For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

માનહાનિના કેસમાં રાહુલ ગાંધીનું સાંસદપદ રદ

Updated: Mar 25th, 2023

Article Content Image

- રાહુલની વાયનાડ લોકસભા બેઠક ખાલી થતાં એપ્રિલમાં પેટા ચૂંટણીની શક્યતા : ચૂંટણી પંચે તૈયારી પણ શરૂ કરી

- કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 8 વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે, પરંતુ હાઈકોર્ટ-સુપ્રીમમાં જવાના રસ્તા ખુલ્લા

- રાહુલ ગૃહમાં સત્ય બોલતા, અદાણીનો વિવાદ ઉઠાવ્યો એટલે બરખાસ્ત કરાયા, લોકતંત્ર બચાવવા જેલમાં જવા પણ તૈયાર : ખડગે

નવી દિલ્હી : કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીને સુરત કોર્ટે ગુરુવારે 'મોદી અટક'ના બદનક્ષીના કેસમાં બે વર્ષની સજા કર્યા પછી બધાને જે વાતનો ડર હતો તે અંતે બીજા જ દિવસે  સાચો પડયો. લોકસભામાંથી રાહુલ ગાંધીનું સભ્યપદ શુક્રવારે તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યું છે. લોકસભા સચિવાલયના આ પગલાંને એકબાજુ કોંગ્રેસે રાહુલ ગાંધીનો 'અવાજ દબાવવા' સમાન ગણાવ્યું છે તો ભાજપે 

કોંગ્રેસના આક્ષેપો નકારી કાઢી રાહુલની હકાલપટ્ટીને 'કાયદેસર' ગણાવી છે. જોકે, બાવન વર્ષના નેતા રાહુલ ગાંધીની સજા ઓછી નહીં થાય અથવા રદ નહીં થાય તો જનપ્રતિનિધિ કાયદાની કલમ (૮) મુજબ તેઓ આઠ વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે. કોંગ્રેસ સહિત વિપક્ષે લોકસભા સચિવાલયના આ પગલાં સામે લડી લેવા હુંકાર ભર્યો છે.

લોકસભા સચિવાલયે શુક્રવારે એક જાહેરનામામાં જણાવ્યું હતું કે, સુરતની મુખ્ય જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે રાહુલ ગાંધીને બદનક્ષીના એક કેસમાં બે વર્ષની સજા કરવાના પગલે જનપ્રતિનિધિ કાયદાની કલમ ૮ હેઠળ વાયનાડથી લોકસભાના સાંસદનું સભ્યપદ ૨૩ માર્ચથી જ રદ કરવામાં આવે છે. રાહુલ ગાંધીની હકાલપટ્ટીના પગલે ચૂંટણી પંચે એપ્રિલમાં વાયનાડ લોકસભા બેઠક પર પેટા ચૂંટણી યોજવા અંગે વિચારણા પણ શરૂ કરી દીધી છે.

સુરત કોર્ટના ચૂકાદા પર સ્ટે આવે તો રાહુલનું સભ્યપદ બચે

જોકે, રાહુલ ગાંધી માટે તેમનું સભ્યપદ જાળવી રાખવાના બધા રસ્તા બંધ થયા નથી. તેઓ સુરત કોર્ટના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારીને રાહત મેળવી શકે છે. ગુજરાત હાઈકોર્ટ સુરત કોર્ટના ચૂકાદા પર સ્ટે મૂકી દે તો રાહુલ ગાંધીનું સાંસદપદ બચી શકે છે. 

જોકે, હાઈકોર્ટ સ્ટે ના આપે તો તેમણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવવો પડી શકે છે. રાહુલ ગાંધીને ઉપલી અદાલતોમાં પણ કોઈ રાહત નહીં મળે તો તેઓ સજાના બે વર્ષ અને તે પછી છ વર્ષ એમ કુલ આઠ વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે.

ભારતીય લોકતંત્ર માટે કાળો દિવસ, કાયદાકીય-રાજકીય રીતે લડીશું : કોંગ્રેસ

રાહુલ ગાંધીને સાંસદ તરીકે બરખાસ્ત કરવાના સંદર્ભમાં કોંગ્રેસે શુક્રવારે કહ્યું હતું કે, ભારતીય લોકતંત્ર માટે આ 'કાળો દિવસ' છે અને તેણે ભારપૂર્વક કહ્યું કે તેઓ 'કાયદાકીય અને રાજકીય' બંને રીતે લડશે. 

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું કે, રાહુલ ગાંધી સત્ય બોલતા હોવાથી ભાજપે તેમને ગૃહમાંથી બહાર કાઢી મુકવાના બધા જ પ્રયત્નો કરી જોયા છે. રાહુલને ગૃહમાં સત્ય બોલતા, બંધારણ અને લોકોના અધિકારો માટે લડતા અટકાવાયા છે.

અદાણી વિવાદમાં જેપીસીની માગણી ચાલુ રાખીશું : મલ્લિકાર્જુન ખડગે

ખડગેએ ઉમેર્યું હતું કે, આ પછાત વર્ગનો પ્રશ્ન નથી. લલિત મોદી અને નિરવ મોદી પછાત વર્ગના નથી. ભાજપ રાહુલ ગાંધી પછાત વર્ગ વિરોધી હોવાની છબી ઊભી કરવાનો પ્રયત્ન કરે છે. 

ભાજપ માને છે કે રાહુલ ગાંધીને ગૃહમાંથી દૂર કરીને તેમણે સમસ્યાનો ઉકેલ લાવી દીધો, પરંતુ અમે અદાણી વિવાદમાં જેપીસીની તપાસની માગણી ચાલુ રાખીશું. અમે લોકતંત્ર સામેની લડત ચાલુ રાખીશું અને તેના માટે જેલમાં જવું પડે તો પણ જઈશું.

ગુનાઈત કેસમાં ભાજપના ધારાસભ્યે પણ સભ્યપદ ગુમાવ્યું : કેન્દ્રીય મંત્રી

બીજીબાજુ રાહુલ ગાંધીની હકાલપટ્ટીને યોગ્ય ઠેરવતા કાયદા અને ન્યાય વિભાગના રાજ્યકક્ષાના મંત્રી એસપીએસ બઘેલે જણાવ્યું હતું કે, કાયદા સામે બધા જ લોકો એક સમાન છે. એક ગૂનાઈત કેસમાં તાજેતરમાં જ ભાજપના ધારાસભ્યે પણ ગૃહમાંથી સભ્યપદ ગુમાવ્યું હતું.

 સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, રાહુલ ગાંધીને કોર્ટે સજા કરી છે, કોઈ રાજકીય પક્ષે નહીં. કોંગ્રેસ ન્યાયતંત્ર સામે સવાલ ઉઠાવે છે. તેણે સ્પષ્ટ કરવું જોઈએ કે તે કોનો વિરોધ કરવા માગે છે.

લોકસભામાં રાહુલ ગાંધીની ચોથી ટર્મ હતી

લોકસભામાં રાહુલ ગાંધીની આ ચોથી ટર્મ હતી. તેઓ સૌથી પહેલાં ૨૦૦૪માં અમેઠીથી લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા. ત્યાર પછી તેમણે વધુ બે વખત લોકસભામાં અમેઠીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 

૨૦૧૯માં રાહુલ ગાંધી અમેઠી અને વાયનાડ એમ બે બેઠક પરથી લડયા હતા, જેમાં અમેઠીમાં સ્મૃતિ ઈરાની સામે હારી ગયા હતા, પરંતુ વાયનાડની બેઠક જાળવી રાખતા લોકસભામાં પહોંચ્યા હતા.

2013માં રાહુલે જ જનપ્રતિનિધિ વટહુકમની નકલ ફાડી 'ભૂલ' કરી હતી

લોકસભા સચિવાલયે શુક્રવારે રાહુલ ગાંધીને બરખાસ્ત કરવા અંગેનું જાહેરનામું બહાર પાડયું નહોતું તે પહેલાં રાહુલ ગાંધી લોકસભામાં સવારના સત્રમાં હાજર રહ્યા હતા. લોકસભાની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં તેમણે સંસદ પરિસરમાં પક્ષના સાંસદોની એક બેઠકમાં પણ હાજરી આપી હતી. વિધિની વક્રતા છે કે વર્ષ ૨૦૧૩માં કોંગ્રેસના નેતૃત્વની યુપીએ સરકાર આ જ જનપ્રતિનિધિ કાયદા હેઠળ સાંસદ કે ધારાસભ્યનું સભ્યપદ આંચકી નહીં લેવાની જોગવાઈનો એક વટહુકમ લાવી હતી. પરંતુ રાહુલ ગાંધીએ એક પત્રકાર પરિષદમાં તેની નકલ ફાડીને ખરડાને કાયદો બનતો અટકાવ્યો હતો. આ વટહુકમ મનમોહન સરકારની કેબિનેટમાં પાસ થઈ ગયો હતો. તે સમયે પણ રાહુલના આ કૃત્યને નિષ્ણાતોએ 'કેન્દ્ર સરકારનું અપમાન' ગણાવી ભૂલ સમાન કહ્યો હતો. હકીકતમાં ૨૦૧૩માં લિલિ થોમસ વિરુદ્ધ ભારત કેસમાં સુપ્રીમ કોર્ટે જનપ્રતિનિધિ કાયદાની કલમ ૮(૪)ને ફગાવી દીધી હતી. આ કલમમાં સાંસદ-ધારાસભ્યને કોઈ કેસમાં સજા મળ્યા પછી અપીલ કરવા માટે ત્રણ મહિનાનો સમય મળતો હતો. ત્યાર પછી પણ અપીલ પર ચૂકાદો આવે ત્યાં સુધી સભ્યપદ જાળવી રાખવાની જોગવાઈ હતી.

રાહુલ ગાંધીનું સાંસદપદ જતાં લાલુ, જયલલિતા ચર્ચામાં

અન્ય નેતાઓએ પણ સાંસદ, ધારાસભ્યના પદ ગુમાવ્યા છે

- સપાના આઝમ ખાન, ભાજપના કુલદીપ સેંગર સહિત અનેક નેતાઓએ ગૃહમાંથી સભ્યપદ છોડવું પડયું હતું

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને સુરતની એક કોર્ટે ૨૦૧૯ના બદનક્ષીના કેસમાં બે વર્ષની સજા સંભળાવ્યા પછી શુક્રવારે રાહુલ ગાંધીએ લોકસભાનું સભ્યપદ પણ ગુમાવવું પડયું. કેરળની વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીને જન પ્રતિનિધિત્વ કાયદાની કલમ ૮(૩) હેઠળ લોકસભામાંથી બરખાસ્ત કરાયા છે. 

જોકે, આ કાયદા હેઠળ ધારાસભામાંથી સભ્યપદ ગુમાવનારા રાહુલ ગાંધી એકલા નેતા નથી, દેશમાં કોંગ્રેસ, ભાજપ અને સપા સહિત અન્ય કેટલાક નેતાઓએ પણ આ કાયદા હેઠળ લોકસભા કે વિધાનસભામાંથી સભ્યપદ ગુમાવવું પડયું છે. એનસીપી સાંસદ મોહમ્મદ ફૈઝલ હત્યાના પ્રયત્નના કેસમાં જાન્યુઆરી ૨૦૨૩માં ૧૦ વર્ષની સજા થયા પછી આપમેળે જ અયોગ્ય થઈ ગયા હતા. જોકે, સાંસદના જણાવ્યા મુજબ લોકસભા સચિવાલયે હજુ સુધી તેમની અયોગ્યતાને રદ કરતું જાહેરનામું બહાર પાડયું નથી. સમાજવાદી પક્ષના ધારાસભ્ય આઝમ ખાનને ૨૦૧૯ના અભદ્ર ભાષાના કેસમાં દોષિત ઠેરવાતા ત્રણ વર્ષની કેદની સજા થઈ હતી. એક દિવસ બાદ ઉત્તર પ્રદેશ વિધાનસભા સચિવાલયે ગૃહમાંથી આઝમ ખાનનને અયોગ્ય જાહેર કર્યા હતા. રાજદ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને રાંચીમાં વિશેષ સીબીઆઈ અદાલતે ૨૦૧૩ના કરોડો રૂપિયાના ચારા કૌભાંડમાં દોષિત ઠેરવ્યા હતા. ત્યાર પછી લાલુ પ્રસાદને ૨ ઑક્ટોબરે સંસદીય જાહેરનામાના માધ્યમથી સાંસદ તરીકે અયોગ્ય ઠેરવાયા હતા. તમિલનાડુમાં અન્નાદ્રમુકના દિવંગત સુપ્રીમો જે. જયલલિતા મુખ્યમંત્રી હતા ત્યારે તેમને આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં ચાર વર્ષની સજા થયા પછી સપ્ટેમ્બર ૨૦૧૪માં પદ પરથી રાજીનામું આપવું પડયું હતું.

આ સિવાય ભાજપના ધારાસભ્ય વિક્રમ સૈનીને કોર્ટે ૨૦૧૩ના મુઝફ્ફરનગર રમખાણોમાં બે વર્ષની જેલની સજા સંભળાવાઈ હતી. ૭ નવેમ્બર ૨૦૨૨ના રોજ તેમને વિધાનસભા બેઠક ખાલી કરવા કહી દેવાયું હતું. વધુમાં ભાજપના અન્ય ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરે બળાત્કારના આરોપમાં, સપાના ધારાસભ્ય અને આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમ ખાન, રાજદ એમએલએ અનંત સિંહ, કોંગ્રેસના નેતા પ્રદીપ ચૌધરીએ પણ વિવિધ કારણોસર વિધાનસભામાંથી સભ્યપદ ગુમાવવું પડયું છે.

હવે રેણુકા  વડાપ્રધાન મોદી સામે બદનક્ષીનો કેસ કરશે

કોંગ્રેસી નેતા રેણુકા ચૌધરી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમને ૨૦૧૮માં સંસદમાં 'સૂર્પણખા' ઉપનામથી નવાજ્યાં હતાં એ બદલ વડાપ્રધાન સામે બદનક્ષીનો કેસ કરવા તૈયાર થયાં છે. આપણે જોઇએ કે કોર્ટો હવે કેટલી ઝડપે ન્યાય તોળે છે, એમ એમણે જણાવ્યું. ચૌધરીએ નરેન્દ્ર મોદીનો  જૂનો વિડિયો પણ ટ્વિટ કર્યો જેમાં રામાયણ ધારાવાહિકનું ટેલિકાસ્ટિંગ પૂરૃં થયું એના દિવસો પછી આવું હાસ્યનું મોજું ઉછળ્યું હોવાથી રેણુકા ચૌધરીને રાજ્યસભાના સભ્ય તરીકે ચાલુ રહેવા દેવા, મોદી રાજ્યસભાના અધ્યક્ષને જણાવી રહ્યા છે.

મારે ગુમાવવાનું કશું જ નથી, મેળવવા માટે આખી દુનિયા છે : રાહુલ

સુરત કોર્ટના ચૂકાદાના બીજા જ દિવસે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ લોકસભાનું સભ્યપદ ગુમાવવું પડયું છે. જોકે, લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીના કિસ્સામાં જે ત્વરિત રીતે પગલાં ભર્યા તેનાથી દેશભરમાં ભારે હોબાળો સર્જાયો છે. સભ્યપદ ગુમાવ્યા પછી રાહુલ ગાંધીએ શાયરાના અંદાજમાં કહ્યું હતું તેમની પાસે ગુમાવવાનું કશું જ નથી અને મેળવવા માટે આખી દુનિયા છે.  રાહુલ ગાંધી હંમેશા કોંગ્રેસ તરફથી ભાજપ સરકાર પર હુમલો કરવામાં આગળ રહ્યા છે. હાલ અદાણી મુદ્દે પણ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે આકરું વલણ અપનાવ્યું હતું. કોંગ્રેસ સહિત વિપક્ષ અદાણી વિવાદમાં જેપીસી તપાસની માગણી પર અડગ છે. આવી સ્થિતિમાં લોકસભામાંથી સભ્યપદ ગુમાવ્યા પછી પહેલી પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું કે હું ભારતના અવાજ માટે ઊભો રહ્યો છું. હું દરેક કિંમત ચૂકવવા તૈયાર છું. કોંગ્રેસના પૂર્વ સાંસદે આ નિવેદન પછી સ્પષ્ટ કર્યું છે કે તેઓ સરકાર વિરુદ્ધ તેમના હુમલા ચાલુ રાખશે. અગાઉ પણ તેમણે મૂકેલા તમામ આરોપો પર તેઓ ચૂપ રહ્યા નહોતા. હવે ભલે તેઓ સંસદમાં સવાલ ના કરી શકે, પરંતુ સોશિયલ મીડિયાથી લઈને રસ્તા સુધી તે પોતાની નવી છબી બનાવવાનો પ્રયત્ન જરૂર કરશે.

રાહુલે જ કહ્યું હતું દુર્ભાગ્યથી સાંસદ છું, આજે મુક્તિ મળી ગઈ : ભાજપનો ટોણો

રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ જવા મુદ્દે કોંગ્રેસ પર કટાક્ષપૂર્ણ હુમલો કરતાં ભાજપે પલટવાર કર્યો હતો. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, રાહુલ ગાંધી તો પોતે જ કહેતા હતા કે તેઓ દુર્ભાગ્યથી સાંસદ છે. આજે તેમને તેનાથી મુક્તિ મળી ગઈ છે. રાહુલ ગાંધી પોતાને બંધારણથી ઉપર રાખે છે. ભારત સરકાર વિ. થોમસ લિલિ કેસમાં સુપ્રીમે જે ચુકાદો આપ્યો હતો, તે મુજબ સાંસદ અને ધારાસભ્યને બે વર્ષ અથવા વધુ સમયની સજા થાય તો તેનું સભ્યપદ રદ કરી દેવામાં આવે છે. લોકસભા સચિવાલયે માત્ર તેની પુષ્ટી કરી છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે રાહુલ ગાંધીને હટાવવાનું કાવતરું કદાચ કોંગ્રેસે જ રચ્યું હશે. તેમણે ઉમેર્યું કે રાહુલ ગાંધીએ ૧૩ વર્ષમાં માત્ર ૬ ચર્ચાઓમાં ભાગ લીધો.

Gujarat