Get The App

પંજાબમાં મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પલટતાં 6ના મોત, 21થી વધુ ઈજાગ્રસ્ત

Updated: Apr 15th, 2026

GS TEAM

Google News
Google News
પંજાબમાં મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પલટતાં 6ના મોત, 21થી વધુ ઈજાગ્રસ્ત 1 - image

Punjab Bus Accident: પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લામાં એક મોટો અકસ્માત સર્જાયો છે. અહીં શ્રદ્ધાળુઓથી ભરેલી એક બસ બેકાબૂ થઈને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે 21 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. તમામ ઈજાગ્રસ્તોને મોરિંડા અને ફતેહગઢ સાહિબની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. ગંભીર રીતે ઈજા પામેલા કેટલાક શ્રદ્ધાળુઓને ચંદીગઢ PGIમાં રેફર કરવામાં આવ્યા છે. અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

થાંભલા સાથે અથડાઈ બસ બાદમાં લાગ્યો કરંટ 

આ અકસ્માત મંગળવારે રાત્રે લગભગ 10 વાગ્યે બસ્સી પઠાણાના મોરિંડા-ચુન્ની રોડ પર હિંમતપુરા ગામ પાસે થયો હતો. બસમાં સવાર શ્રદ્ધાળુઓ મેન માજરીના રહેવાસી હતા. તેઓ વૈશાખી પર શ્રી આનંદપુર સાહિબમાં દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. બસમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે તે બેકાબૂ થઈને થાંભલા સાથે અથડાઈ હતી. બસ પલટી ગયા બાદ તેમાં અચાનક કરંટ આવી ગયો હતો. ઘટનાસ્થળે ચીસાચીસ અને ભારે અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસ અને રાહત ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને બચાવ અભિયાન શરૂ કર્યું. 

બસમાં ખામી હોવાની આશંકા

ફતેહગઢ સાહિબના SSP મુજબ આ અકસ્માત રાત્રે 9:30 થી 10 વાગ્યાની વચ્ચે થયો હતો. પ્રાથમિક તપાસમાં બસના કોઈ ભાગમાં ખામી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે બસ અચાનક અસંતુલિત થઈ ગઈ અને રોડ કિનારે લાગેલા થાંભલા સાથે અથડાઈ. તેમણે જણાવ્યું કે પોલીસ અને રાહત ટીમે ઘટનાસ્થળે પહોંચીને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા હતા. 

આ પણ વાંચો: અમદાવાદ: એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં છતનો સ્લેબ તૂટ્યો, એક ઈજાગ્રસ્ત

ઉતરવાનું સ્થળ માત્ર દોઢ કિલોમીટર દૂર હતું

વૈશાખીના દિવસે બસ્સી પઠાણા વિસ્તારમાંથી શ્રદ્ધાળુઓનો એક સંઘ આનંદપુર સાહિબ દર્શન કરવા ગયો હતો. મેન માજરા જ્યાં શ્રદ્ધાળુઓએ ઉતરવાનું હતું તે સ્થળ માત્ર 1.5 કિલોમીટર દૂર હતું. તે પહેલા જ ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.