'મહાદેવના આશીર્વાદથી દીકરીઓના સિંદૂરનો બદલો લીધો', વારાણસીમાં PM મોદીનું મોટું નિવેદન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PM Modi Varanasi Visit: ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વાર તેમના મત વિસ્તાર વારાણસી પહોંચ્યા છે. જ્યાં તેમણે સેવાપુરીના બનૌલી ગામમાં 2183.45 કરોડ રૂપિયાના 52 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું અને ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિના 20મા હપ્તાની જાહેરાત કરી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ જાહેર સભાને સંબોધતાં કહ્યું કે, 'મારી દીકરીઓના સિંદૂરનો બદલો લેવાનું મેં જે વચન આપ્યું હતું તે પણ પૂર્ણ થયું છે. જે મહાદેવના આશીર્વાદથી જ પૂર્ણ થયું.'
ઓપરેશન સિંદૂર અંગે વાડાપ્રધાન મોદીએ શું કહ્યું...
સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'ઓપરેશન સિંદૂર પછી આજે હું પહેલી વાર કાશી આવ્યો છું. 22મી એપ્રિલે પહલગામમાં આતંકી હુમલો થયો હતો, 26 નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતી. તેમના પરિવારોની પીડા, તે બાળકોની પીડા, દીકરીઓની પીડા, મારું હૃદય ખૂબ જ પીડામાંથી પસાર થયું હતું. ત્યારે હું બાબા વિશ્વનાથને પ્રાર્થના કરી રહ્યો હતો કે તે બધા પીડિત પરિવારોને આ પીડા સહન કરવાની હિંમત આપે.'
ઓપરેશન સિંદૂર અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'મારી દીકરીઓના સિંદૂરનો બદલો લેવાનું મેં જે વચન આપ્યું હતું તે પણ પૂર્ણ થયું. મહાદેવના આશીર્વાદથી જ આ શક્યું બન્યું. હું ઓપરેશન સિંદૂરની સફળતા તેમના ચરણોમાં સમર્પિત કરું છું.'
પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર
કોંગ્રેસ પર પ્રહાર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'ઓપરેશન સિંદૂરની સફળતાથી દેશના કેટલાક લોકોના પેટમાં દુ:ખાવો થઈ રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી અને તેના લોકો એ હકીકતને પચાવી શકતા નથી કે ભારતે આતંકીઓના ઠેકાણાઓનો નાશ કર્યો છે. કોંગ્રેસે ઓપરેશન સિંદૂરને દેખાડો (તમાશો) ગણાવ્યું, વાસ્તવિકતા એ છે કે કોંગ્રેસ આતંકીની હાલત જોઈને રડે છે. તમે મને કહો કે શું સિંદૂર ક્યારેય દેખાડો હોઈ શકે છે? શું કોઈ સિંદૂરને દેખાડો કહી શકે? શું આતંકીઓને મારવા માટે પણ રાહ જોવી જોઈએ? શું મારે આતંકીઓને ઠાર કરવા માટે સપાને બોલાવવા જોઈએ?'
પીએમ મોદીએ વિવિધ પરિયોજનાઓની ભેટ આપી
વડાપ્રધાન મોદીએ કાશીમાં 2200 કરોડ રૂપિયાના 52 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે દેશભરના 9.7 કરોડથી વધુ ખેડૂતો માટે સન્માન નિધિ(20 હજાર 500 કરોડ રૂપિયા)ના 20મા હપ્તાની પણ જાહેરાત કરી. આ ઉપરાંત દાળ મંડી પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બનૌલીમાં જાહેર સભા સ્થળે તેમનું સ્વાગત કર્યું હતું. સીએમ યોગીએ કહ્યું, 'ઓપરેશન સિંદૂરની સફળતા પછી વડાપ્રધાન મોદી કાશી પહોંચ્યા છે. આ નવું ભારત દુશ્મનના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓને ખતમ કરવાનું કામ કરે છે.'








