Get The App

PM મોદીનો નેપાળની જનતાને સીધો મેસેજ, 'તમારી શાંતિ અમારા માટે ખૂબ જરૂરી, સ્થિતિ પર ભારતની નજર'

Updated: Sep 9th, 2025

GS TEAM

Google News
Google News
PM મોદીનો નેપાળની જનતાને સીધો મેસેજ, 'તમારી શાંતિ અમારા માટે ખૂબ જરૂરી, સ્થિતિ પર ભારતની નજર' 1 - image

PM Modi On Nepal Protests: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળમાં ચાલી રહેલા GenZ પ્રદર્શનો અને હિંસા પર ચિંતા વ્યક્ત કરી. હિમાચલ પ્રદેશ અને પંજાબથી પરત ફર્યા બાદ તેમણે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠકમાં નેપાળની સ્થિતિ પર ચર્ચા કરી. વડાપ્રધાન મોદીએ X પર નેપાળી ભાષામાં પણ સંદેશ આપ્યો. તેમણે લખ્યું કે, નેપાળમાં હિંસા હૃદયવિદારક છે અને કેટલાક યુવાનોના જીવ ગયા, જેનાથી તેઓ ખૂબ જ દુઃખી છું. નેપાળની સ્થિરતા, શાંતિ અને સમૃદ્ધિ ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. વડાપ્રધાન મોદીએ નેપાળના તમામ નાગરિકોને  શાંતિ જાળવી રાખવાની અપીલ કરી.

અનેક યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા તેનું દુઃખ: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ લખ્યું કે, 'હિમાચલ પ્રદેશ અને પંજાબથી પરત ફર્યા બાદ આજે સુરક્ષા મામલાઓની કેબિનેટ સમિતિની બેઠકમાં નેપાળના ઘટનાક્રમ પર ચર્ચા થઈ. નેપાળમાં હિંસા હૃદયવિદારક છે. મને એ વાતનું દુઃખ છે કે અનેક યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. નેપાળની સ્થિરતા, શાંતિ અને સમૃદ્ધિ અમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. હું નેપાળના તમામ ભાઈઓ અને બહેનોને વિનમ્રતાપૂર્વક શાંતિનું સમર્થન કરવાની અપીલ કરું છું.' તેમણે આશ્વાસન આપ્યું કે ભારત પરિસ્થિતિ પર બારિકીથી નજર રાખી રહ્યું છે અને નેપાળના લોકોની સાથે છે.


નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ બાદ સ્થિતિ બેકાબૂ

જણાવી દઈએ કે, સોમવારે સોશિયલ મીડિયા પ્રતિબંધ વિરૂદ્ધ શરૂ થયેલો વિરોધ અચાનક મોટું જનઆંદોલન બની ગયો. વિદ્યાર્થીઓના નેતૃત્વ વાળા આ આંદોલને સરકાર અને રાજકીય નેતાઓ પર ભ્રષ્ટાચાર અને જનતાની અવગણનાનો આરોપ લગાવ્યો. મંગળવારે પ્રદર્શનકારીઓએ પૂર્વ વડાપ્રધાન ઝલનાથ ખનાલના ઘરને આગ હવાલે કરી દીધું, જેમાં તેમની પત્ની રાજલક્ષ્મી ચિત્રકાર ગંભીર રીતે દાઝી ગયા અને બાદમાં હોસ્પિટલમાં તેમનું મોત થયું.

ટોળાએ કેપી શર્મા ઓલીના ઘર, રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ, પૂર્વ વડાપ્રધાન પુષ્પ કમલ દહલ, શેર બહાદુર દેઉબા અને અન્ય નેતાઓની સંપત્તિઓને પણ નિશાન બનાવી. લલિતપુર અને કાઠમંડૂના અનેક વિસ્તારોમાં ટાયર સળગાવીને રોડ જામ કરાયો, પથ્થરમારો અને આગચંપી થઈ. સરકારે સોશિયલ મીડિયા પરથી પ્રતિબંધ હટાવી લીધા બાદ પણ હિંસક સ્થિતિ યથાવત્ રહી હતી. ત્યારબાદ ઓલીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું. હાલ સેનાએ સત્તા સંભાળી લીધી છે.