Get The App

બિહાર વિધાનસભાની ચૂંટણી ભાજપની કસૌટી કરશે, વધુ સીટ મેળવવા માટે સાથી પક્ષો દબાણ વધારવા લાગ્યા

Updated: Jun 11th, 2025

GS TEAM


Google News
Google News
બિહાર વિધાનસભાની ચૂંટણી ભાજપની કસૌટી કરશે, વધુ સીટ મેળવવા માટે સાથી પક્ષો દબાણ વધારવા લાગ્યા 1 - image


Bihar Assembly Elections: આ વર્ષના ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. કુલ 243 બેઠકોમાંથી કોને કેટલી બેઠકો પર લડવા મળશે, એ માટેની રણનીતિ અત્યારથી જ ઘડાવા લાગી છે. રાજ્યના વર્તમાન શાસક NDA ના ઘટક પક્ષો મહત્તમ સીટ મેળવવા માટે ભાજપ પર આડકતરી રીતે દબાણ કરી રહ્યા છે અને એ માટે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે ચાલો જાણીએ કે, કયો પક્ષ કેટલો અને કેવો દાવો કરી રહ્યો છે. 

બિહાર વિધાનસભાના મુખ્ય ખેલાડીઓ કોણ છે? 

હાલમાં JDU ના વડા નીતિશ કુમારના નેતૃત્વમાં બિહારમાં સરકાર ચાલી રહી છે. NDA ના ઘટક પક્ષોમાં બે મુખ્ય પક્ષ છે ભાજપ અને જેડીયુ. એ ઉપરાંત, કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની LJP(R) [લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)], કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીની HAM (હિન્દુસ્તાની અવામ મોર્ચા) અને રાજ્યસભા સાંસદ ઉપેન્દ્ર કુશવાહાની RLM (રાષ્ટ્રીય લોક મોર્ચા) નો સમાવેશ થાય છે. આ ત્રણે પક્ષ શક્તિ પ્રદર્શન દ્વારા ભાજપ-જેડીયુ પર દબાણ લાવીને એમ કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેમને વ્યાપક જનસમર્થન છે, તેથી તેમને વધુ બેઠકો મળવી જોઈએ.

ચિરાગ પાસવાને મોટું મોં ફાડ્યું

તાજેતરમાં આરા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં આવેલી ભીડ જોઈને ઉત્સાહિત થયેલા ચિરાગ પાસવાને જાહેરમાં કહી દીધું હતું કે તેમની પાર્ટી રાજ્યની તમામ 243 બેઠકો પર ચૂંટણી લડશે. તેમણે કહ્યું હતું કે તેમણે NDA ને મજબૂત કરવા માટે આ નિર્ણય લીધો છે. નિષ્ણાતો કહે છે કે, LJP(R) પાસે પાંચ સાંસદ હોવાથી ચિરાગનું મનોબળ ચરમસીમાએ છે, તેથી તેઓ ઈચ્છિત બેઠક મેળવવા માટે ભાજપ પર દબાણ કરવાની વ્યૂહરચના રચી રહ્યા છે. 

આ પણ વાંચો: રાજા હત્યાકાંડ: સોનમ સહિત પાંચેય આરોપીઓના શિલોંગ કોર્ટે 8 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર, પોલીસ કસ્ટડીમાં મોકલાયા

જીતન રામ માંઝી પણ ઓછામાં માને એમ નથી

બિહારમાં મહાદલિત મતદારોની સંખ્યાના વધુ હોવાથી HAM ના વડા અને કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝી ઈચ્છે છે કે તેમની પાર્ટી ઓછામાં ઓછી 30 બેઠકો પર ચૂંટણી લડે. તેમણે ઘણી વાર કહ્યું છે કે મહાદલિત સમુદાયના કલ્યાણ માટે વિધાનસભામાં તેમના 20 ધારાસભ્યો હોવા જરૂરી છે. ગૃહમાં 20 ધારાસભ્યો મેળવવા માટે કમસેકમ 30-35 બેઠકો પર ચૂંટણી લડવી પડશે. તેથી તેમણે ભાજપને આગોતરો સંકેત આપી દીધો છે કે બેઠકોની વહેંચણી દરમિયાન તેઓ 30-35 બેઠકોની માંગ કરશે. અલબત્ત, તેઓ બિહારમાંથી તેમના પક્ષના એકમાત્ર સાંસદ છે. તેમના પુત્ર સંતોષ સુમન બિહાર સરકારમાં મંત્રી છે.

એક પણ બેઠક નહીં, છતાં ઉપેન્દ્ર કુશવાહા મુસ્તાક છે 

રાજ્યસભાના સાંસદ ઉપેન્દ્ર કુશવાહાનો RLM પક્ષ NDA નો ઘટક તો છે, પરંતુ વિધાનસભા કે લોકસભામાં RLM નો કોઈ સભ્ય નથી. કુશવાહા પોતે રાજ્યસભામાં છે. કોઈરી (કુશવાહા) સમુદાયમાં કુશવાહાની સારી પકડ છે. તેમણે ક્યારેય કહ્યું નથી કે તેમનો પક્ષ બિહાર વિધાનસભામાં કેટલી બેઠકો પર ચૂંટણી લડશે, પરંતુ તેઓ પણ દબાણની રાજનીતિમાં પાછળ નથી. તેમણે મંગળવારે દિલ્હીમાં રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ યોજ્યો હતો અને કલવાર (જૈસવાલ) સમુદાયના લોકોને મોટી સંખ્યામાં RLM માં જોડ્યા હતા, જે તેમની રણનીતિના ભાગ રૂપે હતું એવું માનવામાં આવે છે. જો RLM ને કલવાર અને કુશવાહા સમુદાયનો ટેકો મળે તો તેની તાકાત અનેકગણી વધી જાય એમ છે. RLM પણ ભાજપને એ જ સંદેશ આપવા માંગે છે.

આ પણ વાંચો:  બિહારમાં ચૂંટણી પહેલાં ભાજપ-નીતિશનું ટેન્શન વધારતો સર્વે, જાણો CM તરીકે પહેલી પસંદ કોણ

કોને ફાળે શું આવશે?

NDA ના ઘટક પક્ષો દ્વારા બનાવાઈ રહેલા દબાણને કારણે ભાજપ મૂંઝવણમાં મુકાઈ જાય એમ બની શકે. એ તો નક્કી છે કે બિહારની 243 બેઠકોમાંથી BJP અને JDU ઓછામાં ઓછી 100-100 બેઠકો પર ચૂંટણી લડશે. બાકી બચી 43 બેઠકો, તો એમાંથી ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહાને કેટલી આપવી એ નક્કી કરવું સરળ નહીં હોય. બેઠકોની વહેંચણી મુદ્દે NDA ના ગઢની ઈંટો નબળી પડે, તો નવાઈ નહીં.

Tags :