For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રામ મંદિર ભૂમિપૂજન: લેન્ડિગથી વિદાય સુધીનો કાર્યક્રમ, જાણો અયોધ્યામાં PM મોદીનો મિનિટ ટૂ મિનિટ પ્રોગ્રામ

Updated: Aug 4th, 2020


- 11:30 એ લેન્ડિંગ, 2:20 એ વિદાય- આ છે અયોધ્યામાં PM મોદીનો મિનિટ ટુ મિનિટ પ્રોગ્રામ
- તમામ આમંત્રિતો આજ રાત સુધીમાં અયોધ્યા પહોંચી જશે અને બાદમાં સરહદો સીલ કરી દેવામાં આવશે

અયોધ્યા, તા. 4 ઓગષ્ટ 2020, મંગળવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે રામ મંદિર ભૂમિ પૂજન કાર્યક્રમમાં સહભાગી બનવા માટે અયોધ્યા પહોંચશે. ભગવાન રામની નગરી આ ઐતિહાસિક પળને લઈ ખૂબ જ ઉત્સાહિત છે અને સુંદર શણગાર સાથે ભૂમિ પૂજન માટેની તૈયારીઓ પૂરી કરી દેવાઈ છે. આ સાથે જ સુરક્ષા માટે ખાસ પ્રબંધ કરવામાં આવ્યો છે તથા કોરોના સંકટને લઈ ગાઈડલાઈનનું પાલન પણ કરાઈ રહ્યું છે. વડાપ્રધાન મોદી અયોધ્યામાં આશરે ત્રણ કલાક જેવું રહેશે જેમાં મંદિર દર્શન, પૂજા અર્ચના કાર્યક્રમનો સમાવેશ થાય છે. 

અયોધ્યામાં વડાપ્રધાન મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ

- 5મી ઓગષ્ટે સવારે 9:35 કલાકે દિલ્હીથી પ્રસ્થાન

- 10:35 કલાકે લખનૌ એરપોર્ટ ખાતે લેન્ડિંગ

- 10:40 કલાકે હેલિકોપ્ટર દ્વારા અયોધ્યા માટે પ્રસ્થાન

- 11:30 કલાકે અયોધ્યાની સાકેત કોલેજના હેલિપેડ પર લેન્ડિંગ

- 11:40 કલાકે હનુમાનગઢી પહોંચીને 10 મિનિટ સુધી દર્શન-પૂજન

- 12 કલાકે રામ જન્મભૂમિ પરિસર પહોંચવાનો કાર્યક્રમ

- 10 મિનિટમાં રામલલ્લા બિરાજમાન સ્થળે દર્શન પૂજન

- 12:15 કલાકે રામલલ્લા પરિસરમાં પારિજાતનું વૃક્ષારોપણ

- 12:30 કલાકે ભૂમિ પૂજન કાર્યક્રમનો શુભારંભ

- 12:40 કલાકે રામ મંદિરની આધારશિલાની સ્થાપના

- 02:05 કલાકે સાકેત કોલેજ હેલિપેડ માટે પ્રસ્થાન

- 02:20 કલાકે હેલિકોપ્ટર દ્વારા લખનૌ માટે ઉડાન

- ત્યાર બાદ લખનૌથી દિલ્હી માટે રવાના થશે

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી અનેક વખત જનસભા યોજવા અયોધ્યા ગયા છે પરંતુ તેમણે રામલલ્લાના દર્શન નથી કરેલા. પરંતુ હવે તેઓ સીધા મંદિરનો પાયો સ્થાપવા માટે જ ત્યાં પહોંચી રહ્યા છે. જો કે કોરોના સંકટના કારણે આ કાર્યક્રમમાં ખૂબ જ આકરા નિયમોનું પાલન કરાવવામાં આવશે જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન, માસ્ક પહેરવું ફરજિયાત અને સતત સેનિટાઈઝેશનનો સમાવેશ થાય છે. 

ભૂમિ પૂજનના કાર્યક્રમ દરમિયાન એક મંચ બનાવવામાં આવશે જેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય સંઘ પ્રમુખ મોહન ભાગવત, રાજ્યપાલ આનંદીબેન પટેલ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, રામ મંદિર ટ્રસ્ટના નૃત્યગોપાલ દાસ ઉપસ્થિત રહેશે. તે સિવાય કુલ 175 વિશિષ્ટ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 

ભૂમિ પૂજન કાર્યક્રમ માટે બાબરી મસ્જિદના પક્ષકાર રહી ચુકેલા ઈક્બાલ અન્સારીને પણ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તે સાથે જ અન્ય પ્રમુખ સંતોને પણ બોલાવવામાં આવ્યા છે. તે બધા જ મંગળવાર રાત સુધીમાં જ અયોધ્યા પહોંચી જશે અને મંગળવારે જ અયોધ્યાની સરહદો સીલ કરી દેવામાં આવશે. ઉપરાંત આ ખાસ પ્રસંગ માટે ટ્રસ્ટને દેશના વિવિધ વિસ્તાર, મંદિરો અને પવિત્ર સ્થળની માટી, નદીઓનું પાણી વગેરે પહોંચાડવામાં આવ્યા છે. 

Gujarat