For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીમાં ક્રિસમસ-ન્યૂ યરની જાહેર ઉજવણી પર પ્રતિબંધ

Updated: Dec 22nd, 2021

Article Content Image

- દેશમાં ઓમિક્રોનના વધુ 38 સાથે કુલ કેસ 258ને પાર થતાં રાજ્યોમાં પ્રતિબંધોની તૈયારી, 

- ઓમિક્રોનના કુલ કેસોમાં મહારાષ્ટ્ર પ્રથમ, દિલ્હી બીજા ક્રમે, દેશભરના 17 રાજ્યોમાં નવો વેરિઅન્ટ ફેલાયા: બંગાળમાં 29 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ

- દેશમાં ઓમિક્રોનના કેસો વધતાં વડાપ્રધાનની આજે ઉચ્ચસ્તરીય બેઠક

- દેશમાં કોરોનાના નવા 6319 કેસો, વધુ 318ના મોત

નવી દિલ્હી : ભારતમાં કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસોનું પ્રમાણ દિવસે ને દિવસે વધવા લાગ્યું છે. દેશમાં નવા ૩૮ કેસો જ્યારે ગુજરાતમાં નવા નવ કેસો સામે આવતા દેશભરમાં ઓમિક્રોનના કુલ કેસોની સંખ્યા વધીને ૨૫૮ને પાર પહોંચી ગઈ છે. જેને પગલે હવે રાજ્યો દ્વારા પ્રતિબંધો લાગુ કરવાનું શરૂ કરી દેવાયું છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારે ન્યૂ યરની ઉજવણી પર પ્રતિબંધ મુકી દીધો છે. સાથે જ રાજધાની દિલ્હીમાં ક્રિસમસની ઉજવણી પણ નહીં થઇ શકે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોનાના વધી રહેલા કેસો મામલે ચર્ચા કરવા ગુરુવારે એક ઇમર્જન્સી બેઠક પણ બોલાવી છે. 

દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ડીડીએમએ) દ્વારા બુધવારે દરેક જિલ્લા મેજિસ્ટ્રેટ્સને આદેશ અપાયા હતા કે ક્રિસમસ અને ન્યૂ યરની ઉજવણી જે વિસ્તારોમાં થતી હોય તેની યાદી તૈયાર કરવામાં આવે, આ વિસ્તારોમાંથી એવા વિસ્તારોને પસંદ કરવામાં આવશે કે જ્યાં આવી ઉજવણી દરમિયાન કોરોના વાઇરસ ફેલાવાની શક્યતાઓ વધુ હોય. સાથે જ દિલ્હીના દરેક વિસ્તારોમાં જાહેર સ્થળોએ લોકો કોરોના પ્રોટોકોલનું પાલન કરે તે માટે કડક રીતે નિયમોને લાગુ કરવામાં આવે જેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સને પ્રાધાન્ય આપવાનું રહેશે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હાલ દિલ્હીમાં દરેક વિસ્તારોનો સરવે કરવાનું કામ શરૂ કરી દેવાયું છે. જેમાં એવા વિસ્તારોને શોધી કાઢવામાં આવશે કે જ્યાં ઉજવણીઓ વધુ થતી હોય, આવા વિસ્તારો પર પ્રશાસનની ચાંપતી નજર રહેશે. 

બીજી તરફ પશ્ચિમ બંગાળના નડિયા જિલ્લામાં એક સ્કૂલના ૨૯ વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કલ્યાણીના જવાહર નવોદય વિદ્યાલયના ૨૯ વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના માતા પિતાને આ અંગે જાણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં તાવ અને શરદીના લક્ષણો જોવા મળ્યા છે અને તેમને હોમ કોરન્ટાઇન કરાયા છે. આ વિદ્યાર્થીઓ જ્યાં અભ્યાસ કરે તે પુરી સ્કૂલના બધા જ વિદ્યાર્થીઓ અને સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓના પરિવારજનોનો પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.  દરમિયાન ઓમિક્રોનના કેસો વધી રહ્યા છે ત્યારે દેશભરમાં કોરોના વાઇરસના સામાન્ય નવા ૬૩૧૯ કેસો સામે આવ્યા હતા. જ્યારે વધુ ૩૧૮ લોકોએ કોરોનાને કારણે જીવ ગૂમાવ્યો છે. એક્ટિવ કેસોમાં ૨૪ કલાકમાં ૯૦૭ કેસો ઘટયા છે. વધુ ૩૧૮ લોકોના મોત નિપજ્યા છે તેમાં કેરળમાં ૨૩૩, ગોવામાં ૩૦ અને મહારાષ્ટ્રમાં ૧૪નો સમાવેશ થાય છે. દેશભરમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસો વધી રહ્યા છે. દેશભરમાં ઓમિક્રોનના કેસો મામલે મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૬૫, રાજસ્થાનમાં ૨૨, દિલ્હીમાં ૫૪, કેરળમાં ૨૪, કર્ણાટકમાં ૧૯, તેલંગાણામાં ૩૮ સાથે દેશભરમાં આ વેરિઅન્ટના કુલ કેસોની સંખ્યા ૨૫૮ને પાર થઈ ગઈ છે. 

અખિલેશના પત્ની ડિમ્પલ અને પુત્રી કોરોના પોઝિટિવ 

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ અને તેમના પુત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  આ અંગેની જાણકારી ડિંપલ યાદવ દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી હતી. ડિમ્પલે જણાવ્યું હતું કે મે કોરોના સામેની રસીના બન્ને ડોઝ લઇ લીધા હોવા છતા મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે મારામાં હજુસુધી કોઇ લક્ષણો કે બિમારી નથી જોવા મળી. દરમિયાન અખિલેશના પુત્રીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

કોરોના પ્રત્યે લોકોની બેદરકારી જોખમી: ડો. ગુલેરિયા

ભારતમાં ઓમિક્રોનના વધતા કેસો વચ્ચે એઇમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું છે કે કોરોના પ્રત્યે લોકોની બેદરકારી જોખમી છે. જો કે તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધીના આંકડા સૂચવે છે કે વેક્સિન કોરોના સામે અસરકારક છે.

 જે લોકોએ એક પણ ડોઝ લીધો નથી તેમણે પ્રથમ ડોઝ તાત્કાલિક લઇ લેવો જોઇએ. જેમણે પ્રથમ ડોઝ લઇ લીધો છે તેમણે બીજો ડોઝ સમયસર લઇ લેવો જોઇએ. ઓમિક્રોન પણ ઝડપથી ફેલાઇ રહ્યું હોવાથી કોવિડના નિયમોનું કડકપણે પાલન કરવું પડશે. લોકોએ માસ્ક પહેરવું પડશે, ફિઝિકલ ડિસ્ટન્સ જાળવવું પડશે અને ભીડવાળી જગ્યાથી દૂર રહેવું પડશે. ઓમિક્રોન વેરિએન્ટ ડેલ્ટા વેરિઅન્ટ કરતા ત્રણ ગણી વધારે ઝડપથી ફેલાઇ રહ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્યોને નાઇટ કરફ્યુ, ભીડવાળા કાર્યક્રમો પર પ્રતિબંધ, લગ્નમાં મહેમાની સંખ્યામાં ઘટાડો કરવાના ટેસ્ટિંગ વધારવાના નિર્દેશ આપ્યા છે.

Gujarat