઠ ટ્રેનોને અપગ્રેડ કરવામાં આવી રહી છે, જેમાં 3AC અને ચેર કાર કોચ ઉમેરવામાં આવ્યા છે. આજથી અમલમાં આવેલા આ પગલાંથી ઉત્તર ભારતમાં વ્યસ્ત રૂટ પર સીટની ઉપલબ્ધતામાં સુધારો થશે. પશ્ચિમ રેલવે (WR)એ ચાર હાઇ ડિમાન્ડ ટ્રેનોમાં 3AC અને 2AC કોચ ઉમેરીને ક્ષમતામાં વધારો કર્યો છે. આ વધારો 6 ડિસેમ્બરથી અમલમાં આવશે અને પશ્ચિમી પ્રદેશોમાંથી રાષ્ટ્રીય રાજધાની તરફ વધતા મુસાફરોના દબાણને નિયંત્રિત કરવામાં મદદ કરશે.
આ પણ વાંચોઃ એક જ દિવસમાં ઇન્ડિગોની 1000 ફ્લાઇટ્સ રદ: સંકટ પર CEOની પ્રથમ પ્રતિક્રિયા, માફી માંગી
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગોરખપુર-આનંદ વિહાર ટર્મિનલ-ગોરખપુર સ્પેશિયલ (05591/05592) 7 થી 9 ડિસેમ્બર દરમિયાન ચાર ટ્રીપમાં દોડશે. નવી દિલ્હી-શહીદ કેપ્ટન તુષાર મહાજન-નવી દિલ્હી રિઝર્વ્ડ વંદે ભારત સ્પેશિયલ (02439/02440) 6 ડિસેમ્બરે દોડશે, જે જમ્મુ પ્રદેશને ઝડપી અને આરામદાયક કનેક્ટિવિટી પ્રદાન કરશે. પશ્ચિમ દિશામાં વધતી માંગને ધ્યાનમાં રાખીને, નવી દિલ્હી-મુંબઈ સેન્ટ્રલ-નવી દિલ્હી રિઝર્વ્ડ સુપરફાસ્ટ સ્પેશિયલ (04002/04001) 6 અને 7 ડિસેમ્બરે દોડશે. હઝરત નિઝામુદ્દીન-તિરુવનંતપુરમ સેન્ટ્રલ રિઝર્વ્ડ સુપરફાસ્ટ સ્પેશિયલ (04080) 6 ડિસેમ્બરે એક તરફી દોડશે, જે દક્ષિણ પ્રદેશને લાંબા અંતરની કનેક્ટિવિટી પ્રદાન કરશે.

