'કાન ખોલીને સાંભળી લો, અમે સત્તામાં આવ્યા તો...', ચૂંટણી પંચના અધિકારીઓને રાહુલ ગાંધીની ચેતવણી
Rahul Gandhi Slams Election Commission: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે (18મી ઓગસ્ટ) ચૂંટણી પંચ પર પ્રહારો કર્યા હતા. તેમણે ચૂંટણી પંચ પર વોટ ચોરી અને વોટર લિસ્ટમાં છેડછાડ થયાનો આરોપ લગાવ્યો. આ દરમિયાન તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સહિત ત્રણ કમિશનરોને ચેતવણી પણ આપી.
રાહુલ ગાંધીના ચૂંટણી પંચ પર આકરા પ્રહારો
બિહારના ગયાજીમાં એક જાહેર સભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે,'ત્રણેય ચૂંટણી કમિશનર કાન ખોલીને સાંભળી લો, જ્યારે પણ કેન્દ્ર અને બિહારમાં સરકાર બદલાશે, ત્યારે મુખ્ય ચૂંટણી પંચ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તમે એક વાત જાણો છો કે હું મંચ પરથી જૂઠું બોલતો નથી. વોટ ચોરી એ બંધારણ પર હુમલો છે. બંધારણ 3000 વર્ષ જૂનું આત્મા છે, તેથી બંધારણ પર હુમલો એ ભારત માતા પર હુમલો છે, જે અમે થવા દઈશું નહીં.'
ચૂંટણી પંચ પર પ્રહારો કરતા રાહુલ ગાંધીએ લોકોને પૂછ્યું કે, 'શું તમે બિહારમાં વોટ ચોરી થવા દેશે? જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ, ત્યારે અમને ખબર પડી કે ગોટાળા થઈ રહ્યા છે. લોકસભા ચૂંટણીઓ અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઓ વચ્ચે, ચૂંટણી પંચે ચોરી કરીને એક કરોડ મતદારો બનાવ્યા. અમારા મતો ઘટ્યા નહીં, અમને જેટલા હતા તેટલા જ મળ્યા, પરંતુ જ્યાં પણ ભાજપ જીત્યું, ત્યાં નવા મતદારો ઉમેરાયા.'
આ પણ વાંચો: કોને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવશે વિપક્ષ? ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક, ગાંધીજીના પ્રપૌત્ર સહિત આ 3 નામ રેસમાં
ચૂંટણી પંચે વિપક્ષના નેતાનું સાંભળ્યું નહીં: રાહુલ ગાંધી
નકલી મતદારો અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, 'જ્યારે મેં કર્ણાટકની એક બેઠક પર સંશોધન શરૂ કર્યું, ત્યારે એક વિધાનસભા મતવિસ્તારમાંથી એક લાખથી વધુ નકલી મતદારો નીકળ્યા. પાંચ રીતે નકલી મતદારો બનાવવામાં આવી રહ્યા છે. જ્યારે મેં ચૂંટણી પંચને જાણ કરી, ત્યારે ચૂંટણી પંચે વિપક્ષના નેતાનું સાંભળ્યું નહીં, તેના બદલે તેમણે મને સોગંદનામું આપવા કહ્યું. જવાબદારી તેમની છે, ચોરી તેમના દ્વારા પકડાઈ ગઈ અને તેના બદલે તેઓ મને સોગંદનામું આપવાનું કહી રહ્યા છે.'
વોટ ચોરી પર રાહુલ ગાંધીએ કહ્યું, 'હું ચૂંટણી પંચને કહું છું, આખો દેશ તેમની પાસેથી સોગંદનામું માંગશે. તેમની ચોરી દરેક વિધાનસભા મતવિસ્તારમાં પકડવી પડશે. જેમ મોદીજી બિહાર માટે ખાસ પેકેજની વાત કરે છે, તેવી જ રીતે તે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)ના રૂપમાં બિહાર માટે એક નવું પેકેજ લાવ્યા છે.'