Get The App

ખામેનેઇના મૃત્યુને પગલે ભારતમાં કાશ્મીર સહિતના સ્થળે વિરોધ પ્રદર્શન

Updated: Mar 1st, 2026

GS TEAM

Google News
Google News
ખામેનેઇના મૃત્યુને પગલે ભારતમાં કાશ્મીર સહિતના સ્થળે વિરોધ પ્રદર્શન 1 - image


- યુપી અને કર્ણાટકમાં પણ શિયાઓ રસ્તા પર ઉતર્યા 

- ખામેનેઇએ ૧૯૮૬માં કર્ણાટકના જે ગામની મુલાકાત લીધી હતી ત્યાં મૌન પળાયું 

- આજે ટ્રમ્પ-નેતન્યાહુના પુતળા દહન સાથે વિરોધ કરવા શિયા મુસ્લિમ લો બોર્ડની જાહેરાત

શ્રીનગર: ઇરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઇના મોતને પગલે સમગ્ર વિશ્વમાં શિયા મુસ્લિમોમાં દુઃખની લાગણી ફેલાઇ ગઇ છે, જેની અસર ભારતમાં પણ જોવા મળી છે. ભારતમાં કાશ્મીરથી કર્ણાટક સુધી શિયા મુસ્લિમો દ્વારા ધરણા પ્રદર્શન યોજાયા હતા. ઉત્તર પ્રદેશના લખનઉમાં પણ લોકો રસ્તા પર ઉતર્યા હતા.  કાશ્મીરમાં ૧૫ લાખથી વધુ શિયા મુસ્લિમો છે જેને પગલે અહીંના લાલ ચોક, સૈદા કાદલ, બડગામ, બંદીપોરા, અનંતનાગ, પુલવામા વિસ્તારમાં મોટી સંખ્યામાં શિયા મુસ્લિમો એકઠા થયા હતા. છાતી કૂટતા અને અમેરિકા વિરોધી સુત્રોચ્ચાર કરતા અનેક લોકો જોવા મળ્યા હતા. જમ્મુ કાશ્મીરના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહએ પણ ખામેનેઇના મોત પર દુઃખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. દેશના અન્ય વિસ્તારોમાં પણ મુસ્લિમ સંગઠનોએ ખામેનેઇને શ્રદ્ધાંજલિ આપવાના વિવિધ કાર્યક્રમો જાહેર કર્યા હતા. 

ઓલ ઇન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડના જનરલ સેક્રેટરી મૌલાના યાકૂબ અબ્બાસે કહ્યું હતું કે સોમવારે વિરોધ પ્રદર્શન કરીશું અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુના પુતળાનું દહન કરીશું. સમગ્ર દેશના શિયા મુસ્લિો ત્રણ દિવસ સોક પાળશે. પંજાબના લુધિયાણામાં મુસ્લિમો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયા હતા અને પુતળા દહન કરાયું હતું. કર્ણાટકના ચિક્કાબાલ્લાપુરમાં મૌન પાળવામાં આવ્યું હતું, સામે ચાલીને લોકોએ દુકાનો, શોપિંગ સેન્ટર વગેરે બંધ રાખ્યા હતા. આ એ જ જિલ્લો છે કે જ્યાં એક સમયે ખામેનેઇએ મુલાકાત લીધી હતી અને શિયાઓ માટેની કેટલીક ઇમારતોનું ઉદ્ઘાટન કર્યું હતું. ૧૯૮૬માં અહીંના અલીપુરામાં ખામેનેઇએ મુલાકાત લીધી હતી.