કયા કામથી કહ્યા વિના વિદેશ ગયા રાહુલ ગાંધી? ભાજપના આરોપો પર કોંગ્રેસે કરી સ્પષ્ટતા
Rahul Gandhi : રાહુલ ગાંધી વારંવાર વિદેશ કેમ જાય છે? તેઓ આ ગુપ્ત મુલાકાતો વિશે કેમ કોઈને માહિતી આપતાં નથી? રાહુલ ગાંધીની તાજેતરની મુલાકાત પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નો અંગે કોંગ્રેસે આવા તમામ પ્રશ્નોના જવાબ આપ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે, રાહુલ ગાંધી લંડન ગયા છે. તેઓ તેમની ભત્રીજી મીરાયા વાડ્રાના પદવીદાન સમારોહમાં હાજરી આપવા ગયા છે. મીરાયા લંડનની એક કોલેજમાંથી ગ્રેજ્યુએશન કરી રહી છે. કોંગ્રેસના નેતા પવન ખેરાએ ભાજપના આરોપો લગાવાતા કહ્યું કે, 'પીએમઓ હંમેશાની જેમ ગંદી ટ્રિક્સમાં જોડાઈ ગયા છે. તેઓ કાંઈ જાણતા નથી. રાહુલ ગાંધી તેમની ભત્રીજીના પદવીદાન સમારોહમાં હાજરી આપવા લંડન ગયા છે અને ટૂંક સમયમાં પરત આવવાના છે.'
'કયા કામથી કહ્યા વિના વિદેશ ગયા રાહુલ ગાંધી? '
હકીકતમાં ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ X હેન્ડલ પર એક પોસ્ટ કરીને સવાલ ઉઠાવ્યા હતા. પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, 'રાહુલ ગાંધી ગયા અઠવાડિયે સીક્રેટ વિદેશ પ્રવાસે ગયા હતા. હવે તેઓ ફરી એકવાર કોઈ સીક્રેટ જગ્યાએ જવા રવાના થયા છે. આખરે તેઓ આટલી જલ્દી જલ્દી અચાનક કેમ ગાયબ થઈ જાય છે? તેઓ પોતાના દેશમાં કેમ રહેતા નથી ? વિરોધ પક્ષના નેતા તરીકે તેમણે દેશના લોકોને તેમના મુદ્દાઓ વિશે માહિતી આપવી જોઈએ.' સોશિયલ મીડિયા પર એવી પણ ચર્ચા થઈ હતી કે રાહુલ ગાંધી બહેરીન ગયા હતા. પરંતુ હવે જ્યારે આરોપો વેગ પકડ્યો તો કોંગ્રેસે તેનો જવાબ આપ્યો છે.
આવો દુષ્પ્રચાર ફેલાવવો ખોટું છે: કોંગ્રેસ
આ પ્રશ્નના જવાબમાં કોંગ્રેસે જવાબ આપતાં કહ્યું છે કે, રાહુલ ગાંધી જે ફ્લાઇટમાં ગયા છે. તે બહેરીન થઈને લંડન ગઈ હતી. તેથી આવો દુષ્પ્રચાર ફેલાવવો ખોટું છે કે તેઓ બહેરીન ગયા હતા. નોંધનીય છે કે, ભાજપ ઘણીવાર રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસો પર પ્રશ્નો ઉઠાવે છે. એટલું જ નહીં આ મુદ્દો ઘણીવાર સોશિયલ મીડિયા પર પણ ઉઠાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ગાંધીની પુત્રી લંડનમાં અભ્યાસ કરે છે અને તેમની ઇચ્છા પર રાહુલ ગાંધીએ પદવીદાન સમારોહમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે. ત્યારે પરિવાર સાથે જોડાયેલા આ મામલે ભાજપના પ્રશ્નોથી કોંગ્રેસ ગુસ્સે ભરાઈ છે.