- પીએમ મોદીના અધ્યક્ષતાવાળી કેબિનેટ કમિટીનો નિર્ણય
- રૂ. 24,634 કરોડના ખર્ચે તૈયાર થનારા પ્રોજેક્ટ્સથી મહારાષ્ટ્ર, મ.પ્ર., ગુજરાત અને છત્તીસગઢને ફાયદો થશે
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢના ૧૮ જિલ્લાઓને આવરી લેતા લગભગ ૨૪, ૬૩૪ કરોડ રૂપિયાના ખર્ચ ધરાવતા ચાર મલ્ટી ટ્રેકિંગ રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે.
એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ પ્રોજેક્ટ ભારતીય રેલવેના વર્તમાન નેટવર્કને લગભગ ૮૯૪ કિમી સુધી વધારશે તથા લોકો, વસ્તુઓ અને સેવાઓના પરિવહન માટે કનેક્ટિવિટી પ્રદાન કરવામાં મદદ કરશે.
આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં વર્ધા અને ભુસાવલની વચ્ચે ૩૧૪ કિમીનું અંતર કાપનારી ત્રીજી અને ચોથી લાઇન છે. મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં ગોંદિયા અને ડોંગરગઢની વચ્ચે ૮૪ કિમી લાંબી ચોથી લાઇન, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં વડોદરા-રતલામની વચ્ચે ૨૫૯ કિમી લાંબી ત્રીજી અને ચોથી લાઇન તથા ચોથી લાઇન મધ્ય પ્રદેશમાં ઇટારસી-ભોપાલ-બીનાનું ૮૪ કિમીનું અંતર કાપે છે.
નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે સ્વીકૃત મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટથી લગભગ ૩૬૩૩ ગામો જેમની વસ્તી લગભગ ૮૫.૮૪ લાખ છે અને બે જિલ્લાઓ વિદિશા તથા રાજનાંદગાંવ સુધી કનેક્ટિવિટી વધશે.
રેલવે પ્રધાન અશ્વિનીએ મીડિયાકર્મીઓને માહિતી આપતા જણાવ્યું હતું કે વધેલી લાઇન ક્ષંમતાથી ગતિશીલતામાં ઉલ્લેખનીય વૃદ્ધિ જોવા મળશે. જેના પરિણામે ભારતીય રેલવેની પરિચાલન ક્ષમતા અને સેવા વિશ્વસનીયતામાં સુધારો જોવા મળશે.


