India

ઓમ બિરલાને હટાવવાની વાત આવી તો નેહરુના નિવેદનો યાદ આવી ગયા... પ્રિયંકા ગાંધીના કિરણ રિજિજૂ પર પ્રહાર

By GS TEAM
10 Mar 20262 mins read
TukuTouch Logo
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે (10 માર્ચ) કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ પર આકરા પ્રહારો કર્યા છે. સંસદમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને હટાવવાના પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન જ્યારે રિજિજૂએ જવાહરલાલ નેહરુના નિવેદનનો ઉલ્લેખ કર્યો, ત્યારે પ્રિયંકાએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, જે લોકો ભારતના પ્રથમ વડાપ્રધાનની દિવસ-રાત ટીકા કરે છે, તેઓ આજે પોતાના બચાવમાં તેમના જ નિવેદનોનો હવાલો આપી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓમ બિરલાને હટાવવાની વાત આવી તો નેહરુના નિવેદનો યાદ આવી ગયા... પ્રિયંકા ગાંધીના કિરણ રિજિજૂ પર પ્રહાર

Priyanka Gandhi Slams Kiren Rijiju : કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે (10 માર્ચ) કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ પર આકરા પ્રહારો કર્યા છે. સંસદમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને હટાવવાના પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન જ્યારે રિજિજૂએ જવાહરલાલ નેહરુના નિવેદનનો ઉલ્લેખ કર્યો, ત્યારે પ્રિયંકાએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, જે લોકો ભારતના પ્રથમ વડાપ્રધાનની દિવસ-રાત ટીકા કરે છે, તેઓ આજે પોતાના બચાવમાં તેમના જ નિવેદનોનો હવાલો આપી રહ્યા છે.

રિજિજૂએ શું કહ્યું?

કિરેન રિજિજૂએ ચર્ચા દરમિયાન વર્ષ 1954ના એક ઐતિહાસિક કિસ્સાનો ઉલ્લેખ કર્યો હતો. તે સમયે તત્કાલીન સ્પીકર જી.વી. માવળંકરને પદ પરથી હટાવવા માટે રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવ પર જવાહરલાલ નેહરુએ જે પ્રતિક્રિયા આપી હતી, તેનો રિજિજૂએ હવાલો આપ્યો હતો. રિજિજૂએ નેહરુના શબ્દો ટાંકીને કહ્યું કે, ‘હું તે માનનીય સભ્યોને વિનંતી કરીશ કે જેમણે આ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે અને જેમણે તેને સમર્થન આપ્યું છે, તેઓ મહેરબાની કરીને તે દસ્તાવેજ વાંચે જેના પર તેમણે સહી કરી છે. આ એક અત્યંત ઘાતક દસ્તાવેજ છે. મને શંકા છે કે તેમણે આને વાંચ્યો પણ છે કે નહીં. જો તેમણે આ વાંચ્યો હોત, તો તેના પર હસ્તાક્ષર કરતા પહેલા તેમણે સો વાર વિચાર કર્યો હોત.’

રિજિજૂએ કોંગ્રેસ પર કટાક્ષ કરતા એમ પણ ઉમેર્યું કે, ‘પ્રિયંકા ગાંધી ત્યાં બેસીને હસી રહ્યા છે. જો તેમને વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા હોત તો વિપક્ષનું પ્રદર્શન વધુ સારું હોત.’

આ પણ વાંચો : હોર્મુઝ બાદ રાતા સમુદ્રમાં પણ જોખમ! ભારતના 1800 કન્ટેઇનર પરત, 2000 કાર ફસાઈ

પ્રિયંકા ગાંધીનો રિજિજૂને વળતો જવાબ

રિજિજૂના નિવેદન બાદ પ્રિયંકા ગાંધીએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, ‘તેમણે કહ્યું કે હું હસી રહી હતી. હું સ્પષ્ટ કરવા માંગું છું કે હું એટલા માટે હસી રહી હતી કારણ કે જે નેહરુજીની તેઓ દિવસ-રાત ટીકા કરે છે, આજે તેમણે પોતાના તર્ક સાબિત કરવા માટે નેહરુજીના જ નિવેદનો ટાંકવા પડ્યા છે. અચાનક તેમને નેહરુજી પ્રત્યે સન્માન જાગ્યું છે કે તેમણે લોકશાહી મજબૂત કરી અને આવા ભાષણો આપ્યા.’ પ્રિયંકાએ ભારપૂર્વક જણાવ્યું કે, ‘માત્ર એક જ વ્યક્તિ એવી છે જેમણે સરકાર સામે માથું ઝુકાવ્યું નથી અને તે છે વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi).’

આ પણ વાંચો : મિડલ ઈસ્ટમાં તણાવ મુદ્દે કેન્દ્ર સરકાર સક્રિય, તમામ મંત્રાલયોને PM મોદીએ આપ્યા ખાસ નિર્દેશ