India

વધુ એક દુર્ઘટના! આંદામાનના દરિયામાં હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ, પાયલોટની સૂઝબૂઝથી બચ્યા જીવ

By GS TEAM
24 Feb 20262 mins read
TukuTouch Logo
પવન હંસનું આ હેલિકોપ્ટર પોર્ટ બ્લેયરથી માયાબંદર જઈ રહ્યું હતું. ઉડાન દરમિયાન અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેના પગલે પાયલટે આંદામાન સાગરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

વધુ એક દુર્ઘટના! આંદામાનના દરિયામાં હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ, પાયલોટની સૂઝબૂઝથી બચ્યા જીવ

 (Photo Credit : X)



Pawan Hans Helicopter Emergency Landing in Indian Ocean : સરકારી હેલિકોપ્ટર સેવા કંપની પવન હંસના એક હેલિકોપ્ટરને આંદામાન વિસ્તારમાં ઉડાન દરમિયાન તકનીકી ખામીને કારણે સમુદ્રમાં ઈમરજન્સી ક્રેશ લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ઘટના આંદામાન સાગરમાં બની હતી. જ્યાં પાયલટે ભારે સૂઝબૂઝ બતાવીને હેલિકોપ્ટરને સુરક્ષિત રીતે પાણી પર ઉતાર્યું હતું. હેલિકોપ્ટરમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સંપૂર્ણપણે સુરક્ષિત છે. ઘટનાની જાણ થતા જ રાહત અને બચાવ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા.

જાણકારી મુજબ, પવન હંસનું આ હેલિકોપ્ટર પોર્ટ બ્લેયરથી માયાબંદર જઈ રહ્યું હતું. ઉડાન દરમિયાન અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેના પગલે પાયલટે આંદામાન સાગરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.

હેલિકોપ્ટરમાં કુલ 7 લોકો સવાર હતા

હેલિકોપ્ટરમાં બે ક્રૂ મેમ્બર અને 5 મુસાફરો સવાર હતા. તમામ 7 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે અને તેમની તબિયત હાલ સારી હોવાનું જણાવવામાં આવ્યું છે. પવન હંસના પ્રવક્તાએ જણાવ્યું કે, “આજે સવારે લગભગ 9:30 વાગ્યે પવન હંસનું એક હેલિકોપ્ટર માયાબંદર પાસે શોર્ટ લેન્ડિંગની ઘટનાનો ભોગ બન્યું હતું. આ હેલિકોપ્ટર પોર્ટ બ્લેયરથી ઉડ્યું હતું. તમામ સભ્યો સુરક્ષિત છે અને કોઈને પણ ઈજા થયાના સમાચાર નથી.”

ચતરા પ્લેન ક્રેશમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા

અત્રે ઉલ્લેખનીય છે કે, વિમાન દુર્ઘટનાઓની સતત સામે આવતી ઘટનાઓ વચ્ચે આ મામલે ફરી એકવાર હવાઈ સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે. એક દિવસ પહેલા જ ઝારખંડના ચતરામાં એક એર એમ્બ્યુલન્સ ક્રેશ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ સાત લોકોના મોત થયા છે. આ એર એમ્બ્યુલન્સ રાંચીના 41 વર્ષીય સંજય કુમારને વધુ સારા ઈલાજ માટે દિલ્હી લઈ જઈ રહી હતી. તેઓ આગની ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયા હતા. વિમાનમાં દર્દી સંજય કુમાર ઉપરાંત પાયલટ વિવેક વિકાસ ભગત અને સબરાજદીપ સિંહ, દર્દીના સંબંધી અર્ચના દેવી અને ધ્રુવ કુમાર, ડોક્ટર વિકાસ કુમાર ગુપ્તા અને નર્સ સચિન કુમાર મિશ્રા સવાર હતા.

અકસ્માતના કારણ અંગે તપાસ

DGCAના જણાવ્યા અનુસાર, આ એર એમ્બ્યુલન્સે રાંચીથી દિલ્હી જવા માટે સાંજે 7:11 વાગ્યે ઉડાન ભરી હતી. ઉડાન દરમિયાન સાંજે 7:34 વાગ્યે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથેનો સંપર્ક અચાનક તૂટી ગયો હતો. આ વિમાન ચતરા જિલ્લાના સિમરિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કરમાટાંણ ગામ પાસેના જંગલમાં ક્રેશ થયું હતું. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી, જેની તપાસ ચાલી રહી છે.