PM મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યા બાદ ફારુક અબ્દુલ્લા નારાજ, જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jammu and Kashmir Political News : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાષ્ટ્રજોગ સંબોધન કર્યા બાદ નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લા નારાજ થયા છે. તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, વડાપ્રધાને જીએસટી સુધારાઓ વિશે વાત કરવાને બદલે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જાને આપવા મુદ્દે વાત કરવી જોઈતી હતી. પીએમ મોદીએ રવિવારે પોતાના સંબોધનમાં જીએસટી સુધારા (GST Reforms)ના ફાયદા ગણાવ્યા હતા.
ફારુક અબ્દુલ્લાએ શું કહ્યું?
અબ્દુલ્લાએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે,‘તમે GSTની વાત કરી, જો તમે સંબોધનમાં અમારા રાજ્યના દરજ્જા અંગે વાત કરી હોત તો સારું થાત.’ જ્યારે તેમણે પૂછવામાં આવ્યું કે શું નેશનલ કોન્ફરન્સ સુપ્રીમ કોર્ટ પાસેથી નિર્ણયની અપેક્ષા રાખે છે? તો અબ્દુલ્લાએ કહ્યું કે, માત્ર નેશનલ કોન્ફરન્સ જ નહીં, પરંતુ જમ્મુ-કાશ્મીરનો દરેક નાગરિક રાજ્યનો દરજ્જો પાછો મળે તેવી આશા રાખીને બેઠો છે.
યાસીન મલિકના કેસમાં અમારી કોઈ ભૂમિકા નથી : ફારુક અબ્દુલ્લા
પૂર્વ મુખ્યમંત્રી અબ્દુલ્લા (Farooq Abdullah)એ જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)ના અધ્યક્ષ યાસીન મલિકના કેસ પર ટિપ્પણી કરતા કહ્યું કે, ‘આ મામલો કોર્ટનો છે અને કોર્ટ જ તેનો નિર્ણય કરશે. તેમાં અમારી કોઈ ભૂમિકા નથી.’ મલિકની ફેબ્રુઆરી-2019માં ધરપકડ કરાઈ હતી અને તે આતંકવાદને નાણાંકીય મદદ કરતો હોવાના આરોપમાં જેલમાં બંધ છે. તેના પર અનેક કેસો પેન્ડિંગ છે, જેમાં 1990માં રૂબૈયા સઈદનું અપહરણ અને રાવલપોરમાં વાયુસેનાના કર્માચરીઓ પર હુમલાનો કેસ સામેલ છે.








