'ભારતની સેનાનું પરાક્રમ જોઈને પાકિસ્તાનની આજીજી, યુદ્ધ રોકવાની કરી વિનંતી', કાનપુરમાં વડાપ્રધાન મોદી
PM Modi In Kanpur: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના કાનપુરમાં આજે શુક્રવારે 47,600 કરોડ રૂપિયાના 17 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો છે. જેમાં રેલવે બ્રિજ, ફાયર સ્ટેશન અને ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવા પ્રોજેક્ટ્સ સમાવિષ્ટ છે. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય ઉત્તર પ્રદેશમાં આધુનિક કનેક્ટિવિટી અને વર્લ્ડ ક્લાસ સ્ટ્રક્ચરને મજબૂત બનાવવાનો છે.
કાનપુરમાં એક જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ વિકાસ કાર્યક્રમ 24 એપ્રિલે યોજાવાનો હતો. પરંતુ પહલગામ હુમલાને કારણે તેને રદ કરવો પડ્યો. આખી દુનિયાએ હુમલાના બદલાને ઓપરેશન સિંદૂરના રૂપમાં જોયો છે. આપણે પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણા નષ્ટ કરી દીધા. આપણી સેનાએ એવી બહાદુરી બતાવી કે પાકિસ્તાની સેના યુદ્ધ બંધ કરવા આજીજી કરવા લાગી.
ઓપરેશન સિંદૂર હજુ પૂરુ થયુ નથીઃ મોદી
વડાપ્રધાન મોદીએ કડક શબ્દોમાં પાકિસ્તાનને ચેતવણી આપી છે કે, ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી. ભારતે આતંકવાદ સામેની લડાઈમાં ત્રણ સિદ્ધાંતો નક્કી કર્યા છે. દરેક આતંકવાદી હુમલાનો યોગ્ય જવાબ આપશે. સમય, પ્રતિક્રિયા આપવાની રીત અને પ્રતિક્રિયાની પરિસ્થિતિઓ આપણા સૈન્ય દળો દ્વારા નક્કી કરવામાં આવશે. એટમ બોમ્બના ભયથી ડરશો નહીં. ભારત આતંકના માસ્ટર અને આતંકને સમર્થન આપતી સરકારને એક જ નજરે જોશે.
સ્વદેશી બ્રહ્મોસની ગર્જના, યુપી શસ્ત્રોનું ગઢ બન્યું
મોદીએ આગળ કહ્યું કે, સંરક્ષણ ક્ષેત્રમાં સ્વનિર્ભરતામાં યુપી મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. જેમ કાનપુરમાં એક જૂની ઓર્ડિનન્સ ફેક્ટરી છે. અમે આવી સાત ઓર્ડિનન્સ ફેક્ટરીઓને મોટી આધુનિક કંપનીઓમાં રૂપાંતરિત કરી છે. આજે, દેશનો મોટો સંરક્ષણ કોરિડોર યુપીમાં બની રહ્યો છે. આ કોરિડોરનો કાનપુર નોડ સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતનું એક મોટું કેન્દ્ર છે. સંરક્ષણ ક્ષેત્રની મોટી કંપનીઓ અમેઠીમાં પરંપરાગત ઉદ્યોગોનું સ્થાન લઈ રહી છે. AK 203 રાઇફલનું ઉત્પાદન શરૂ થયું છે. યુપી ધીમે ધીમે શસ્ત્રોનું ગઢ બન્યું છે. સ્વદેશી બ્રહ્મોસે દુશ્મનોની ઊંઘ ઉડાડી દીધી હતી. આ બ્રહ્મોસ મિસાઈલનું નવુ સરનામું ઉત્તર પ્રદેશ બન્યું છે. ભવિષ્યમાં કાનપુર અને ઉત્તર પ્રદેશ ભારતની ડિફેન્સ નિકાસમાં મોટો ફાળો આપશે. અહીં નવી ફેક્ટરીઓ સ્થાપિત કરાશે. મોટાપાયે રોકાણ થશે. હજારો યુવાનો માટે રોજગારની તકો વધશે.
આ પણ વાંચોઃ VIDEO: PM મોદીએ પહલગામ હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીના પરિવારની મુલાકાત લીધી
એનર્જી સેક્ટરમાં ગ્રોથ
વડાપ્રધાને કહ્યું કે, કાનપુરમાંથી ઉદ્યોગો સ્થળાંતર કરી રહ્યા હતાં, પરિવારલક્ષી સરકારો આંખો બંધ કરીને બેસી રહી હતી. પરિણામે માત્ર કાનપુર જ નહીં પરંતુ આખું ઉત્તરપ્રદેશ પછાત રહી ગયુ હતું. રાજ્યની ઔદ્યોગિક પ્રગતિ માટે બે સૌથી મહત્વપૂર્ણ શરતો છે. પ્રથમ, એનર્જી સેક્ટરમાં આત્મનિર્ભરતા એટલે કે વીજ પુરવઠો અને બીજું, માળખાગત સુવિધા. 660 મેગાવોટ પનકી પાવર પ્લાન્ટ, 660 મેગાવોટ નેવેલી પાવર પ્લાન્ટ, 1320 મેગાવોટ જવાહરપુર પાવર પ્લાન્ટ, 660 મેગાવોટ ઓબારાસી પાવર પ્લાન્ટ અને 660 મેગાવોટ ખુર્જા પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જે ઉર્જાની જરૂરિયાતોને પૂર્ણ કરવા તરફ આ એક મોટું પગલું છે. આ પાવર પ્લાન્ટ બાદ ઉત્તરપ્રદેશમાં વીજળીની ઉપલબ્ધતામાં વધારો થશે. અહીંના ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે.