ભારત-ક્રોએશિયા વચ્ચે ઘણા મહત્ત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થયા, PM મોદીએ કહ્યું- ‘આતંકવાદ માનવતાનો દુશ્મન’
India-Croatia Relations : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની હાલ ક્રોએશિયાની મુલાકાતે છે, ત્યારે ભારત અને ક્રોએશિયા વચ્ચે ઘણા મહત્ત્વપૂર્ણ કરારો થયા છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું છે અને સ્વાગત બદલ ક્રોએશિયાના વડાપ્રધાન આંદ્રેજ પ્લેંકોવિકા (Croatia PM Andrej Plenković)નો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, ‘આ ઐતિહાસિક ધરતી પર ઉત્સાહ, આત્મીયતા અને સ્નેહ સાથે સ્વાગત થયું છે, તે બદલ હું વડાપ્રધાન પ્લેંકોવિક અને ક્રોએશિયા સરકારનો આભાર માનું છું. બંને દેશો લોકશાહી, રૂલ ઓફ લૉ અને સમાનતા જેવા સમાન મૂલ્યો સાથે જોડાયેલા છે.
બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે મોટી ભાગીદારી
તેમણે કહ્યું કે, ‘ભારતના લોકો અને ક્રોએશિયાના લોકોએ મને અને પીએમ આંદ્રેજને સતત ત્રીજી વખત સેવા કરવાની તક આપી. અમે પ્રજાના વિશ્વાસ સાથે અમારા ત્રીજા કાર્યકાળમાં અમારા દ્વિપક્ષીય સંબંધોને ત્રણ ઘણો વધુ વેગ આપવાનો નિર્ણય કર્યો છે. અમે સંરક્ષણ ક્ષેત્રમાં લાંબા ગાળાના સહયોગ માટે એક ‘સંરક્ષણ સહયોગની યોજના’ બનાવી છે. આ યોજના હેઠળ તાલીમ અને લશ્કરી આદાનપ્રદાન તેમજ સંરક્ષણ ઉદ્યોગ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. આ ઉપરાંત શિપ બિલ્ડિંગ અને સાયબર સિક્યોરિટીમાં પણ ભાગીદારી વધારાશે.’
‘અમે આ સાત સેક્ટરોમાં ભાગીદારીને વધારીશું’
તેમણે કહ્યું કે, ‘અમે દ્વિપક્ષીય વેપાર વધારવા માટે અનેક ક્ષેત્રોમાં ભાગીદારી વધારવાનો નિર્ણય કર્યો છે. અમે ફાર્મા, એગ્રીકલ્ચર, ઈન્ફોર્મેશન ટેકનોલોજી, ક્લીન ટેકનોલોજી, ડિજિટલ ટેકનોલોજી, રિન્યૂએબલ એનર્જી, સેમીકંડ્ટરમાં સહયોગને પ્રોત્સાહન આપીશું.’
‘આતંકવાદ માનવતાનો દુશ્મન’
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, આતંકવાદ દુનિયાભર માટે મોટો ખતરો છે. અમે સંમત થયા છીએ કે, આતંકવાદ માનવતાનો દુશ્મન છે. આતંકવાદ લોકશાહીમાં વિશ્વાસ રાખતી શક્તિઓનો વિરોધી છે. જમ્મુ-કાશ્મીરમાં પહલગામમાં 22 એપ્રિલે આતંકવાદી હુમલો થયો હતો અને તે માટે વડાપ્રધાન પ્લેંકોવિચ અને ક્રોએશિયા સરકારે સંવેદના વ્યક્ત કરી હતી, જે બદલ વડાપ્રધાન આભાર વ્યક્ત કર્યો છે. આવા સંકટ સમયે અમારા મિત્ર દેશોનો સાથ અમારા માટે ખૂબ જ મૂલ્વવાન હતો. અમે બંને એ વાતનું સમર્થન કરીએ છીએ કે, યુરોપ હોય કે એશિયા, રણભૂમિમાંથી સમસ્યાઓનું સમાધાન થતું નથી. આ માટે સંવાદ અને રાજદ્વારી જ એકમાત્ર રસ્તો છે. કોઈપણ દેશની ક્ષેત્રીય અખંડતા અને સંપ્રુતાનું સન્માન કરવું જરૂરી છે.