Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણી માટે પ્રચારની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પ્રથમ તબક્કાના પ્રચાર માટે તેના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પાર્ટીના ટોચના નેતાઓથી લઈને કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને સ્થાનિક નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ બિહારમાં પાર્ટી માટે પ્રચારની જવાબદારી સંભાળશે.
સ્ટાર પ્રચારકોની યાદીમાં દિગ્ગજો
સ્ટાર પ્રચારકોની યાદીમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા જેવા મુખ્ય ચહેરાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ જેવા કે સુખવિન્દર સિંહ સુખુ (હિમાચલ), અશોક ગેહલોત (રાજસ્થાન), અને ભૂપેશ બઘેલ (છત્તીસગઢ) ને પણ પ્રચાર માટે ઉતારવામાં આવ્યા છે.
બિહારના સ્થાનિક અને નવા ચહેરા
આ યાદીમાં પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવને પણ સ્થાન આપવામાં આવ્યું છે. યુવા નેતાઓમાં કન્હૈયા કુમાર, સચિન પાયલોટ અને ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો સમાવેશ થાય છે. અન્ય મહત્ત્વના નામોમાં દિગ્વિજય સિંહ, અધીર રંજન ચૌધરી, મીરા કુમાર, અને ચરણજીત સિંહ ચન્નીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: અમદાવાદની 400 વર્ષ જૂની માંચા મસ્જિદને સુપ્રીમ કોર્ટે રાહત ન આપી, અરજી ફગાવી
મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણીનો પેચ અટવાયો
બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ બે તબક્કામાં (છઠ્ઠી નવેમ્બર અને 11મી નવેમ્બર) યોજાવાની છે. જો કે, મહાગઠબંધન માં બેઠકોની વહેંચણીનો મુદ્દો હજુ પણ વણઉકેલાયેલો છે. રાહુલ ગાંધીની તાજેતરની 'મતદાર અધિકાર યાત્રા' બાદ કોંગ્રેસ પાર્ટીની તાકાત વધી હોવાનું માનતા, પાર્ટી વધુ બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે. જો કે, આરજેડી (RJD) કોંગ્રેસની આ માંગથી સહમત નથી, જેના કારણે ઘણી બેઠકો પર 'મૈત્રીપૂર્ણ લડાઈ' થવાની સંભાવના છે. મહત્ત્વની વાત છે કે, કોંગ્રેસ અને આરજેડીએ વૈશાલીમાં બે બેઠકો માટે પહેલાથી જ પોતાના ઉમેદવારો નામાંકિત કરી દીધા છે. આ ગઠબંધનના ભવિષ્ય અંગે ચર્ચા કરવા માટે કોંગ્રેસ પાર્ટીની એક મહત્ત્વપૂર્ણ બેઠક શનિવારે પટનામાં યોજાવાની છે.


