Delhi Pollution Level : દેશના પાટનગર દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસથી વાયુ પ્રદૂષણના કારણે કરોડો લોકો હેરાન પરેશાન છે. AQIનું સ્તર સતત ખતરનાક સ્તર પર છે, ઘણા વિસ્તારોમાં AQI 400ને પાર જતો રહે છે. એવામાં દિલ્હી સરકારે લોકોને પ્રદૂષણથી રાહત આપવા મોટો નિર્ણય લીધો છે. દિલ્હીના સરકારી કાર્યાલયો તથા ખાનગી કંપનીઓમાં 50 ટકા સ્ટાફને વર્ક ફ્રોમ હોમ કરવા આદેશ આપવામાં આવ્યા છે.
GRAP હેઠળ દિલ્હી સરકારે આજે આદેશ આપતાં જણાવ્યું છે કે, ઑફિસોમાં માત્ર 50 ટકા સ્ટાફને જ કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. બાકીના 50 ટકા સ્ટાફને ઘરેથી કામ કરવાનું રહેશે. આટલું જ નહીં જે 50 ટકા સ્ટાફ ઑફિસ આવશે તેમની શિફ્ટનો સમય પણ અલગ-અલગ સમય પર રાખવા કહેવામાં આવ્યું છે. જેથી રસ્તા પર વાહનોની અવરજવર ઘટાડી શકાય.
જોકે હૉસ્પિટલ, ફાયર વિભાગ, જાહેર પરિવહન, સ્વચ્છતા, પ્રદૂષણ નિયંત્રણ ગતિવિધિઓ સહિત આવશ્યક સેવાઓને આ આદેશથી મુક્તિ આપવામાં આવી છે.


