બિહારની ચૂંટણી પહેલા ભાજપ-JDUને ઝટકો, દિગ્ગજ નેતાએ NDAને કહ્યું, 'આવજો'
Pashupati Paras Breaks Alliance with BJP : રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસે ભાજપ સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, 'આજથી અમે NDA સાથે નથી, અમારો હવે કોઈ સંબંધ નથી.' બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા પશુપતિ પારસની જાહેરાતથી NDAને ઝટકો લાગી શકે છે. પશુપતિ પારસે બિહારની તમામ 243 વિધાનસભા બેઠકો પર સદસ્યતા અભિયાન શરુ કરવાની પણ જાહેરાત કરી છે.
ભાજપ અને નીતિશ કુમાર પર સાધ્યું નિશાન
પશુપતિ પારસે કેન્દ્ર અને બિહારની સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે કે આ બંને સરકારો ભ્રષ્ટ અને દલિત વિરોધી છે. કેન્દ્ર સરકારે સંસદમાં બાબાસાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે. પાર્ટીના ભવિષ્ય અંગે પશુપતિ પારસે જણાવ્યું છે કે આગામી સમયમાં પાર્ટીના તમામ નેતાઓ સાથે ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવશે કે હવે કયા પક્ષ સાથે ગઠબંધન કરવામાં આવે.
ચિરાગ પાસવાન સાથે અનેક વખત થયા વિવાદ
નોંધનીય છે કે રામ વિલાસ પાસવાનના નિધન બાદથી જ પક્ષમાં અનેક વાદવિવાદ થતા રહ્યા છે. રામવિલાસ પાસવાનના ભાઈ પશુપતિ પારસ અને રામવિલાસના પુત્ર ચિરાગ પાસવાન વચ્ચે પાર્ટી કોણ સંભાળશે તેને લઈને વિવાદ થઈ ચૂક્યો છે. ભારતીય જનતા પાર્ટીએ અગાઉ પશુપતિ પારસ સાથે જ ગઠબંધન કર્યું હતું, બાદમાં ચિરાગ પાસવાન સાથે ગઠબંધન કરી લીધું.