- દિલ્હી યુનિવર્સિટીની હિન્દુ કૉલેજના આ પ્રોફેસરે સોશ્યલ મીડિયા ઉપર તે શિવલિંગ સંબંધે વાંધાજનક પોસ્ટ કરતા કેસ પણ કરાયો
નવીદિલ્હી : દિલ્હી યુનિવર્સિટીની હિન્દુ કોલેજના એસોસિએટ પ્રોફેસર રતનલાલની શુક્રવારે સાંજે ધરપકડ કરાઈ હતી. આ ધરપકડનું કારણ તેઓએ વારાણસીની જ્ઞાાનવાપી મસ્જિદમાં રહેલા શિવલિંગ અને સોશીયલ મીડિયા ઉપર કરેલી ટીપ્પણી છે.
આ અંગે પોલીસ જણાવે છે કે પ્રો. રતનલાલની IPCની કલમ ૧૫૩ (A) (બે જુદા જુદા વર્ગો વચ્ચે ધર્મના નામે કે જાતિના નામે કે રહેણાંક અંગે, જન્મસ્થળ અંગે કે ભાષા સંબંધે વૈમનસ્ય ઉભું કરવું. અને જુદા જુદા વર્ગો વચ્ચે તે દ્વારા વૈમનસ્ય કરી સંવાદિતા તોડવી) અને IPC ની કલમ ૨૯૫ A (કોઈપણ વર્ગના ધર્મનું અપમાન કરી અન્ય વર્ગની લાગણી દુભાવવાનો જાણી જોઈને કરાયેલો પ્રયાસ) તેમ બંને કલમો લગાડી પ્રો. રતનલાલની ધરપકડ કરી હતી તેમ સાયબર પોલીસ સ્ટેશને જણાવ્યું છે. આ રતનલાલ વિરૂદ્ધ ગયા મંગળવારે FIRતો નોંધાઈ જ છે. જે દિલ્હી સ્થિત એક વકીલ દ્વારા દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં વકીલ વિનિત જિન્દાલે જણાવ્યું હતું કે તે શિવલિંગ અંગે રતનલાલે કેટલાક હલકાપ્રકારના અને ઉશ્કેરણીજનક ટ્વિટ કર્યા હતા.
આ સામે પોતાનો બચાવ કરતા પ્રો. લાલે કહ્યું હતું કે ભારતમાં તમે, કોઈપણ બાબતે કશું પણ કહી જ શકો છો. પરંતુ તે અન્યની ભાવનાઓને નુકસાન કરે તેવું ન હોવું જોઈએ. આથી તેમાં નવું તો કશું જ નથી હું એક ઇતિહાસકાર છું અને મેં ઘણાં મંતવ્યો આ પૂર્વે પણ રજૂ કર્યા છે જ્યારે હું આ ટ્વિટ લખતો હતો ત્યારે મેં તે પોસ્ટમાં રક્ષણાત્મક ભાષા જ વાપરી છે, મારી ઉપરના આરોપોનો હું જ બચાવ કરીશ.' જો કે, રતનલાલને પછી જામીન ઉપર છોડવામાં આવ્યા હતા.


