સમુદ્રી સામર્થ્ય રાષ્ટ્રીય શક્તિના આધાર : મોદી
દુનિયાનો મોટાભાગનો વેપાર સમુદ્રી માર્ગે, ડેટાનું વિશાળ નેટવર્ક સમુદ્ર નીચેથી પસાર થાય છે
કોલકાતામાં ત્રણ સ્વદેશી યુદ્ધ જહાજોના કમિશનિંગ પહેલા નેવીએ એક વીડિયો શૅર કરતા દૂનાગિરિને શક્તિશાળી અને અત્યાધુનિક યુદ્ધ જહાજ ગણાવ્યું હતું. વીડિયોમાં કહેવાયું, પરિશુદ્ધતા, શક્તિ, ચપળતા. અત્યાધુનિક હથિયારો અને સેન્સર સૂટથી ભરપૂર, લાંબા સમુદ્રી પ્રવાસ માટ એન્જિનિયર, સતત સંચાલન અને સ્વદેશી સ્ટીલ્થ ટેકનિકથી સજ્જ દૂનાગિરિને બહુ-આયામી પ્રભુત્વ અને ઘાતક્તા માટે બનાવાયું છે. આ ત્રણેય જહાજોની ડિઝાઈન ભારતીય નેવીના વોરશિપ ડિઝાઈન બ્યુરોએ તૈયાર કરી છે અને તેનું નિર્માણ કોલકાતા સ્થિત ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિ.એ કર્યું છે. તેમાં ૭૫ ટકાથી વધુ સ્વદેશી પાર્ટ્સનો ઉપયોગ કરાયો છે અને તેના નિર્માણમાં ૨૦૦થી વધુ એમએસએમઈએ ભાગીદારી કરી છે.
વડાપ્રધાન મોદીએ સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર આપતા કહ્યું કે, આજે દુનિયાનો મોટાભાગનો વેપાર સમુદ્રી માર્ગોથી થાય છે. દુનિયાને જોડતા ડેટાનું વિશાળ નેટવર્ક સમુદ્રની નીચેથી પસાર થાય છે. આવા સમયે જે દેશનું સમુદ્રી સામર્થ્ય મજબૂત હશે તે દેશનો આર્થિક અને રણનીતિક પ્રભાવ પણ તેટલો મજબૂત હશે. ભારત આ વાસ્તવિક્તાને સારી રીતે સમજે છે. આપણી ક્ષમતાઓની ઓળખ આત્મનિર્ભરતાથી છે. ભારત હવે સંરક્ષણ ક્ષેત્રે માત્ર એક ખરીદદાર દેશ તરીકે રહી શકે નહીં અને તેની સશસ્ત્ર સેના દુનિયા માટે બજાર બનીને રહી શકે નહીં. આ ત્રણ જહાજ ભારતના ત્રણ મહત્વપૂર્ણ સંકલ્પોના પણ પ્રતીક છે. તેનું નિર્માણ ભારતમાં થયું, ભારતમાં ડિઝાઈન થયું. આ ભારતીય ઉદ્યોગોની પ્રતીભા, ભારતીય એન્જિનિયરિંગની કુશળતા અને ભારતીય શ્રમિકોની આકરી મહેનતનું પરિણામ છે અને તે નવા ભારતની સૌથી મોટી તાકાત છે.


