'પંજાબ પોલીસ મારુ એન્કાઉન્ટર કરી દેવા માગે છે...' દુષ્કર્મ કેસમાં ફરાર AAP ધારાસભ્યનો દાવો
Punjab News: પંજાબ પોલીસે સનૌર વિધાનસભા મતવિસ્તારના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરાની ધરપકડ કરવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે, જે દુષ્કર્મના કેસમાં વોન્ટેડ છે. તે મંગળવારે (બીજી સપ્ટેમ્બર) કરનાલના ડાબરી ગામથી ફરાર થઈ ગયો હતો. ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરાએ બુધવારે (ત્રીજી સપ્ટેમ્બર) એક વીડિયો જાહેર કરીને દાવો કર્યો હતો કે, 'મને માહિતી મળી છે કે પંજાબ પોલીસ મારૂ એન્કાઉન્ટર કરવા માંગે છે. મેં પોલીસ પર ગોળીબારના કર્યો નથી.'
અહેવાલો અનુસાર, પંજાબમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરાએ પોલીસ અને ભગવંત માન સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, 'પંજાબ સરકારે મારી પાછળ 500 પોલીસકર્મીઓ દોડાવ્યા છે.' નોંધનીય છે કે, પંજાબ પોલીસ હરમીત સિંહ પઠાણમાજરાની ધરપકડ કરવા માટે કરનાલ પહોંચી હતી. પરંતુ તેને પોલીસના આગમનનો સંકેત મળતા જ ધારાસભ્ય પાછળથી દિવાલ કૂદીને ભાગી ગયા. તે થોડે દૂર પાર્ક કરેલી પોતાની કારમાં ભાગી ગયો. પોલીસે પણ થોડા અંતર સુધી તેનો પીછો કર્યો, પરંતુ તે પકડી શક્યો નહીં.
જાણો શું છે મામલો
પટિયાલાના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં સનોરના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. ઝીરકપુરની એક મહિલાની ફરિયાદ પર આ એફઆઈઆર નોંધવામાં આવી હતી, જેમાં મહિલાએ આરોપ લગાવવામાં આવ્યો હતો કે,ધારાસભ્યએ પોતાને છૂટાછેડા લીધેલા હોવાનો દાવો કરીને મારી સાથે સંબંધ બાંધ્યો હતા અને 2021માં મારી સાથે લગ્ન કર્યા હતા. જ્યારે તે પહેલાથી જ પરિણીત હતો. મહિલાએ ધારાસભ્ય પર જાતીય શોષણ, ધમકી આપવા અને અશ્લીલ સામગ્રી મોકલવાનો પણ આરોપ લગાવ્યો હતો. ફરિયાદમાં હરમીત સિંહ પઠાણમાજરા સામે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 376 (દુષ્કર્મ), 420 (છેતરપિંડી) અને 506 (ગુનાહિત ધાકધમકી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.