'લોકશાહીમાં કટ્ટરતાને સ્થાન નથી', UKના PM સાથેની બેઠકમાં PM મોદીએ ખાલિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો, કાર્યવાહીની અપીલ

PM Modi Raises Khalistan Issue During UK PM Keir Starmer’s India Visit : ભારત અને યુકે વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ બાદ યુકેના વડાપ્રધાન કિર સ્ટાર્મર બે દિવસની ભારતની મુલાકાતે આવ્યા છે. આજે મુંબઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુકેના વડાપ્રધાન સાથે બેઠક કરી. આ બેઠક દરમિયાન બંને નેતાઓ વચ્ચે ટ્રેડ, શિક્ષણ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બેઠકમાં ખાલિસ્તાની કટ્ટરપંથનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
પીએમ મોદીએ ખાલિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું છે, કે પીએમ મોદી અને પીએમ સ્ટાર્મરની બેઠકમાં ખાલિસ્તાની કટ્ટરપંથ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે લોકશાહી ધરાવતા દેશમાં કટ્ટરતા અને હિંસા માટે કોઈ સ્થાન નથી. સમાજ દ્વારા અપાયેલી સ્વતંત્રતાનો દુરુપયોગ થવાની અનુમતિ આપી શકાય નહીં.
ભારત અને યુકે વચ્ચે થઈ હતી ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડીલ
બીજી તરફ યુકેના પીએમ સ્ટાર્મરે કહ્યું છે કે જુલાઈ મહિનામાં ભારત અને યુકે વચ્ચે થયેલી ટ્રેડ ડીલના કારણે યુવાનો માટે રોજગારના અવસર પેદા થશે તથા આ ડીલ વિકસિત ભારતના વિઝનને પણ આગળ ધપાવશે. ભારત અને યુકે બંને દેશોના નાગરિકોના હિટ માટે વિભિન્ન મોરચે સાથે મળીને કામ કરશે.
9 યુનિવર્સિટી કેમ્પસ ભારતમાં ખુલશે
નોંધનીય છે કે યુકેના પીએમની સાથે 125 સભ્યોનું વિશાળ ડેલિગેશન પણ ભારતની મુલાકાતે આવ્યું છે. આજે જ વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી છે કે યુકેની 9 જાણીતી યુનિવર્સિટીઓ ભારતમાં પણ તેમનું કેમ્પસ ખોલશે. જેમાંથી એક કેમ્પસ ગુજરાતની ગિફ્ટ સિટીમાં પણ ખુલશે. આજે બંને દેશના નેતાઓએ મુંબઈમાં આયોજિત ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલમાં પણ ભાગ લીધો હતો.