Get The App

સલામ સેનાને, યશસ્વી કામગીરી: દુનિયામાં ડંકો વગાડયો

Updated: May 13th, 2025

GS TEAM


Google News
Google News
સલામ સેનાને, યશસ્વી કામગીરી: દુનિયામાં ડંકો વગાડયો 1 - image


- પાણી અને લોહી સાથે ના વહી શકે: રાષ્ટ્ર સંબોધનમાં મોદીનો આક્રોશ

- પરમાણુ યુદ્ધથી ડરતા નથી , આતંકવાદ સામે ઓપરેશન સિંદૂરમાં માત્ર વિરામ લીધો, બંધ નથી કર્યું, પોતાની શરતો પર જવાબ આપીશુંઃ મોદી

- ભારત સહિત સમગ્ર વિશ્વમાં આતંકવાદ ફેલાવવા જે સ્થળોનો ઉપયોગ થતો હતો તેનો નાશ કરાયો: પીએમ

- આપણી માતાઓ-બહેનોના સિંદૂર હટાવવાનું શું પરિણામ આવશે તે આતંકીઓ અને તેના સંગઠનોને સમજાઇ ગયું: મોદી

નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા ઘર્ષણ બાદ શસ્ત્રવિરામ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કર્યું હતું, જેમાં મોદીએ પાકિસ્તાનને આડેહાથ લીધુ હતું સાથે જ આતંકવાદ, પરમાણુ હુમલાની પાક.ની ધમકીઓ વગેરેને લઇને આકરો સંદેશો આપ્યો હતો. મોદીએ જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાને પણ યાદ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કોઇ પણ પ્રકારનું પરમાણુ બ્લેકમેલ ભારત નહીં ચલાવી લે. આ સાથે જ મોદીએ ઓપરેશન સિંદૂરની સફળતા બદલ ભારતીય શસ્ત્ર સેનાના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે ભારત પરમાણુ યુદ્ધથી નહીં ડરે, આતંક સામે ઓપરેશન શરૂ જ રહેશે. પાક. સાથેની સિંધુ જળસંધિ અને આતંકવાદ પર વાત કરતા મોદીએ સ્પષ્ટ કહી દીધુ હતું કે પાણી અને લોહી સાથે ના વહી શકે.   

મોદીએ સોમવારે રાત્રે આઠ વાગ્યે દેશને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પાકિસ્તાનના આતંકી વડામથકો બહાવલપુર અને મુરીદકેને ઉડાવ્યા તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતનું ઓપરેશન સિંદૂર પુરુ નથી થયું, ભારત આતંકવાદ અને તેના સમર્થકોને તેમની જ ભાષામાં જવાબ આપશે. ૨૨મી એપ્રીલે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકીઓએ ઘાતકી હુમલો કર્યો હતો, જેનાથી સમગ્ર દેશ અને વિશ્વ સ્તબ્ધ થઇ ગયું હતું. પોતાની રજાઓની મજા માણી રહેલા નિર્દોશ લોકોને તેમનો ધર્મ પૂછી પૂછીને પરિવારની સામે જ આતંકીઓએ હત્યા કરી હતી. જ્યારે ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો ત્યારે ન માત્ર આતંકી વડામથકોને ઉડાવ્યા સાથે જ આતંકીઓની હિમ્મતને પણ હચમચાવી નાખી હતી. બહાવલપુર અને મુરીદકે જેવા વડામથકોનો ઉપયોગ ભારત સહિત વિશ્વમાં અનેક આતંકી હુમલા માટે થતો રહ્યો છે. 

પાકિસ્તાનને આતંકવાદીઓની મદદ કરવા બદલ આડેહાથ લીધુ હતું, મોદીએ કહ્યું હતું કે જે રીતે પાકિસ્તાન અને તેમની સરકાર આતંકવાદને મદદ કરી રહી છે તે જોતા લાગી રહ્યું છે કે એક દિવસ પાકિસ્તાન ખતમ થઇ જશે. જો પાકિસ્તાન ઇચ્છતુ હોય કે તેને બક્ષી દેવામાં આવે તો સૌથી પહેલા આતંકી સ્થળોનો નાશ કરવો પડશે. જો ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે કોઇ વાતચીત થશે તો તે માત્ર આતંકવાદ અને પીઓકે પર જ હશે. ભારતની સ્થિતિ બહુ જ સ્પષ્ટ છે કે આતંકવાદ અને વેપાર એક સાથે ના ચાલી શકે. ભારત હુમલો કરનારા આતંકીઓને આક્રામક જવાબ અપાશે. ઓપરેશન સિંદૂર માત્ર નામ જ નથી પણ કરોડો ભારતીયોની લાગણીને દર્શાવે છે, આ ઓપરેશન ન્યાય માટેની શપથ છે જે ક્યારેય નહીં તુટે. છેલ્લા કેટલાક દિવસમાં આપણે દેશની સહનશીલતા અને તાકાતનો પરચો કર્યો છે, હું આપણા શસ્ત્ર દળો અને સૈન્યને તેમજ ઇન્ટેલિજન્સ એજન્સીઓ અને વિજ્ઞાાનિકોને સલામ કરું છું.  સૈન્યને સલામ કરતા મોદીએ કહ્યું હતું કે હું આજે આપણા દેશની તમામ માતાઓ અને બહેનોને આપણા દેશની સેનાની બહાદુરી, હિમ્મતને અર્પણ કરું છું. ભારતીય સૈન્યની મિસાઇલોએ માત્ર આતંકીઓના સ્થળો જ નહીં તેમની હિમ્મતને પણ ધ્વસ્ત કરી નાખી છે. આતંકના સફાયા માટે ભારતીય સૈન્યને પુરી સ્વતંત્રતા આપી હતી, ભારતની માતાઓ, બહેનોના સિંદૂર હટાવવાનું પરીણામ શું આવશે તે આજે તમામ આતંકીઓ અને તેમના સંગઠનોને સમજાઇ ગયું છે. 

ભારતીય નેવી, આર્મી, બીએસએફ અને મિલિટરી દળો એલર્ટ પર છે, સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક બાદ ઓપરેશન સિંદૂર આતંકવાદ સામેની ભારતની નીતિ છે. આ ઓપરેશને આતંકવાદ સામે એક નવી રેખા ખેંચી નાખી છે.  

દિવસે બંને દેશોના ડીજીએમઓની વાતચીતમાં શાંતિનું પાક.નું વચન, રાત્રે અટકચાળો

મોદીનું ભાષણ પુરું થતા જ પાકિસ્તાને શસ્ત્રવિરામનો ભંગ કરી ડ્રોન છોડયા

- સાંબા પાસે અનેક ડ્રોન દેખાયા, જેને ભારતની ડિફેન્સ સિસ્ટમે તોડી પાડયાની શક્યતા, કેટલાક સરહદી વિસ્તારોમાં બ્લેકઆઉટ

શ્રીનગર :  સોમવારે રાત્રે આઠ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કર્યું, મોદીનું સંબોધન પૂર્ણ થતા જ પાકિસ્તાને ફરી સરહદે અટકચાળો શરૂ કરી દીધો હતો. પ્રાપ્ત રિપોર્ટ મુજબ સોમવારે રાત્રે જમ્મુ કાશ્મીરના સાંબા અને પંજાબના જાલંધરમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હોવાનું મનાય છે, જેને ભારતીય સૈન્યએ તોડી પાડયાની શક્યતા છે. સ્થાનિકોએ આ વિસ્તારોમાં કેટલાક વિસ્ફોટોનો અવાજ પણ સાંભળ્યો છે.  

પંજાબના હોશિયારપુરના દસુયા વિસ્તારમાં સ્થાનિકોએ સાતથી આઠ વિસ્ફોટોનો અવાજ સાંભળ્યો હતો. જ્યારે જમ્મુ કાશ્મીરના સાંબામાં પણ ડ્રોન દેખાયા હોવાનું મનાય છે. જેને પગલે તાત્કાલીક અસરથી પઠાણકોટ, સાંબા, વૈષ્ણો દેવી ભવન તેમજ વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર બ્લેકઆઉટ કરાયું હતું. સાંબા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી છોડાયેલા ડ્રોનના વીડિયો પણ સામે આવ્યા હતા. જેને પગલે ભારતના એર ડિફેન્સ સિસ્ટમને સક્રીય કરાઇ હતી અને આક્રામક રીતે જવાબ અપાયો હતો. 

એવા અહેવાલો છે કે સાંબા સેક્ટરમાં પાકિસ્તાનના ૧૨ જેટલા ડ્રોન તોડી પડાયા હતા, જ્યારે પંજાબના અમૃતસરમાં સાયરનો વાગી હતી. પાકિસ્તાને સોમવારે જમ્મુ કાશ્મીરના સાંબા અને પંજાબના કેટલાક સરહદી વિસ્તારોમાં અટકચાળો કર્યો હતો. જેનો ભારતીય સૈન્યએ યોગ્ય જવાબ આપ્યો હતો. પાકિસ્તાનનો આ અટકચાળો એવા સમયે સામે આવ્યો છે જ્યારે બન્ને દેશો વચ્ચે શસ્ત્રવિરામની જાહેરાત કરાઇ હતી, એટલુ જ નહીં શસ્ત્રવિરામ બાદ પ્રથમ વખત ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે હોટલાઇન પર વાતચીત થઇ હતી, જેમાં બન્ને પાકિસ્તાને શસ્ત્રવિરામનો ભંગ નહીં કરવાના વાયદા કર્યા હતા. દિવસે આ વાતચીત થઇ હતી જ્યારે રાત્રે પાકિસ્તાને અટકચાળો શરૂ કરી દીધો હતો. 

આ પહેલા ભારત અને પાકિસ્તાનના સૈન્ય ઓપરેશનના ડીજીએમઓ વચ્ચે હોટલાઇન પર વાતચીત થઇ હતી, જેમાં શસ્ત્ર વિરામ શરૂ રાખવા પર ચર્ચા થઇ હતી. આ વાતચીત બાદ ભારતીય સૈન્યએ કહ્યું હતું કે પાકિસ્તાન સરહદે શાંતિ જાળવવા સંમત થયુ હતું, પાકિસ્તાને દાવો કર્યો હતો કે તે એક પણ ગોળી નહીં છોડે, એટલુ જ નહીં સરહદેથી બન્ને દેશોએ સૈનિકોને ઘટાડવા પર પણ ભાર મુક્યો હતો. ભારત તરફથી ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઇએ પાક.ના ડીજીએમઓ મેજર જનરલ કાશીફ અબ્દુલ્લાહ સાથે વાતચીત કરી હતી. જોકે આ વાતચીત પુરી થઇ તે બાદ રાત્રે પાકિસ્તાને તરત જ શસ્ત્રવિરામનો ભંગ શરૂ કરી દીધો હતો.   

Tags :