નવી દિલ્હી, તા. 10 ઓગષ્ટ 2020, સોમવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આંદામાન નિકોબારને એક નવી ભેટ આપી છે. ચેન્નાઈથી પોર્ટ બ્લેર સુધી પાથરવામાં આવેલા સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલને વડાપ્રધાન મોદીએ આજે દેશને સમર્પિત કર્યા છે. તેના દ્વારા આંદામાન નિકોબારના લોકોને ઝડપી ઈન્ટરનેટ મળી શકશે અને તે સિવાય અન્ય સાત આઈલેન્ડને પણ તેનો ફાયદો મળશે.
વડાપ્રધાને જણાવ્યું કે, આશરે દોઢ વર્ષમાં આ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. સ્વતંત્રતા દિવસ પહેલા આ લોકો માટેની ભેટ છે. આ માટે સમુદ્રમાં સર્વે કરવામાં આવ્યો હતો કારણ કે, કેબલ પાથરવા અને તેની ક્વોલિટી મેઈન્ટેન કરવી વગેરે સરળ નહોતું. વર્ષોથી તેની ખૂબ જરૂર હતી પરંતુ તે કામ નહોતું થઈ શક્યું.
આજે જે ફાઈબર કેબલનું ઉદ્ઘાટન થશે તેનો શિલાન્યાસ પણ વડાપ્રધાન મોદીએ જ 2018માં કર્યો હતો. તે અંતર્ગત આશરે 2,300 કિમી લાંબો કેબલ ચેન્નાઈ-પોર્ટ બ્લેર વચ્ચે પાથરવામાં આવ્યો છે. આ કેબલ ચેન્નાઈથી થઈને સ્વરાજ દ્વીપ, લિટિલ આંદામાન, કાર નિકોબાર, કામરોતા, ગ્રેટ નિકોબાર, લોન્ગ આઈલેન્ડ, રંગત સુધી પહોંચશે. તેના કારણે આંદામાન નિકોબારને ઝડપી ઈન્ટરનેટ સેવાનો લાભ મળી શકશે.
આ ક્ષેત્રમાં ટુરિઝમની પણ ખૂબ જ સંભાવનાઓ છે પરંતુ કનેક્ટિવિટીની ઉણપ દર વખતે નડતી રહેતી હતી. પરંતુ હવે જ્યારે ફાઈબર કેબલની સુવિધા પહોંચી રહી છે તો લોકોને તેની મુશ્કેલી નહીં અનુભવાય તેવી આશા છે. થોડા દિવસો પહેલા જ વડાપ્રધાન મોદીએ આંદામાન નિકોબારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો.


