ભારતના અર્થતંત્ર મુદ્દે ટ્રમ્પની ટિપ્પણી પર રાહુલ ગાંધીનું મોટું નિવેદન
Rahul Gandhi On ‘dead economy’ remark on India: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિવાદિત નિવેદનને કોંગ્રેસ પાર્ટીએ ટેકો પૂરો પાડ્યો છે. લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ ટ્રમ્પના ‘ડેડ ઈકોનોમી’ પરના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં પીએમ મોદી અને નાણા મંત્રી પર પ્રહારો કર્યા હતા.
ટ્રમ્પે ભારતના અર્થતંત્રને ‘ડેડ ઈકોનોમી’ અર્થાત મૃત ગણાવ્યું હતું. જેના પર સવાલ પૂછવામાં આવતાં રાહુલ ગાંધીએ હુકાર ભર્યો હતો કે, 'હા, ભારતનું અર્થતંત્ર મૃત છે. વિશ્વમાં તમામ લોકો આ બાબત જાણે છે, માત્ર પીએમ મોદી અને નાણા મંત્રી જ નથી જાણતાં. આ તદ્દન સત્ય છે. પરંતુ ભારત સરકાર તેનો સ્વીકાર કરશે નહીં.'
અદાણીની મદદ કરવા અર્થતંત્રનું પતન કર્યુ BJP સરકાર
ડોનાલ્ડ ટ્રમ્પની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતાં રાહુલ ગાંધીએ મીડિયાને સામો સવાલ પૂછ્યો હતો કે, 'શું તમે નથી જાણતા કે, ભારતનું અર્થતંત્ર ‘ડેડ ઈકોનોમી’ છે. આખું વિશ્વ જાણે છે કે, ભાજપે ભારતના અર્થતંત્રનું પતન કર્યુ છે. ભાજપ સરકાર અદાણીને મદદ કરવા અર્થતંત્રનું પતન કર્યુ છે.'
આ પણ વાંચોઃ ભારત અને રશિયાનું અર્થતંત્ર મૃત છે, અમારે તેમની સાથે વેપાર જ નથી કરવોઃ ટ્રમ્પ
વડાપ્રધાન પર કર્યા આકરા પ્રહારો
રાહુલ ગાંધીએ બાદમાં આ નિવેદન મુદ્દે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ભારતનું અર્થતંત્ર ખતમ કરવાના આક્ષેપો મૂક્યા હતાં. તેમણે લખ્યું હતું કે, 'ભારતનું અર્થતંત્ર મૃત્યુ પામ્યુ છે. મોદીએ તેની હત્યા કરી છે.1. અદાણી-મોદી ભાગીદારી 2. ડિમોનેટાઈઝેશન અને જીએસટીનો અમલ, 3. ભારતને એસેમ્બલ કરવામા નિષ્ફળ, 4. એમએસએમઈનો સફાયો, 5. ખેડૂતોનુ પતન.' આગળ રાહુલ ગાંધીએ કહ્યું કે, 'મોદીજીએ ભારતના યુવાનોનુ ભવિષ્ય પણ નષ્ટ કર્યું છે.કારણકે, કોઈની પાસે રોજગાર નથી.'
ટ્રમ્પે આપ્યું હતું આ નિવેદન
ટ્રમ્પે ગઈકાલે ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરતાં નિવેદન આપ્યું હતું કે, તે ભારત અને રશિયા સાથે વેપાર કરવા માગતો નથી. કારણકે, તેમની ઈકોનોમી ‘ડેડ ઈકોનોમી’ છે. ટ્રમ્પના વિરોધ છતાં ભારતના રશિયા અને ઈરાન સાથેના વેપાર સંબંધોના પગલે ટ્રમ્પે આ પગલું લીધુ હોવાનું તેના નિવેદન પરથી સ્પષ્ટ જણાઈ રહ્યુ હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું,'મને કોઈ ફરક નથી પડતો કે ભારત રશિયા સાથે શું કરે છે. મને ફક્ત એ જ ફરક પડે છે કે તે મળીને પોતાના મૃત અર્થતંત્રને કેવી રીતે નીચે લાવી શકે છે. અમે ભારત સાથે ખૂબ જ ઓછો વેપાર કર્યો છે કારણ કે તેમના ટેરિફ ખૂબ ઊંચા છે. રશિયા અને અમેરિકા પણ લગભગ કોઈ વેપાર કરતા નથી.'
ભારત પર ટેરિફ +પેનલ્ટી
30 જુલાઈના રોજ, ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ કરીને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, 'ભારત રશિયા પાસેથી ખૂબ જ મોટા પાયે શસ્ત્રો અને ઓઈલ ખરીદી રહ્યું છે. હાલ આખું વિશ્વ ઈચ્છે છે કે, રશિયા યુક્રેનમાં હુમલા કરવાનું બંધ કરે. આ બધું યોગ્ય નથી થઈ રહ્યું. આ માટે ભારતે પણ 25% ટેરિફ અને દંડ ચૂકવવો પડશે. આ નિયમ પહેલી ઓગસ્ટથી લાગુ થઈ જશે. આભાર. મેક અમેરિકા ગ્રેટ અગેઇન.'