Get The App

મુઝફ્ફરનગરમાં ફી ન ભરી એટલે પરીક્ષામાં બેસવા ન દીધો, વિદ્યાર્થીએ આત્મવિલોપન કર્યું

Updated: Nov 10th, 2025

GS TEAM

Google News
Google News
Muzaffarnagar Student Self Destruction:

Muzaffarnagar Student Self Destruction: ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરના બુઢાણા સ્થિત ડીએવી કોલેજમાં બી.એ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતા 22 વર્ષીય વિદ્યાર્થી ઉજ્જવલ રાણા, જે બાગપત જિલ્લાના ભડલનો રહેવાસી છે, તેને કોલેજની પાંચ હજાર રૂપિયાની ફી માટે આચાર્યએ માર માર્યો. ત્યાર બાદ પોલીસે પણ તેની સાથે ગેરવર્તણૂક પણ કરી. ત્યારે આ અપમાનથી વ્યથિત થઈને વિદ્યાર્થીએ કૉલેજના ક્લાસરૂમમાં જ પેટ્રોલ છાંટીને આગ લગાવીને આત્મહત્યા કરી લીધી.

ઉજ્જવલને ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં દિલ્હી ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જેમાં રવિવારે રાત્રે તેનું મોત થઈ ગયું છે. આ દુર્ઘટનાથી ગુસ્સે ભરાયેલા અન્ય વિદ્યાર્થીઓએ કોલેજના ગેટ પર વિરોધ પ્રદર્શન કર્યું. મેરઠના સરધનાના રહેવાસી આચાર્ય પ્રદીપ કુમાર વિરુદ્ધ આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આગ લગાવતા પહેલા વીડિયોમાં ઉજ્જવલના ગંભીર આરોપો

બુઢાણાના મોહલ્લા ખાકરોબાનમાં પરિવાર સાથે રહેતા ઉજ્જવલે આગ લગાવતા પહેલા જાહેર કરેલા વીડિયોમાં આરોપ લગાવ્યો કે 7 નવેમ્બરે આચાર્ય પ્રદીપ કુમારે તેને પોતાની ઓફિસમાં બોલાવ્યો અને યુનિવર્સિટી ફીના નામે પાંચ હજાર રૂપિયા જમા કરાવવાની વાત કરી.

ઉજ્જવલે આચાર્યને જણાવ્યું કે, તે પરીક્ષા ફી યુનિવર્સિટીમાં ઓનલાઈન જમા કરાવી ચૂક્યો છે અને એક અઠવાડિયામાં શેરડીનું પેમેન્ટ મળતાં જ કોલેજની ફી પણ જમા કરાવી દેશે. આના પર, આચાર્યએ પહેલા પોતાની ઓફિસમાં ગાળાગાળી કરીને માર માર્યો અને ત્યારબાદ કોલેજના ગેટ પર લાવીને પણ તેની પીટાઈ કરી.

પોલીસે પણ તેની સાથે ગેરવર્તણૂક કરી

આ મામલે ઉજ્જવલે મુખ્યમંત્રી, એસડીએમ અને પોલીસને ફરિયાદ કરી. કોલેજ પહોંચેલી પોલીસે પણ તેની સાથે ગેરવર્તણૂક કરી. બીજા દિવસે શનિવારે ઉજ્જવલ કોલેજ પહોંચ્યો અને સવારે લગભગ 11 વાગ્યે પોતાના પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી.

સાથી વિદ્યાર્થીઓએ કોઈક રીતે આગ બુઝાવી અને લગભગ 80 ટકા દાઝેલા ઉજ્જવલને ગંભીર હાલતમાં પહેલા સીએચસીથી મેરઠ અને પછી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

વાળ ખેંચ્યા, ગાળ આપી અને માર માર્યો

ઉજ્જવલ રાણાએ વીડિયોમાં કહ્યું કે, 'મારી સાથે એવી ઘટના બની, જેણે મને તોડી નાખ્યો છે. આચાર્ય પ્રદીપ કુમારે મારી સાથે અપમાનજનક વ્યવહાર કર્યો. મને ગાળ આપી, મારા વાળ ખેંચ્યા અને મારી પીટાઈ કરી. મેં માત્ર એવા ગરીબ અને અસહાય વિદ્યાર્થીઓ માટે અવાજ ઉઠાવ્યો હતો જેઓ ફી ન હોવાને કારણે પરીક્ષા ફોર્મ જમા કરાવી શકતા નહોતા.'

આ પણ વાંચો: હવામાં ચાલુ ઉડાન વચ્ચે સ્પાઈસજેટના વિમાનનું એન્જિન ફેલ, કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ

ઉજ્જવલે કહ્યું કે, 'આની સજા મને અપમાન કરીને અને ડરાવી-ધમકાવીને આપવામાં આવી. મેં ન્યાયની વાત કરી તો કોલેજમાં પોલીસ બોલાવવામાં આવી. પોલીસકર્મી ધર્મવીર, નંદ કિશોર અને વિનીત, જેમની પાસેથી મને મદદની અપેક્ષા હતી, તેમણે પણ મને ગાળો આપી. મને ડરાવવાનો-ધમકાવવાનો પ્રયાસ કર્યો. આ બધાના શબ્દોએ મારી આત્માને ઊંડી ઠેસ પહોંચાડી છે.'

ઉજ્જવલે વધુમાં કહ્યું કે, 'તેમણે મને તોડી દીધો. ઈમાનદારી અને કાયદા પ્રત્યેની સચ્ચાઈની કડી તૂટી ગઈ છે. હું ખુદને જ સવાલ પૂછવા લાગ્યો છું કે શું સચ્ચાઈ માટે અવાજ ઉઠાવવો ખોટું છે. હું દર્દમાંથી પસાર થઈ રહ્યો છું પણ ડરીશ નહીં. જો હું આત્મહત્યા કરું છું, તો તેનો દોષ આચાર્ય, પોલીસકર્મી નંદ કિશોર, ધર્મવીર અને વિનીત પર હશે.'

મુઝફ્ફરનગરમાં ફી ન ભરી એટલે પરીક્ષામાં બેસવા ન દીધો, વિદ્યાર્થીએ આત્મવિલોપન કર્યું 2 - image