PM મોદી અને દક્ષિણ કોરિયાના પ્રમુખ લીની વચ્ચે દ્વિપક્ષીય બેઠક, K-Pop અને ગેમિંગ ક્ષેત્રે નવા યુગની શરૂઆત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India-Korea Trade Partnership : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (20 એપ્રિલ) નવી દિલ્હીમાં દક્ષિણ કોરિયાના પ્રમુખ લી જે મ્યુંગ સાથે દ્વિપક્ષીય બેઠક યોજીને ભારત-દક્ષિણ કોરિયા વચ્ચે અત્યાધુનિક ટૅક્નોલૉજીથી લઈને કે-પોપમાં નવા યુગની શરૂઆત કરી છે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધારવાની પણ જાહેરાત કરવામાં આવી છે. બંને દેશના નેતાઓ વચ્ચે MOU કરાયા છે. આ ઉપરાંત વેપાર, સંસ્કૃતિ અને ટૅક્નોલૉજી ક્ષેત્રે ભાગીદારી વધારવા પર પણ ભાર અપાયો છે. દ્વિપક્ષીય બેઠક બાદ વડાપ્રધાન મોદી અને દ. કોરિયાના પ્રમુખ મ્યુંગે સંબોધન પણ કર્યું હતું.
ભારત-દક્ષિણ કોરિયા દરેક સેક્ટરમાં નવી તકોને કરશે સાકાર
આ બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘પ્રથમવાર ભારત યાત્રા પર આવેલા રાષ્ટ્રપ્રમુખ મ્યુંગનું સ્વાગત કરીને મને ઘણી ખુશી થઈ રહી છે. બંને દેશોના ડીએનએમાં લોકશાહીના મૂલ્યો, માર્કેટ ઈકોનોમી અને કાયદાના શાસન પ્રત્યે સન્માન છે. છેલ્લા એક દાયકામાં અમારા સંબંધો વધુ મજબૂત અને વ્યાપક બન્યા છે. આજે અમે બંને દેશોની વિશ્વાસપાત્ર ભાગીદારીને ભવિષ્યલક્ષી ભાગીદારીમાં તબદીલ કરી રહ્યા છે. અમે ચિપ્સથી લઈને શિપ્સ સુધી, ટેલેન્ટથી લઈને ટૅક્નોલૉજી સુધી અને એન્વાયરમેન્ટથી લઈને એનર્જી સુધી, દરેક ક્ષેત્રમાં સહયોગની નવી તકોને સાકાર કરીશું અને સાથે મળીને બંને દેશોની પ્રગતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરીશું.
બંને દેશો 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર વધુ વધારશે : PM મોદી
વડાપ્રધાન મોદીએ બંને દેશો વચ્ચે થયેલી સમજૂતી અંગે માહિતી આપતાં કહ્યું કે, ‘ભારત-દક્ષિણ કોરિયા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 27 બિલિયન ડૉલર સુધી પહોંચી ગયો છે, ત્યારે 2030 સુધીમાં આ વેપાર 50 બિલિયન ડૉલર સુધી પહોંચાડવા માટે આજે અનેક નિર્ણયો કરવામાં આવ્યા છે. બંને દેશો વચ્ચે નાણાકીય પ્રવાહને સરળ બનાવવા માટે, અમે ભારત-કોરિયા ફાયનાન્શિયલ ફોરમની શરૂઆત કરી છે. વ્યાપારી સહયોગને વેગ આપવા માટે, અમે એક ઇન્ડસ્ટ્રિયલ કો-ઓપરેશન કમિટીની રચના કરી છે. ક્રિટિકલ ટૅક્નોલૉજી અને સપ્લાય ચેઇન્સમાં સહયોગ વધારવા માટે, અમે ઈકોનોમિક સિક્યોરિટી ડાયલોગ શરૂ કરી રહ્યા છીએ.’
અત્યાધુનિક ટૅક્નોલૉજીમાં પણ ભાગીદારી વધારાશે
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, ‘અમે ભારત-કોરિયા વેપાર કરારને અપગ્રેડ પણ કરીશું. AI, સેમિ કન્ડક્ટર અને ઇન્ફોર્મેશન ટૅક્નોલૉજીમાં ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે અમે ઇન્ડિયા-કોરિયા ડિજિટલ બ્રિઝ લોન્ચ કરી રહ્યા છીએ. અમે શિપ બિલ્ડિંગ, સસ્ટેઇનેબિલિટી, સ્ટીલ અને પોર્ટ્સ જેવા સેક્ટરમાં પણ MOU કરી રહ્યા છીએ. આ ઉપરાંત કલ્ચર અને ક્રિએટિવ ઈન્ડસ્ટ્રીમાં પરસ્પર સહયોગ વધારીને ફિલ્મ, એનિમેશન અને ગેમિંગમાં પણ નવા યુગની શરૂઆત કરીશું.
બંને દેશોના સાંસ્કૃતિક વારસાને મજબૂત કરવા ફ્રેન્ડશિપ ફેસ્ટિવલ યોજાશે
ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે હજારો વર્ષ જૂનો સાંસ્કૃતિક સંબંધ છે. 2000 વર્ષ પહેલા અયોધ્યાની રાજકુમારી સૂરીરત્ના અને કોરિયાના રાજા કિમ-સુરોની કહાની, અમારો પરસ્પરનો વારસો છે. આજે ભારતમાં કે-પૉપ, કે-ડ્રામા ખૂબ જ પોપ્યુલર થઈ રહ્યા છે. તેવી જ રીતે દક્ષિણ કોરિયામાં પણ ભારતીય સિનેમા અને સંસ્કૃતિકની ઓળખ વધી છે. મને ખુશી છે કે, રાષ્ટ્રપ્રમુખ મ્યુંગ પણ ભારતીય સિનેમાના પ્રશંસક છે. અમે બંને દેશોના કલ્ચર કનેક્ટરને વધુ મજબૂત કરવા માટે 2028માં ભારત-કોરિયા ફ્રેન્ડશિપ ફેસ્ટિવલનું આયોજન કરીશું. આ સાથે બંને દેશોના નાગરિકોનો સંપર્ક વધારવા માટે એજ્યુકેશન-રિસર્ચમાં ભાગીદારી વધારીશું અને પ્રવાસનને પણ પ્રોત્સાહન આપીશું.
આ પણ વાંચો : હોર્મુઝમાં ભારતીય જહાજો પર હુમલા બાદ નવી એડવાઈઝરી જાહેર, લારક આઈલેન્ડથી દૂર રહેવા સલાહ








