'અબોલ પશુઓને આ રીતે હટાવવા ક્રૂરતા', રખડતાં કૂતરા અંગે SCના આદેશનો રાહુલ ગાંધીએ કર્યો વિરોધ
Rahul Gandhi On Street Dogs: સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં રસ્તા પર રખડતાં તમામ કૂતરાને પકડીને ખસીકરણ કરવા તેમજ સ્થાયી રૂપે તેમને શેલ્ટર હોમમાં રાખવા આદેશ આપ્યો છે. આ આદેશ અંગે કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે, સુપ્રીમ કોર્ટનો દિલ્હી-એનસીઆરમાંથી તમામ રખડતાં કૂતરા હટાવવાનો નિર્દેશ માનવ અને વિજ્ઞાન આધારિત દાયકાઓ જૂની નીતિથી વિરોધાભાસી છે. આ અબોલ પશુઓ એટલી મોટી સમસ્યા નથી, જેને દૂર કરી દેવાય.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, શેલ્ટર્સ, ખસીકરણ, વેક્સિનેશન અને કોમ્યુનિટી કેરથી પણ દેશના રસ્તા સુરક્ષિત રહી શકે છે, અને તે પણ કોઈપણ પ્રકારની ક્રૂરતા વિના. પરંતુ અચાનક સામૂહિક ધોરણે કૂતરાને રસ્તા પરથી હટાવી દેવાનું પગલું ક્રૂર અને નિર્દયી છે. આપણે જન સુરક્ષા અને પશુ કલ્યાણને એક સાથે સુનિશ્ચિત કરી જ શકીએ છીએ.
સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ
સુપ્રીમ કોર્ટે રસ્તા પર રખડતાં કૂતરાના ત્રાસ પર થયેલી અરજી પર સુનાવણી કરતાં આદેશ આપ્યો છે. કોર્ટે આઠ સપ્તાહની અંદર રખડતાં કૂતરાઓ માટે શેલ્ટર હોમ બનાવવાનો નિર્દેશ આપ્યો છે. તેમજ છ સપ્તાહની અંદર 5000 કૂતરા પકડવાનું અભિયાન શરૂ કરવા પણ કહ્યું છે. સંવેદનશીલ વિસ્તારોમાં તેની શરૂઆત કરવા સૂચન કર્યું છે. આ કાર્યવાહીમાં અડચણ નાખનારા વિરૂદ્ધ કડક કાર્યવાહી પણ નિર્દેશ કર્યો છે.