દિવાળી પહેલા કરોડો ખેડૂતોને ભેટ: PM મોદીએ 12મા હપ્તાના 2000 રૂપિયા ટ્રાન્સફર કર્યા
- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન PM-કિસાન યોજના હેઠળ ખેડૂતોને 16,000 કરોડ રૂપિયાની રકમનો 12મો હપ્તો જાહેર કર્યો.
નવી દિલ્હી,તા.17 ઓક્ટોબર 2022,સોમવાર
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે PM કિસાનનો 12મો હપ્તો બહાર પાડવામાં આવ્યો છે. દિવાળી પહેલા દેશભરના 12 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન PM-કિસાન યોજના હેઠળ ખેડૂતોને 16,000 કરોડ રૂપિયાની રકમનો 12મો હપ્તો જાહેર કર્યો. જણાવી દઈએ કે પીએમ કિસાન પોર્ટલ પર 12 કરોડથી વધુ ખેડૂતો નોંધાયેલા છે.
11મા હપ્તા તરીકે રૂ. 21,000 કરોડ બહાર પાડવામાં આવ્યા હતા
મોદીએ તેમની સરકારની આઠમી વર્ષગાંઠના અવસર પર મે મહિનામાં હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં કિસાન સન્માન નિધિના 11મા હપ્તા તરીકે રૂ. 21,000 કરોડ જાહેર કર્યા હતા. તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના હેઠળ સરકાર દ્વારા આર્થિક રીતે નબળા ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાના ત્રણ હપ્તામાં દર વર્ષે બે હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં કુલ 11 હપ્તાના નાણાં આવ્યા છે. સરકારી આંકડા મુજબ પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં 2 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.